- Gujarat
- 2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'
2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'
એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 8 સિંહના મોત થયા હતા. જ્યારે ધારી ગીર પૂર્વના ગીર ગઢડા સરહદ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં જ 3 સિંહબાળના પણ મોત થતાં વનવિભાગ સહિત વન્યજીવ પ્રેમીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહે આ સમગ્ર મામલે માહિતી આપી છે. નોંધનીય છે કે, 'બેબીસિયા' જેવા જીવલેણ વાયરસથી સિંહના મોત થયાની આશંકા છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ગુજરાતની આગવી ઓળખ ગણાતા એશિયાટિક સિંહોના ઘર ગીરમાં 2018માં જે બીમારીએ વનવિભાગની ઊંઘ ઉડાવી દીધી હતી, તેણે ફરી એકવાર 8 વર્ષ પછી સિંહોમાં ફેલાતા વનવિભાગ એલર્ટ થઈ ગયો છે. આ બીમારીથી તાજેતરમાં ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ વનવિભાગની બોર્ડર પર કેટલાક સિંહોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગીરના જંગલમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસિયા જેવા જીવલેણ રોગચાળાનું સંકટ છવાયું છે. 2018માં આ બીમારીથી આશરે 23થી વધારે સિંહોના મોત થયા હતા, ત્યારે ફરી આવી સ્થિતિ ન સર્જાય તે માટે વનવિભાગ એલર્ટ થઈ ગયું છે અને વન્યજીવોને બચાવવા માટે જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બીમારી વધારે ન ફેલાય તે માટે વનવિભાગ દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારમાંથી નબળા અને અશક્ત દેખાતા સિંહોને શોધવામાં આવી રહ્યા છે અને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સિંહના લોહીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. એનિમલ ડૉક્ટરોની વિશેષ ટીમો દ્વારા સિંહોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જરૂર જણાય તેવા સિંહોને રાત્રિ દરમિયાન પાંજરે પૂરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
2018 બાદ ફરીથી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસિયા જેવા જીવલેણ બીમારીએ ગીરના જંગલમાં દેખાતા વનવિભાગ દોડતો થઈ ગયો છે. ગીર-પશ્ચિમ અને ગીર-પૂર્વ બોર્ડર પર 2 સિંહબાળ સહિત 5 સિંહોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ મામલે મીડિયા સાથે વાત કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં 5 સિંહોના મોતના સમાચાર આવ્યા છે, જેમાંથી માત્ર 2 સિંહ બાળના મોત જ બેબીસયા બીમારીના કારણે થયા છે, જ્યારે અન્ય સિંહોના મોતનું કારણ અલગ છે.
ગાંધીનગર વનવિભાગના PCCF જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પાંચમાંથી 2 સિંહબાળ બેબીસિયાથી, 1 સિંહબાળનું ઇન-ફાઇટ (લડાઈ)માં, અને 2 પ્રૌઢ સિંહોના કુદરતી કારણોથી મોત થયા છે. ગીર વિસ્તારમાં સિંહોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જ્યાં સિંહોમાં સંક્રમણ જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે ત્યાં-ત્યાં મેડિકલ ટીમ મોકલીને સેમ્પલિંગ અને સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તકેદારીના ભાગરૂપે સમગ્ર ગીર વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.
સિંહના મોત અંગે ગાંધીનગરથી PCCF જયપાલસિંહે વિગતો આપતા જણાવ્યું છે કે, 'અગાઉ પણ અલગ-અલગ વિસ્તારોમાં બે સિંહબાળના મોત થયા હતા. જંગલમાં સિંહ પર મંડરાઈ રહેલા રોગચાળાના ખતરાને જોતા વનવિભાગ અત્યંત સતર્ક બન્યું છે. વનવિભાગની ખાસ ટીમો દ્વારા સિંહોની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્ય માટે જંગલના પ્રભાવિત વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને ટ્રેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.'
બીજી તરફ, ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવના જણાવ્યાનુસાર, અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આ ચાલુ સિઝન દરમિયાન એકપણ સિંહનું મોત થયું નથી. વનવિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 350 જેટલા સિંહોનું સઘન નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી છે, જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય. હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ગીરના પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ કરીને સિંહોની સ્થિતિ પર કડક નજર રાખી રહી છે.
શું છે બેબીસિયા રોગ?

