- Gujarat
- HDFC બેંકે સંમતિ વગર ગ્રાહકના રૂ. 8.57 લાખના શેર વેચી દીધા, કોર્ટે આપ્યો આ આદેશ
HDFC બેંકે સંમતિ વગર ગ્રાહકના રૂ. 8.57 લાખના શેર વેચી દીધા, કોર્ટે આપ્યો આ આદેશ
સુરત: ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતા એક મહત્તવપૂર્ણ ચુકાદામાં, સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા HDFC બેંક લિમિટેડ વિરુદ્ધ કરાયેલા હુકમમાં બેંક દ્વારા ગ્રાહકને પૂર્વ સૂચના આપ્યા વિના અથવા તેમની સંમતિ મેળવ્યા વિના પોતાની બેન્કમાં ગ્રાહકના ડીમેટ એકાઉન્ટમાં જમા કંપનીઓના શેર્સ ડીમેટ એકાઉન્ટમાંથી બારોબાર વેચી દેવાના કૃત્યને કમિશને ગંભીર સેવામાં ખામી અને ગેરકાયદેસર ગણાવ્યું છે અને વેચી નંખાયેલા રૂ. 8.57 લાખના મૂળ જે તે કું. ના શેર્સ ગ્રાહકના ડીમેટ ખાતામાં જમા આપવાનો HDFC બેન્કને આદેશ આપતો હુકમ કર્યો છે.
મહિધરપુરા, સુરતના રહેવાસી (ફરિયાદી નં. 1 અને 2) ના એ HDFC બેન્ક લિમિટેડ (પીપલોદ બ્રાન્ચ, સુરત) (સામાવાળા) વિરુદ્ધ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઈ/ઈશાન દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ દ્વારા દાખલ કરાવેલી ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદીઓએ સામાવાળા HDFC Bank માંથી શેર સામે લોન મેળવી હતી. આ લોન રૂ. 14.61 લાખની સુરક્ષિત કરવા માટે ફરિયાદી નં. (૨) એ અન્ય કું. માં ચાલતા ડીમેટ એકાઉન્ટમાં રહેલા પોતાના 51 કંપનીઓના શેર્સ બેંક પાસે ગીરો (પ્લેજ) મુક્યા હતા.
માર્ચ 2020માં કોવિડ-19 મહામારીના કારણે શેરબજારમાં ભારે કડાકો બોલાયો હતો, જેના લીધે ગીરો મુકેલા શેરોની કિંમત ઘટીને અંદાજિત રૂ 9,00000/- થઈ ગઈ હતી. જેની સામે ફરિયાદીઓના (લોનની લિમિટસની રકમ) ડ્રોઇંગ પાવર કરતા લોનની બાકી રકમ વધી જઈને રૂ. 15,89,711/- થઈ હોવાનું એટલે કે માન્ય લિમિટ કરતા રૂ. 1,28,711/- વધારે ફરિયાદીએ વાપરેલ હોવાનું જણાવીને, HDFC બેન્કે ફરિયાદીઓને કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના કે સંમતિ લીધા વિના જ જાન્યુઆરી 2021માં પોતાની બેંકમાં ચાલતા ફરિયાદી નં. (૧) ના ડીમેટ એકાઉન્ટમાંથી રૂ. 8.57 લાખની કિંમતના કોલગેટ, રીલાયન્સ, લાર્સન વગેરે શેર્સ બારોબાર વેચી નાખ્યા હતા. શેર્સ બેન્કને ગીરો કરેલ ન હતા. વળી, બેંકે લોનની બાકી નીકળતી આઉટસ્ટેન્ડિંગ રકમ એટલે કે રૂ. 1,28,711/- જેટલા જ શેર્સ વેચવાને બદલે, પૂરેપૂરા ₹8.57 લાખની કિંમતના શેર્સ વેચી નાખ્યા હતા. આ મનસ્વી પ્રક્રિયાના કારણે ફરિયાદીને ₹8,57,178.87 નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રીઓ શ્રેયસ દેસાઈ, ઈશાન શ્રેયસ દેસાઈ અને પ્રાચી અર્પિત દેસાઈએ દલીલો રજૂ કરી હતી. તેમણે વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકીને કમિશન સમક્ષ સાબિત કર્યું હતું કે લોન ખાતામાં શોર્ટફોલ (નાણાંની ઘટ) હોવા છતાં પણ ગ્રાહકને નોટિસ આપ્યા વિના આ પ્રકારે મનસ્વી રીતે ફરિયાદી-ગ્રાહકની માલિકીના શેર્સ વેચી શકે નહીં. વળી, બાકી પડતી રકમ રૂ. 1,28,711/- થી વધારે રકમના શેર પણ વેચી શકાય નહીં.
સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) ના પ્રમુખ પી. પી. મેખીયા અને સભ્ય તીર્થેશ મહેતા એ કરેલા હુકમમાં ફરિયાદીની ફરિયાદ અંશત: મંજૂર કરી સામાવાળા બેન્કે ફરિયાદીના વેચી નાખેલા તમામ કોલગેટ, રીલાયન્સ, લાર્સન વગેરે કું. ઓના રૂ. 8,57,178/- ના શેર્સ ફરીથી ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાં જમા કરી આપવાનો આદેશ આપતો તેમજ ખર્ચ અને વળતર માટે રૂ. 5,500/- ચૂકવી આપવાનો હુકમ કર્યો.

