- Sports
- વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને ખુબ મોટો પુરસ્કાર આપવા માટે તૈયાર છે. IPL 2026ના સમાપન પછી, જૂનમાં આગામી આયર્લેન્ડ T20 પ્રવાસ માટે 15 વર્ષીય ખેલાડીનો ભારતીય ટીમમાં સમાવેશ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જો વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરશે, તો તે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા ખેલાડી બની જશે.
આ સિદ્ધિ સાથે, વૈભવ 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સૂર્યવંશીને આયર્લેન્ડ પ્રવાસ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે, જ્યાં ભારત 26 અને 28 જૂને બે મેચ રમશે. BCCIના એક સૂત્રએ મીડિયાના સૂત્રને જણાવ્યું હતું કે તે આયર્લેન્ડ પ્રવાસ માટેની પસંદગીમાં સામેલ છે અને પસંદગીકારોએ તેને અન્ય ઘણા ખેલાડીઓ સાથે શોર્ટલિસ્ટ કર્યો છે.
BCCIનું આ પગલું રાજસ્થાન રોયલ્સના આ યુવા ખેલાડી માટે 'રાહ જુઓ અને જોતા રહો'ની રણનીતિ અપનાવવાને બદલે ઝડપથી આગળ વધવાના ઇરાદાને પસંદગીકારો પ્રતિબિંબિત કરે છે. પ્રમાણમાં નબળી ટીમ સામે વૈભવની કસોટી થઈ શકે છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આયર્લેન્ડમાં મજબૂત પ્રદર્શન વૈભવને આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ લાઇનમાં મૂકી શકે છે. ભારત 23થી 26 જુલાઈ દરમિયાન ઝિમ્બાબ્વેમાં 3 મેચની શ્રેણી રમવાનું છે.
વૈભવ સૂર્યવંશીને ભૂતપૂર્વ BCCI ટ્રેઝરર અને વર્તમાન IPL ચેરમેન અરુણ ધુમલનો પણ સંપૂર્ણ ટેકો મળ્યો છે. ધુમલે 'X' પર લખ્યું છે કે, IPL 2026માં વૈભવનું બેટિંગ પ્રદર્શન ઉત્તમ હતું અને તેના પ્રદર્શનના આધારે, તે ભારતના સૌથી યુવા ખેલાડી તરીકે ડેબ્યૂ કરવાને પાત્ર છે.
વૈભવ પહેલી વાર IPL 2025માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા રૂ. 1.1 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં શાર્દુલ ઠાકુરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાની પ્રતિભા બતાવી હતી, અને તેના થોડા દિવસો પછી, તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. વર્તમાન IPL સિઝનમાં પણ તે વિસ્ફોટક ફોર્મમાં છે, તે અત્યાર સુધીમાં 200 રન બનાવી ચુક્યો છે.

