- National
- વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ...
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ ધાર્મિક બાબતોના મંત્રી S. રમેશે ચહેરા પર માસ્ક પહેરીને 29 મેના રોજ મંદિરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમને ત્યાં નિયમોનું ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર સાબિત કરતા પુરાવા મળ્યા હતા. આ ગેરરીતિની જાણ થતાં, સરકારે તાત્કાલિક 5 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી. પૂજારીને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, અને મંદિરના ચાર કર્મચારીઓ સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.
શ્રીનિવાસન રમેશ (32) તમિલનાડુ વેટ્ટી કઝગમ (TVK) સરકારમાં હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&SE) મંત્રી છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રી, તેમના સહાયક સાથે, ચહેરા પર માસ્ક પહેરીને મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. તેમના સહાયકે પૂજારીને દર્શન વિશે પૂછ્યું. પૂજારીએ કથિત રીતે એક નિશ્ચિત રકમની માંગણી કરી હતી, ત્યારપછી મંત્રીના સહાયકે ઓનલાઈન ટ્રાન્જેકશન દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યાર પછી મીડિયા સાથે વાત કરતા, S. રમેશે જણાવ્યું હતું કે, મંદિરમાં ગેરરીતિઓ અંગે ઘણી ફરિયાદો મળી હતી, જેના કારણે તેમણે ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 29 મેની સવારે, તેઓ માસ્ક પહેરીને મંદિર ગયા હતા અને ત્યાં તેમણે જાતે જોયું હતું કે, ભક્તો પાસેથી પૈસા વસૂલવામાં આવી રહ્યા છે અને પછી દર્શન માટે અંદર જવા દેવામાં આવતા હતા.
https://twitter.com/RameshOffcl/status/2060636061408411885
મંત્રી S. રમેશના જણાવ્યા મુજબ, પૂજારી અને અધિકારીઓ બંને આ કામમાં સામેલ હતા. તેમણે કહ્યું હતું કે કોઈપણ ભેદભાવ વિના તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું પૂજારીએ દર્શન માટે તેમની પાસે પણ રોકડની માંગણી કરી હતી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તપાસ ચાલી રહી છે અને તે પૂર્ણ થયા પછી સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ આ બાબતે TVK સરકાર પર નિશાન સાધ્યું છે. તિરુચેન્દુર વિધાનસભા મતવિસ્તારના DMK ધારાસભ્ય, અનિતા R. રાધાકૃષ્ણને 'X' પર એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મંત્રી S. રમેશે સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં પૂજારી સમુદાયનું અપમાન કર્યું છે, અને પાર્ટી આની સખત નિંદા કરે છે.
મંત્રી S. રમેશે પણ પ્રતિક્રિયા આપી. તેમણે X પર લખ્યું, 'જનતાએ જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના, જનતાનું શોષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે મતદાન કર્યું છે. ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે સેવા માટે પૈસા વસૂલવાની કોઈ જરૂર નથી. આમ કરવું એ સેવા નથી, અને કોઈ ભગવાને તેમને આવું કરવાનું કહ્યું નથી.'
મંત્રી S. રમેશે આગળ લખ્યું, 'મને ખબર નથી કે જ્યારે ખોટા કામ કરનારાઓને સજા આપવામાં આવે છે, ત્યારે તે લોકો આટલા નારાજ કેમ થાય છે. હું ટૂંક સમયમાં જ ખુલાસો કરીશ કે તિરુચેન્દુર મંદિરમાં આ ઉપરાંત પણ ઘણી બધી ગેરરીતિઓ થઈ રહી છે, અને ગુનેગારોને સજા થશે. તેઓ ગમે તે હોય, તેમને સજા તો થશે જ!'
મંદિરના સંયુક્ત કમિશનર K. રામુએ મંદિરના પૂજારી G. અયપ્પનને 'કૈંકર્યમ' (સેવા) કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ બહાર પાડ્યો છે. એવો આરોપ છે કે G. અયપ્પન ભક્તો પાસેથી દર્શન માટે ગેરકાયદેસર રીતે પૈસા વસૂલવામાં સામેલ હતા.
એ જ રીતે, સુરક્ષા કર્મચારીઓ K. કરુપ્પાસ્વામી અને A. થોપ્પુને પણ ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે તેઓ ભક્તોને દર્શન માટે અંદર જવા દેવામાં આવે તે માટે પૂજારી પાસેથી પૈસા લેતા હતા. સંયુક્ત કમિશનર K. રામુએ બે અન્ય કર્મચારીઓ, P. શંકર અને V. નાગરાજને સસ્પેન્ડ કરવાના આદેશો પણ બહાર પાડ્યા હતા, જેમના પર મુંડન ખંડમાં ભક્તો પાસેથી લાંચ લેવાનો આરોપ હતો.

