- Politics
- SIRને કારણે મતદાર યાદીમાંથી લાખો નામ દૂર થવાથી શું TMCને નુકસાન થયું? જાણો શું કહે છે આંકડા
SIRને કારણે મતદાર યાદીમાંથી લાખો નામ દૂર થવાથી શું TMCને નુકસાન થયું? જાણો શું કહે છે આંકડા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ બંગાળને TMCના હાથમાંથી છીનવી લીધું છે. ભાજપની શાનદાર જીત સાથે રાજ્યમાં TMCનું 15 વર્ષ જૂનું શાસન સમાપ્ત થઈ ગયું છે. એવામાં પ્રશ્ન ઊભો થાય છે કે શું TMCની આ કારમી હારમાં મતદાર યાદીઓમાં કરવામાં આવેલા સુધારણા (SIR)એ મુખ્ય ભૂમિકા ભજવી છે? બંગાળમાં ચૂંટણી પહેલાં, ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા SIRથી મોટો વિવાદ થયો હતો. મતદાન પહેલાં, ચૂંટણી પંચે રાજ્યની મતદાર યાદીમાંથી આશરે 10 ટકા મતદારોના નામ દૂર કરી દીધા હતા. TMCએ આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. TMCએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયા જાણી જોઈને તેમના સમર્થકોને નિશાન બનાવવા માટે કારવામાં આવી હતી. જો કે, આંકડાના વિશ્લેષણથી એક અલગ અને જટિલ કહાની બહાર આવે છે.
આંકડા મુજબ જીત અને હારનું માર્જિન
ચૂંટણી પરિણામો અનુસાર, ભાજપે આશરે 46 ટકા મત મેળવ્યા, જ્યારે TMCને 41 ટકાથી સંતોષ માનવો પડ્યો. ભાજપના વિજયનું માર્જિન મોટું રહ્યું તો; પક્ષે 207 બેઠકો જીતી, જ્યારે TMC માત્ર 80 બેઠકો સુધી મર્યાદિત થઈ ગઈ. 26 બેઠકો પર ભાજપના વિજયનું માર્જિન 20 થી 30 ટકાની વચ્ચે હતું. 116 બેઠકોમાં વિજયનું માર્જિન 10 થી 20 ટકાની વચ્ચે રહ્યું. 2024ની લોકસભા ચૂંટણીની તુલનામાં મતદાર યાદીમાં આશરે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
શું 'મતદાર યાદી'એ બદલ્યું પરિણામ?
બેઠકો મુજબ વિશ્લેષણ દર્શાવે છે કે 2021માં TMCએ જે બેઠકો જીતી હતી, ત્યાં ભાજપ દ્વારા જીતવામાં આવેલી બેઠકો કરતા 1.7 ટકા વધુ ઘટાડો થયો હતો. રસપ્રદ વાત એ છે કે, જે વિસ્તારોમાં સૌથી વધુ નામ કપાયા ત્યાં TMCનું સૌથી સારું પ્રદર્શન રહ્યું. જે 21 મતવિસ્તારોમાંથી 20 ટકાથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, તેમાંથી અડધાથી ઓછી બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આ આંકડો ભાજપના રાજ્યવ્યાપી સફળતા દર (63 ટકા) કરતા ખૂબ ઓછો છે. તેનાથી વિપરીત, જે મતવિસ્તારોમાં ફક્ત 0-5 ટકા નામો દૂર કરાયા હતા, ત્યાં ભાજપે 86 ટકા બેઠકો પર વિજય મેળવ્યો.

TMCના ગઢમાં દેખાઇ 'ફાયરવોલ' અસર
આંકડા અનુસાર, 2021માં TMCએ જીતેલી બેઠકોમાંથી સરેરાશ 28,019 મતદાતાઓના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, જ્યારે ભાજપે જીતેલી બેઠકોમાં આ આંકડો 23,834 હતો. સૌથી વધુ સંખ્યામાં કાઢી નાખવામાં આવેલા 20 મતવિસ્તારોમાંથી 18 બેઠકો પર 2021માં TMC ધારાસભ્યો હતા.
મુર્શિદાબાદ અને માલદા જેવા પ્રદેશો, જ્યાં TMCને બંગાળી મુસ્લિમ મતદારોનો મજબૂત ટેકો મળે છે, ત્યાં સૌથી વધુ સંખ્યામાં નામ દૂર કરવામાં આવ્યા. ઉદાહરણ તરીકે મુર્શિદાબાદના શમશેરગંજમાં સૌથી વધુ 86,000થી વધુ નામો દૂર કરવામાં આવ્યા. આમ છતા TMCએ બેઠક જાળવી રાખી, જોકે તેમનું વિજય માર્જિન 26,379 થી ઘટીને 7,587 મતો થઈ ગયું.
નિષ્કર્ષ: શું અસર પડી?
ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે મતદાર યાદીમાંથી નામો દૂર થવા અને ચૂંટણી પરિણામો વચ્ચે કોઈ સીધો સંબંધ દેખાતો નથી. TMCને તે મતવિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું જ્યાં સૌથી ઓછા નામો દૂર કરવામાં આવ્યા હતા. તેનાથી વિપરીત, જે વિસ્તારોમાં વ્યાપકપણે નામો દૂર કરવામાં આવ્યા હતા, ત્યાં TMC પોતાની પકડ મજબૂત રાખવામાં સફળ રહી.
નિષ્ણાતો માને છે કે મુર્શિદાબાદ, માલદા અને કોલકાતાના કેટલાક ભાગો જેવા પ્રદેશો TMCના મજબૂત ગઢ ('ફાયરવોલ') સાબિત થયા, જેમણે ભાજપની લહેર રોકી દીધી, ભલે આ વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યારે આ આંકડા TMCના દાવાને સમર્થન તો આપે છે કે તેમના ગઢમાંથી મોટી સંખ્યામાં નામો દૂર કરવામાં આવ્યા, પરંતુ એ સાબિત થતું નથી કેઆ કારણે તેમની હાર થઈ છે.

