- Gujarat
- સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ
સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ
સુરતમાં ફરી એકવાર ઓનલાઈન રોકાણના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. એપીક ઇનોવેશન LLP નામની પેઢી ખોલી ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણના નામે ઊંચું વળતર આપવાની લાલચ આપી સોલંકી પરિવારના પિતા-પુત્ર અને પુત્રી તથા એક ભાગીદારે સ્વામિનારાયણ સંપ્રદાયના 14 હરિભક્તોને ઝાંસો આપી 2.05 કરોડ રુપિયાનું ઉઠમણું કરી નાખ્યું હતું. જે અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે 3ણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મુખ્ય આરોપી હાલ ફરાર છે.
સંદેશના અહેવાલ મુજબ, ડભોલી ચાર રસ્તા ખાતે સ્વામિનારાયણ નગરમાં રહેતા અનિલભાઈ રામજીભાઈ બલર ઓનલાઇન કપડાનો વેપાર કરે છે.તે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. તે નિયમિત ડભોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરે જતો હતો. મંદિરમાં અશોક મુળજી સોલંકી તેનો પુત્ર જય, પુત્રી જ્યોતિ પણ આવતા હોવાથી પરિચય થયો હતો. સોલંકી પરિવાર મંદિરમાં હરિભક્તોને કાજુ-બદામની પ્રસાદી વહેંચી દેખાડો કરતો હતો. આ રીતે હરિભક્તોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હતા. માર્ચ 2024માં અશોક સોલંકી અને જય સોલંકીએ મંદિરમાં અનિલભાઈ સાથે વાતચીત કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ પોતાની એપક ઇનોવેશન LLP નામની ભાગીદારી પેઢી હોવાનું જણાવી તેને ફોરેક્સ ટ્રેડિંગની સ્કીમ સમજાવી હતી.
ફોરેક્સમાં રોકાણ કરવાથી દર મહિને 4-5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. વેપારી અનિલ બલરની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે અશોક મુળજીભાઇ સોલંકી, તેનો પુત્ર જય, પુત્રી અને ભાગીદાર ઋષિ પટેલ સામે ગુનો નોંધ્યો હતો. ઇકો સેલના PI ચૌહાણે તપાસ કરી જય સોલંકી, તેની બહેન જ્યોતિની ધરપકડ કરી લીધી છે અને તેમનં બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મુખ્ય આરોપી અશોક સોલંકીને પણ મંગળવારે રાત્રે ભાવનગરથી ઊંચકી લેવાયો હતો.સોલંકી બાપ-દીકરાએ મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરેડિયન બિઝનેસ સેન્ટર ખાતે નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અનિલ બલરને બોલાવી વિશ્વાસમાં લીધા હતા. અનિલ બલર ઉદ્ઘાટનમાં ગયા તો પેઢીના ભાગીદાર ઋષિ પટેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું.અહીં રોકાણની લોભામણી સ્કીમ સમજાવાઇ હતી.અનિલભાઇએ ટુકડે-ટુકડે કુલ 35 લાખનું રોકાણ કર્યુ હતું.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણકારોને દર મહિને 4થી 5 ટકા સુધીના ખાતરીયુક્ત નફાનો વાયદો કર્યો હતો. શરૂઆતમાં કેટલાક રોકાણકારોને નાની રકમ પર વળતર આપીને વિશ્વાસ જીત્યો હતો. આ રીતે ધીમે-ધીમે લોકો મોટી રકમ રોકાણ કરવા પ્રેરાયા. જ્યારે આરોપીઓ પાસે લાખો રૂપિયાની મોટી રકમ એકઠી થઈ ગઈ, ત્યારે અચાનક તેમની ઓફિસ બંધ કરી દેવામાં આવી અને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા. રોકાણકારો ઓફિસ પર પહોંચ્યા ત્યારે તેમને છેતરાયા હોવાની ખબર પડી, જેના કારણે હાહાકાર મચી ગયો હતો.
આ કેસમાં ઉત્રાણ પોલીસે અશોક મૂળજીભાઈ સોલંકી, જય સોલંકી અને જ્યોતિ સોલંકીની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડનો ભાગીદાર ઋષિ સુરેશભાઈ પટેલ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસના મતે, આ છેતરપિંડીનો આંકડો હજુ વધવાની શક્યતા છે. વધુ લોકો આ કૌભાંડના ભોગ બન્યા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગે અન્ય શહેરોમાં પણ આવું જ કૌભાંડ ચલાવ્યું છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.સોલંકી પરિવારે લોભામણી સ્કીમ આપી 40-50 લોકોના 40 કરોડ ઓહિયા કર્યા હોવાની વાત છે.ભોગ બનનારા પીડિતોમાં વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર અનિલભાઈ જ નહીં, પરંતુ અન્ય 13 જેટલા રોકાણકારોએ પણ આ ઠગ ટોળકીની વાતોમાં આવીને લાખો રૂપિયા ગુમાવ્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વધુ નફાની લાલચમાં આવીને અજાણ્યા પ્લેટફોર્મમાં રોકાણ કરવું જોખમી બની શકે છે. નિષ્ણાતો કહે છે કે કોઈપણ રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસવી ખૂબ જ જરૂરી છે.

