- Gujarat
- રાજકોટમાં ACP પટેલે જુગારીને એવી સલાહ આપી કે નિવૃત્તિના 24 કલાક અગાઉ જ બરતરફ કરાયા
રાજકોટમાં ACP પટેલે જુગારીને એવી સલાહ આપી કે નિવૃત્તિના 24 કલાક અગાઉ જ બરતરફ કરાયા
ગુજરાતમાં ગૃહ વિભાગે કડક નિર્ણય લેવાનું શરૂ દીધું છે. રાજકોટમાં જુગારના આરોપીને મદદ કરવાના ગંભીર આરોપો બાદ તેની તપાસમાં દોષિત જાહેર થયેલા રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી. જી. પટેલને નિવૃત્તિના એક દિવસ અગાઉ જ ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે 30 મેના રોજ તેમને બરતરફ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 31 મે નિવૃત થનાર આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન જુગારના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો. આ મામલે ચાલી રહેલી વિભાગીય તપાસમાં તેઓ દોષિત સાબિત થતા, ગૃહ વિભાગે કડક વલણ અપનાવીને 30 મેના જ તેમની બરતરફીનો આદેશ જાહેર કરી દીધો છે.
રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમ ACP તરીકે ફરજ બજાવતા વિનાયક જી. પટેલ 31 મેના રોજ સાંજે વય મર્યાદા અંતર્ગત નિવૃત થવાના હતા. તેઓ નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા, તેના એક દિવસ અગાઉ એટલે 30 મેના રોજ સાંજે ગૃહ વિભાગ દ્વારા બરતરફ કરતો હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ACP પટેલને બરતરફ કરવા પાછળનું કારણ એ છે કે તેઓ જ્યારે વડોદરામાં H ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી સંજય ઉર્ફે ભુરો અમૃતલાલ છગાણીને ગુનામાં પકડાય નહીં તે માટે ઘરે ન રહેવાની સલાહ આપી હતી.
આરોપીની મદદ કરવા બદલ વહીવટ પણ થયો હોવાની ચર્ચા થઇ રહી હતી. જેથી આરોપીની મદદ કરવા અંગે તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી હતી અને તપાસ બાદ રિપોર્ટ ગૃહ વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. જેના આધારે ACP વિનાયક પટેલને નિવૃત્તિના એક દિવસ અગાઉ તેમને બરતરફ કરવાનો કડક નિર્ણય ગૃહ વિભાગે કર્યો હતો.
ખાતાકીય તપાસ કરતા અધિકારીએ કરેલી સમીક્ષામાં સામે આવ્યું કે, 2 નવેમ્બર 2025ના રોજ ખાતાકીય તપાસમાં તેઓને દોષમુક્ત જાહેર કરવા રજૂઆત કરી હતી. પરંતુ વધારાનું બચાવનામું આખરી શિક્ષા સુચવતી વખતે ધ્યાને લેવામાં આવ્યું નથી, તેમજ ગુજરાત જાહેર સેવા આયોગના ધ્યાને પણ મૂક્યું હોય તેવું જણાતું નથી. આથી આ જ કારણસર આક્ષેપિતની સામે સૂચિત કરવામાં આવેલી શિક્ષા ટકવા પાત્ર નથી અને ખાતાકીય તપાસ આ કારણસર પણ દૂષિત થાય છે.
તો બીજી તરફ વીજી પટેલે પોતાના બચાવમાં કહ્યું હતું કે, 31 મે, 2026ના રોજ 33 વર્ષની લાંબી સેવાઓ આપ્યા બાદ વય નિવૃત્ત થવાનો છું. આ સંજોગોમાં જો સૂચિત શિક્ષા કરવામાં આવે તો વયનિવૃત્તિ બાદના લાભો એટલે કે પેન્શન, ગ્રેચ્યુએટી, વગેરેથી વંચિત રહી જઈશ અને નિવૃત્તિ બાદનું જીવન પેન્શન તેમજ નિવૃત્તિના લાભો સિવાય ખૂબ જ વિકટ અને મુશ્કેલ બની રહેશે. મારી સામે સૂચિત કરવામાં આવેલી શિક્ષા ખૂબ જ વધુ પડતી અને અપ્રમાણસર છે અને તેથી આવી કોઇ શિક્ષા ન કરવા વિનંતી છે.
એક ઉચ્ચ કક્ષાના ક્લાસ-1 અધિકારીને સીધા નોકરીમાંથી બરતરફ કરી દેવાની રાજ્ય સરકારની આ સપાટાબંધીથી અન્ય ભ્રષ્ટ કે બેદરકાર અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કડક કાર્યવાહી બાદ હવે પોલીસ તંત્રમાં એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે ફરજમાં કોઈપણ પ્રકારની આળસ, બેદરકારી કે ગુનેગારો સાથેની મિલીભગત ચલાવી લેવામાં નહીં આવે.

