- Politics
- ‘માછલી પ્રેમી કેમ થઈ ગયા નેતા? ભાજપને આશા છે ફિશ પોલિટિક્સથી મળશે બંગાળ
‘માછલી પ્રેમી કેમ થઈ ગયા નેતા? ભાજપને આશા છે ફિશ પોલિટિક્સથી મળશે બંગાળ
માછલી બંગાળની ઓળખ છે. બંગાળનો ઉલ્લેખ કરતા જ મનમાં ખ્યાલ આવે છે, તેમાંથી એક માછલી છે. બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં ઘણા મુદ્દાઓમાં, માછલી ખાવાનો પણ એક મુદ્દો છે. ભાજપના અગ્રણી નેતા અનુરાગ ઠાકુર બંગાળમાં માછલી ખાતા જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને X (અગાઉ ટ્વૂટર) પર માછલીનો આનંદ માણતા પોતાનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે. ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાને પણ માછલી ખાઈ રહ્યા છે.
આખરે, બંગાળમાં ભાજપની 'માછલીની રાજનીતિ' શું છે? કેમ ભાજપના નેતાઓ ન માત્ર માછલી ખાઈ રહ્યા છે, પરંતુ તેઓ આવું કરી રહ્યા છે તે વિશ્વને બતાવી રહ્યા છે કે, તેઓ માછલી ખાઈ રહ્યા છે? વાસ્તવમાં, TMC આ ચૂંટણી દરમિયાન બંગાળની સાંસ્કૃતિક ઓળખના મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહી છે. TMC ભાજપ પર આરોપ લગાવી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંગાળીઓને માછલી, માંસ અને ઈંડા ખાતા રોકી દેવામાં આવશે. આ વાતનો કાઉન્ટર કરતા મમતા બેનર્જીની TMC કહે છે કે 'માછ-ભાતે બંગાલી' એટલે કે માછલી અને ભાત બંગાળની ઓળખ છે.
સતત ચોથી વખત સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ મમતાએ કડક ચેતવણી આપી છે કે ભાજપ બંગાળી જીવનશૈલી માટે ગંભીર ખતરો છે. તેમણે માછલી અને ભાતને બંગાળના લોકો માટે એવી વસ્તુ ગણાવી છે, જેની સાથે કોઈ સમજૂતી નહીં થઈ શકે. તાજેતરમાં, એક ચૂંટણી રેલી દરમિયાન, મમતાએ કહ્યું હતું કે, ‘ભાજપ તમને માછલી ખાવા દેશે નહીં. તેઓ તમને માંસ કે ઈંડા ખાવા દેશે નહીં.’
બીજી એક રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘બંગાળના લોકો માછલી અને ભાતના આહાર પર જીવે છે. જો તમે બંગાળના લોકોને કહી રહ્યા છે કે તેઓ માછલી ખાઈ શકતા નથી, માંસ ખાઈ શકતા નથી, ઈંડા ખાઈ શકતા નથી, તો પછી તેઓ શું ખાશે? મમતાનો દાવો છે કે ભાજપ બંગાળી સંસ્કૃતિ પર હુમલો કરી રહી છે, રાજ્ય પર બહારથી શાકાહારી સંસ્કૃતિ લાદવાનો પ્રયાસ કરી રહી છે.’
https://twitter.com/Sanjeev_aap/status/2046554600879382620?s=20
આ આરોપોનો જવાબ આપવા માટે ભાજપે બંગાળમાં 'માછલીની રાજનીતિ'નું મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. ભાજપના નેતાઓ અને ઉમેદવારો ખુલ્લેઆમ માછલી ખાઈ રહ્યા છે; તેઓ હાથમાં મોટી માછલી પકડીને પ્રચાર કરી રહ્યા છે અને સ્થાનિક માછલી બજારોમાં ફરી રહ્યા છે. કોલકાતા બંદર મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રાકેશ સિંહ, બંને હાથમાં માછલી પકડીને ઘરે-ઘરે જઈ રહ્યા છે.
https://twitter.com/SudhanidhiB/status/2044387708794257627?s=20
આ જ હાલત કૌસ્તવ બાગચીની છે. સફેદ અને લાલ રંગના પોશાક પહેરીને બાગચી હાથમાં માછલી લઈને ઘરોમાં જઈ રહ્યા છે. તેમની પાછળ ઢોલ વાગે છે, અને તેમના સમર્થકો તેમને ઉત્સાહિત કરે છે. બેરકપૂરના ભાજપના ઉમેદવાર બાગચી મતદારોને જીતવા માટે માછલી પર આધાર રાખી રહ્યા છે.
https://twitter.com/ChampaiSoren/status/2046209550584520896?s=20
ભાજપના આ બધા પ્રયાસો પાછળનો ઉદ્દેશ્ય પોતાને ‘બહારના વ્યક્તિ’, ‘હિન્દી થોપનાર’ અને ‘શાકાહારી’ પાર્ટી હોવાની છબીથી મુક્ત કરવાનો છે. અને બંગાળી મતદારોને દર્શાવવાનો છે કે ભાજપ તેમની સંસ્કૃતિ, ભાષા અને ખાવાની આદતોનો આદર કરે છે. બંગાળ ચૂંટણી દરમિયાન ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન દ્વારા 'X' પર માછલી ખાતા હોય તેવો પોતાનો ફોટોગ્રાફ પોસ્ટ કરવો, અને અનુરાગ ઠાકુરને માછલી ખાતા દર્શાવતો વીડિયો પ્રકાશિત કરવો. આ બધું આ જ વ્યૂહરચનાનો અભિન્ન ભાગ છે.
