- Gujarat
- શું સુરતમાં AAPને સારા ઉમેદવારો નથી મળતા? આરોપીઓ અને તેમની પત્નીઓને આપી દીધી ટિકિટ
શું સુરતમાં AAPને સારા ઉમેદવારો નથી મળતા? આરોપીઓ અને તેમની પત્નીઓને આપી દીધી ટિકિટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે બધી પાર્ટીઓ તાલુકા-જિલ્લા પંચાયતો, નગરપાલિકા-મહાનગર પાલિકાની ચૂંટણી માટે પોત પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહી છે. એવી જ રીતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે, અને હવે આ યાદી ચર્ચાનું કેન્દ્ર બની છે. ખંડણી, ઉઘરાણી આરોપીઓ અથવા તો પોસ્ટર કાંડના ગુનેગારના પત્નીને AAPએ ટિકિટ આપી છે. વિવાદાસ્પદ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા તો કોઈ ઓળખતું ન હોય એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતમાં કોંગ્રેસનો છેડો ફાડનારા, વિવિધ કેસમાં વગોવાયેલાઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. તેમાં કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક, પ્રતિક કાકલોતર, રઇશા શેખ, આરીફ શાહ, રમેશ જિંજાલા, મહેન્દ્ર રાજપુરોહિત જેવાનો સમાવેશ થાય છે. પાર્ટી બદલુઓને ટિકિટ અપાતા પાર્ટીનો નિર્ણય હાંસીપાત્ર બન્યો છે. હજુ થોડા સમય અગાઉ કોંગ્રેસ છોડીને AAPમાં સામેલ થયેલા ઉમેદવારોને ટિકિટ આપી દેવાતાં પક્ષમાં લાંબા સમયથી કામ કરતા કેટલાંક કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહી છે.
દયા પાનસુરિયા
હાલમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાડવાનો કાંડ ભારે ગુંજ્યો છે. પોસ્ટરમાં નામ, ઠામ નહીં લખવા બદલ ઉતરાણ પોલીસમાં ગુનો દાખલ થયો છે અને AAP કાર્યકર કિરીટ પાનસુરિયાની ધરપકડ થઇ છે. ધરપકડના બીજા જ દિવસે પાર્ટીએ કિરીટ પાનસુરિયાની પત્ની દયા પાનસુરિયાને વોર્ડ નંબર-2માંથી ટિકિટ આપી છે.
તુલસી લાલૈયા
સંગઠન મહામંત્રી તુલસી લાલૈયાએ વેપારી પાસેથી 10 લાખની માગ કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. ઇજ્જત-આબરૂ બચાવવા પૈસા ન આપે તો ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદીના પુત્ર પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં માંગણી મુજબ નાણાં ન આપતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખોટી માહિતી રજૂ કરી ફરિયાદીની પ્રતિષ્ઠા ખરડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ફેબ્રુઆરી-2026માં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેને AAPએ વોર્ડ નંબર-2માંથી ટિકિટ આપી છે.
રિંકલ પોશીયા
કઠોરની પ્રાથમિક સ્કૂલમાં સિક્યોરિટી કાંડમાં ગાજેલા કાળુ પોશીયાની પત્ની રિંકલ પોશીયાને પાર્ટીએ સુરતના વોર્ડ નંબર-3માં ટિકિટ આપી છે. તે વખતે સ્કૂલમાં મૂકેલી સિક્યોરિટીના ખર્ચમાં સ્કૂલ સંચાલન સમિતિના કર્તાહર્તા કાળુ પોશીયાનું નામ ગાજ્યું હતું અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
શ્રવણ જોષી
સસ્તા અનાજની દુકાનોમાં માલિકોને ધમકાવવાનો મામલો ભારે ગાજ્યો હતો. ચંપત ચૌધરીના વીડિયો બાદ શ્રવણ જોષીની સંડોવણી ખૂલી હતી. આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં તે અંગે ગુનો દાખલ થયો હતો. આરોપીઓ સામે વેપારીઓએ કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો. આ સાથે પાસાની પણ કાર્યવાહી થઈ હતી. જ્યારે હવે ભાજપના નેતાએ જ શ્રવણ જોષી સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. શ્રવણે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાયરલ કર્યો હતો, જેથી તેના વિરુદ્ધ ત્રણ ફરિયાદ થઈ છે. ગઈકાલે જાહેર થયેલી યાદીમાં AAPએ શ્રવણ જોષીને વોર્ડ નંબર-26માંથી ટિકિટ આપી છે.

