- Gujarat
- બંગાળમાં મમતા દીદીને હરાવવા માટે ભાજપે સુરતથી વોટર્સ સ્પેશિયલ ટ્રેન દોડાવી, ખર્ચ પાર્ટી ઉઠાવશે
બંગાળમાં મમતા દીદીને હરાવવા માટે ભાજપે સુરતથી વોટર્સ સ્પેશિયલ ટ્રેન દોડાવી, ખર્ચ પાર્ટી ઉઠાવશે
ભાજપે રવિવારે રાત્રે ઉધના સ્ટેશન પરથી જ 1300 શ્રમિક સાથેની ખાસ 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેન ભાજપે બંગાળ રવાના કરી છે અને હજુ 2 ટ્રેન મોકલવાનું આયોજન છે. ભાજપ મત માટે ફ્રીમાં લોકોને AC ટ્રેનની સેવા આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 23 અને 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપે માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતથી પણ મજબૂત રણનીતિ બનાવી છે.
સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગતરોજ રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-5 પરથી પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1300થી વધુ મતદારોને 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેનમાં રવાના કરાયા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને આખું સ્ટેશન 'વંદે માતરમ' તથા 'જય શ્રીરામ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે, જેથી મતદારોને મુસાફરીમાં કોઈ પરેશાની ન થાય.
સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે અમે કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છીએ. સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા આ ટ્રેન સુવિધા એકદમ 'ફ્રી ઓફ કોસ્ટ' રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેઓ મતદાન કરી શકે તે માટેનું આયોજન છે. તમામ લોકો ભાજપને મત આપી વિજય બનાવશે.
રતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ એક મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે મોંઘી ટિકિટ કે ટ્રેનોમાં ભીડને કારણે આ લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપે આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને પોતાના પરિવાર અને ગામમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવશે.
સુરત બંગાળી સમાજના અગ્રણી સદાનંદ રાઉતે જણાવ્યું હતું કે, અમે આ ટ્રેન 'પરિવર્તન યાત્રા' માટે કાઢી છે. અમે આ વખતે પશ્ચિમ બંગાળમાં શાસન બદલવા માગીએ છીએ. સુરતથી જઈ રહેલા આ 1800 જેટલા લોકો માત્ર મુસાફરો નથી, પણ 1800 વોટ છે જે પરિવર્તન લાવશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે શ્રમિક વર્ગ, જેઓ આર્થિક સંકડામણ કે રિઝર્વેશન ન મળવાને કારણે મતદાન કરવા જઈ શકતા નથી, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અરુણ મંડલે વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં તૃણમૂલની સરકારમાં લૂંટફાટ અને સિન્ડિકેટ રાજ ચાલે છે. અમે ઈચ્છીએ છીએ કે ભાજપ સરકાર આવે તો બધું શાંત થાય. જેમ ઉત્તર પ્રદેશ સુધરી ગયું છે, તેમ બંગાળમાં પણ નવો કાયદો આવે અને સુધારા થાય તે માટે અમે આટલે દૂરથી વોટ આપવા જઈ રહ્યા છીએ. તેમને એસી કોચમાં ફ્રી મુસાફરી મળતા પણ ભારે ખુશી વ્યક્ત કરી હતી.
તો બીજી તરફ UP, બિહાર અને ઓડિસાના લોકોને પૈસા ચૂકવીને પણ પોલીસના દંડા ખાઈ ઘેટા-બકરાની જેમ મુસાફરી કરી પડી હતી. ઉલ્લેખનીય છે કે,19 એપ્રિલ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જનારા 10 હજારથી વધુ લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ભીડને પોલીસ પણ સંભાળી શકી નહોતી. આ ભાગદોડ વચ્ચે લોકો એકબીજાને કચડીને ટ્રેન પકડવા જતા પોલીસે દંડા વરસાવ્યા હતા. ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા ન હોવાથી 4000થી વધુ લોકોને ફરી રૂમે પરત ફરવું પડ્યું હતું. એકને સુવિધા અને બીજાને દુવિધાના ભાજપ સરકાર અને રેલવે તંત્રના બેવડા વલણથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

