- Gujarat
- 55 વટી ગયેલા બિનકાર્યક્ષમ કર્મચારીઓને 'ઘરભેગા' કરવાની તૈયારીમાં ગુજરાત સરકાર, 11 મુદ્દાની...
55 વટી ગયેલા બિનકાર્યક્ષમ કર્મચારીઓને 'ઘરભેગા' કરવાની તૈયારીમાં ગુજરાત સરકાર, 11 મુદ્દાની...
ગુજરાત સરકાર હવે 55 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ઘરભેગા કરવાની તૈયારીમાં છે. સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની વિગત મંગાવવામાં આવી છે. વિગતો મળ્યા બાદ સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. જેમાં જો કોઈ કર્મચારીની કામગીરી સંતોષજનક ન હોય, શિસ્તભંગના કેસ હોય અથવા ફરજ પ્રત્યે બેદરકારી જણાશે તો સરકાર એવા કર્મચારીઓને સમય પહેલાં નિવૃત્ત કરી ‘ઘરભેગા’ કરી શકે છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા બહાર પડાયેલા પરિપત્ર અનુસાર ગ્રુપ-1થી ગ્રુપ-4 સુધીના એવા કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે. જેઓ 1 ઓક્ટોબર 2026 થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષની ઉંમર પૂરી કરી રહ્યા હોય. સરકાર હવે આવા કર્મચારીઓના છેલ્લા કેટલાક વર્ષોના સેવા રેકોર્ડ, ગુપ્ત અહેવાલો, શિસ્તભંગની કાર્યવાહી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવાનો છે. લાંબા સમયથી નબળી કામગીરી કરનાર અથવા બિનઉત્પાદક કર્મચારીઓ સામે કાર્યવાહી માટે આ પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમામ વિભાગોને 30 મે 2026 સુધીમાં માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે. માહિતીના આધારે રાજ્ય સરકાર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરી શકે છે.
કર્મચારીઓની આ 11 મુદ્દાની માહિતી માંગવામાં આવી
કર્મચારીનું નામ/હોદ્દો
કર્મચારીની જન્મ તારીખ
કર્મચારીના છેલ્લા 10 વર્ષના ખાનગી મૂલ્યાંકન અહેવાલની ગુણકક્ષા
કર્મચારીના ખાનગી અહેવાલમાં જો વિરોધ નોંધ હોય તો તેની વિગત
કર્મચારીની છેલ્લા 10 વર્ષના તબીબી કારણોસરની લાંબી બીમારી રજા પરની વિગત.
કર્મચારીની અન્ય અનધિકૃત ગેરહાજરીની વિગત અન્યથા સદર બાબતનું પ્રમાણપત્ર
કર્મચારીની ફરજમોકૂફીની વિગત
કર્મચારી સામે આજની તારીખે કોઈ કોર્ટ સહિત ચાલુ/સૂચિત/ કે પડતર ખાતાકીય તપાસની વિગત, તેમજ જો ACB કેસ હોય તો તેની વિગત અન્યથા સદર બાબતનું પ્રમાણપત્ર
કામગીરી સંતોષકારક હોવાનું પ્રમાણપત્ર
કર્મચારી નોકરી કરવા માટે શારીરિક/માનસિક રીતે સક્ષમ છે કે કેમ?
કર્મચારીને 55 વર્ષ પછી નોકરીમાં રાખવા કે કેમ? તે અંગે કચેરીના વડાનો સ્પષ્ટ અભિપ્રાય.

