- Gujarat
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર સુરક્ષામાં કેમ કરાયો વધારો? હવે મળવું હોય તો...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર સુરક્ષામાં કેમ કરાયો વધારો? હવે મળવું હોય તો...
થોડા દિવસ અગાઉ ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે એક અરજદારે નાયબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર જીવન ટૂંકવવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે ખળભળાટ મચી ગયો હતો. ઘટનામાં સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફની તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત જ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્રને સતર્ક કરી દીધું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની બહાર બનેલી આ ગંભીર ઘટનાના પગલે હવે સમગ્ર સચિવાલયમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટેના પ્રવેશ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે અને હાઈ-સિક્યોરિટી ઝોનમાં અવરજવર પર વિશેષ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ગુજરાત સમાચારના રિપોર્ટ મુજબ હર્ષ સંઘવીને મળવા માટે લોકોએ હવે મેટલ ડિટેક્ટરમાંથી પણ પસાર થવું પડશે.
અમદાવાદના મકસુદ ગુલઝાર (ઉંમર 40) કોઈ કામ અંગે રજૂઆત કરવા માટે સચિવાલયમાં ગયો હતો. મંત્રીની ઓફિસ બહાર રાહ જોતો હતો તે દરમિયાન અચાનક તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી ગળામાં ઘા મારી જીવન ટૂંકાવવા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા જ આસપાસ હાજર લોકો અને સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવથી થોડા સમય માટે સચિવાલય વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, આ ઘટના રાજ્યના સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય પરિસરમાં બની હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને, હથિયાર સાથે કોઈ વ્યક્તિ મંત્રીની ઓફિસ સુધી કેવી રીતે પહોંચી શક્યો તે મુદ્દે તંત્ર પર દબાણ વધ્યું હતું. ઘટનાના પગલે ઉચ્ચ સ્તરે ચર્ચા બાદ તાત્કાલિક સુરક્ષા સુધારવાના નિર્ણય લેવાયા છે.
નવી વ્યવસ્થા મુજબ હવે સચિવાલયના પ્રવેશદ્વાર પર બોડી સ્કેનર અને બેગેજ સ્કેનરની સંખ્યા વધારી દેવામાં આવી છે. દરેક મુલાકાતીની સઘન તપાસ કર્યા બાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત, હવેથી કોઈપણ વ્યક્તિને મંત્રીની ઓફિસ સુધી પહોંચવા માટે ડિજિટલ એપોઈન્ટમેન્ટ અથવા માન્ય ઓળખપત્ર રજૂ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉની સરખામણીએ હવે પ્રવેશ પ્રક્રિયા વધુ કડક અને નિયંત્રિત બની છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઈ-સિક્યોરિટી ઝોનમાં વધારાના સ્ટાફની પણ તૈનાતી કરવામાં આવી છે. સચિવાલયના વિવિધ બ્લોક્સમાં CCTV સર્વેલન્સ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેથી દરેક હલનચલન પર નજર રાખી શકાય. મળતી માહિતી અનુસાર, આ નવી વ્યવસ્થા માત્ર નાયબ મુખ્યમંત્રીના બ્લોક પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી સમયમાં અન્ય મંત્રીઓના ઓફિસ બ્લોક્સમાં પણ આવી જ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
નવી વ્યવસ્થાને કારણે સામાન્ય નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે થોડી વધુ પ્રક્રિયા પૂરી કરવી પડી રહી છે. તંત્રનું માનવું છે કે સુરક્ષા અને અનુશાસન જાળવવા માટે આ પગલાં અનિવાર્ય છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ફરી ન બને તે માટે સાવચેતી જરૂરી છે.
આજે વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું છે. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે.

