- Education
- ગુજરાતની નવી શિક્ષણ નીતિમાં મોટો બદલાવ, ધો. 1-8માં હવે પાસ-નાપાસ નહીં 15-20 પાનાંનું 'HPC કાર્ડ' અપા...
ગુજરાતની નવી શિક્ષણ નીતિમાં મોટો બદલાવ, ધો. 1-8માં હવે પાસ-નાપાસ નહીં 15-20 પાનાંનું 'HPC કાર્ડ' અપાશે
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં ધોરણ 1-8ના પરિણામપત્રકના માળખામાં વ્યાપક સુધારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણના સ્તરે હવે પરંપરાગત રીતે આપવામાં આવતા પાસ કે નાપાસના પરિણામને સ્થાને વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે જ નવું પરિણામપત્રક તૈયાર કરીને આપવામાં આવશે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવામ મુજબ, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને રાજ્ય શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ‘સ્ટેટ કરિક્યૂલમ ફ્રેમવર્ક’ જાહેર કરશે, જેના આધારે રાજ્યની શાળાઓમાં શિક્ષણ અને મૂલ્યાંકનની નવી પદ્ધતિ અમલમાં આવશે.
નવી વ્યવસ્થામાં ધોરણ 1-8 સુધીના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત ‘પાસ-નાપાસ’ પદ્ધતિને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે HPC કાર્ડ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને એક પાનાનું પરિણામપત્રક આપવામાં આવતું હતું, જ્યારે હવે 15-20 પાનાંનું વિસ્તૃત મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં આવશે. આ કાર્ડમાં માત્ર માર્ક્સ નહીં પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ નવા માળખામાં વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતા સાથે તેની વિચારશક્તિ, પ્રેઝન્ટેશન સ્કિલ, સર્જનાત્મકતા, સમૂહમાં કામ કરવાની ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની આવડત જેવા પાસાઓને પણ મહત્ત્વ આપવામાં આવશે. મૂલ્યાંકન હવે માત્ર લેખિત પરીક્ષાઓ પૂરતું મર્યાદિત નહીં રહે. તેના બદલે પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન, સમૂહ ચર્ચા, પ્રયોગો અને પોર્ટફોલિયો આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવશે.
નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીઓનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ મૂલ્યાંકનમાં માત્ર શિક્ષક નહીં, પરંતુ વિદ્યાર્થી પોતે, તેના સહપાઠી મિત્રો અને વાલીઓના પ્રતિસાદનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે કે બાળકના શૈક્ષણિક પરિણામ સાથે તેના શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસનું પણ મૂલ્યાંકન થશે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના નવા માળખાને 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. નર્સરીથી ધોરણ 2 સુધી રમત-ગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. ધોરણ 3-5 દરમિયાન ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયને શોધખોળ અને રમતો દ્વારા શીખવવામાં આવશે. ધોરણ 6-8માં વ્યવસાયલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે ધોરણ 9-12માં વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે.
નવી નીતિમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વચ્ચેની પરંપરાગત દિવાલો પણ તૂટશે. વિદ્યાર્થીઓ હવે અલગ-અલગ વિષય જૂથોમાંથી પોતાની પસંદગી મુજબ વિષયો લઈ શકશે. સાથે જ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને વધુ સરળ, તાર્કિક અને ક્ષમતા આધારિત બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે. આ નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના અમલ પહેલા શિક્ષકોને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. શિક્ષકો માટે મોડ્યૂલર ટ્રેનિંગ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી તેઓ નવી પદ્ધતિને અસરકારક રીતે અમલમાં મૂકી શકે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ નવી પ્રણાલીને અમલમાં મૂકવા માટેની તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નવો નિર્ણય વિદ્યાર્થીઓ પરથી પરીક્ષા અને પરિણામનું માનસિક દબાણ ઘટાડવા તેમજ તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવી રહ્યો હોવાનું મનાય છે. આ અંગેની સત્તાવાર જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગમે ત્યારે કરવામાં આવી શકે છે, જેને પગલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ માળખામાં એક મોટો વહીવટી અને શૈક્ષણિક સુધારો જોવા મળશે.