માછલીના ભોજન અંગે પત્રકારો સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘અહીં ‘માછ’ પણ છે માછલી પણ છે અને ભાત પણ છે, બધા ખાઈ રહ્યા છે. ભાજપ 16 રાજ્યોમાં સત્તામાં છે, અને NDA 20 રાજ્યોમાં શાસન કરે છે; છતા આમાંથી એક પણ જગ્યાએ કોઈની વાણી સ્વતંત્રતા, આહાર પસંદગીઓ અથવા ધાર્મિક પૂજા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, મમતા બેનર્જી પાસે તેમના 15 વર્ષના શાસન દરમિયાન બતાવવા માટે કોઈ સિદ્ધિઓ નથી; એટલે તેઓ ભય, ભ્રમ અને અફવાઓ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.’
ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પણ કોલકાતામાં ‘માછ-ભાત’ના ભોજનનો આનંદ માણતા કહ્યું કે માછલી તેમનો પ્રિય ખોરાક છે. પછી તે ચિંગડી હોય, માંગુર હોય કે પાબડા હોય, રોહુ હોય કે કતલા. મારો મુખ્ય મુદ્દો છે કે, એ ખૂબ જ દુઃખદ છે કે, સમુદ્ર, નદીઓ અને તળાવો બધું જ હોવા છતા બંગાળમાં માછલી પાલનનો કોઈ પણ એવો ઉદ્યોગ નથી જે હકીકતમાં ખાસ મહત્ત્વ રાખતો હોય.
બંગાળની ચૂંટણીમાં માછલીનો મુદ્દો એટલો મહત્ત્વપૂર્ણ બની ગયો છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર ચર્ચા કરી હતી. એક રેલીમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે, ‘15 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ, તૃણમૂલ કોંગ્રેસ તમને માછલી જેવી મૂળભૂત જરૂરિયાત પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે. અહી સુધી કે, માછલી પણ રાજ્યની બહારથી આયાત કરવી પડે છે.’ ભાજપ માટે, આ ચૂંટણી ફક્ત જીત મેળવવા માટે નથી; તે 'બહારના' હોવાની ધારણાને દૂર કરવા માટે પણ છે અને માછલી આ પ્રયાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બંગાળમાં BJP નેતા અનુરાગ ઠાકુર દ્વારા માછલી ખાવા પર પ્રતિક્રિયા આપતા દિલ્હી સુધી ગુંજી છે. AAP ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યું કે, ‘જુઓ કેવી રીતે કે ભગવા પહેરીને ચંદન લગાવીને મંગળવારે માછલી ખાય છે. આ એ જ લોકો છે જે દિલ્હી અને અન્ય શહેરોમાં ફરે છે અને માંસ અને માછલીની દુકાનો બંધ કરાવતા ફરે છે. પરંતુ હવે જ્યારે બંગાળની ચૂંટણીઓ આવી છે, ત્યારે વડાપ્રધાને દરેકને માછલી ખાવાની લીલી ઝંડી આપી દીધી છે. સત્તા માટે તમે કઈ હદ સુધી જશો, સાહેબ? આ છે ભાજપની સાચી ચાલ, ચરિત્ર અને ચહેરો.’
AAP ધારાસભ્ય બીજા ધારાસભ્ય કુલદીપ કુમારે ઉમેર્યું કે, ‘મંગળવારે બજરંગબલીના શુભ દિવસે આ ભાજપના મંત્રી અનુરાગ ઠાકુર, ભગવા વસ્ત્રો પહેરીને અને તિલક કરીને માછલી ખાય રહ્યા છે અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી રહી નથી. આ ભાજપના સભ્યો દિલ્હીમાં માંસની દુકાનો બંધ કરાવતા ફરે છે, છતા અહીં પશ્ચિમ બંગાળમાં તેઓ મંગળવારે પણ માછલી ખાય છે. તેમને ફક્ત સત્તા જોઈએ છે.’
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વર્લ્ડફિશ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત સર્વે મુજબ, બંગાળમાં 65 ટકાથી વધુ વસ્તી દર અઠવાડિયે માછલી ખાય છે. આ સંદર્ભમાં બંગાળ ભારતની સૌથી મોટી માછલી ખાતી વસ્તીમાંની એક છે, જે હકીકત ભાજપને સારી રીતે ખબર છે.
બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે પૂર્ણ થયો. અહીં 152 બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ થશે.

