- Opinion
- ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં હર્ષ સંઘવીનું નામ આજે વિશ્વાસ અને કાર્યક્ષમ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. યુવા વયે ધારાસભ્ય બનવું, પછી ગૃહમંત્રીની કાંટાળા તાજ જેવી જવાબદારી સફળતાપૂર્વક સંભાળી અને હવે ઉપમુખ્યમંત્રી તરીકે કાર્યરત હર્ષ રાજનીતિમાં સતત આગળ વધી રહ્યા છે. તેમનો કાર્યકાળ એ જણાવે છે કે સમર્પણ, સ્પષ્ટ લક્ષ્ય અને મતદારો સાથે સીધા સંપર્કમાં રહેવાથી સાચી દિશામાં કાર્ય કરી શકાય છે.

હર્ષ સંઘવીની સૌથી મોટી ખાસિયત મિલનસાર અને સૌને આવકારવાનો સ્વભાવ છે. કોઈની પણ તકલીફમાં સમય કાઢીને મદદ કરવાનો પ્રયાસ કરે છે. લોકોની વાત સાંભળે છે, સમજે છે અને યોગ્ય હોય તો ત્વરીતે તેનો ઉકેલ લાવે છે. સ્વભાવના આ ગુણને કારણે હર્ષ પોતાના પક્ષમાં કાર્યકર્તાઓનું ગમતું વ્યક્તિત્વ બન્યું. રાજનીતિમાં ઘણા લોકો પોતાના ચોક્કસ દાયરા સુધી જ સીમિત રહે છે પણ હર્ષ સંઘવી દરેકને સાથે લઈને ચાલવાનું પસંદ કરે છે. આ અભિગમને કારણે સમય જતા સર્વસ્વીકૃત વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે.
હર્ષ સંઘવીની વાણી સ્પષ્ટ અને સરળ છે. જ્યારે તેઓ બોલે છે ત્યારે શબ્દોમાં કોઈ ગોળગોળ વાત નથી હોતી. આ સ્પષ્ટતા તેમને જાહેર કાર્યક્રમોમાં પ્રભાવી વક્તા બનાવે છે. લોકો તેમની વાત સરળતાથી સમજી શકે છે અને વિશ્વાસ મૂકે છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા, પોલીસ સુધારા અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વના પગલાં ભર્યાં. કોરોના કાળમાં પણ સતત સેવા કાર્યમાં કાર્યરત રહી સેવાયજ્ઞ ચલાવ્યો.

હર્ષ સંઘવીની એક વાત ખાસ છે કે તેઓ પત્રકારોને પણ સામેથી મળે છે. મીડિયા સાથે મુક્ત મને ચર્ચા કરે છે. ગુજરાતના મુદ્દાઓ જેવા કે સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, પાણી, રોજગારી, ઔદ્યોગિક વિકાસના વિષયોનો સતત અભ્યાસ કરે છે. અહીં એક સેવાલક્ષી નેતાની કુનેહ દેખાય છે કે જે માત્ર વાત નથી કરતા પણ જનહિતમાં વ્યવહારુ ઉકેલો પણ શોધે છે. ઉપમુખ્યમંત્રી તરીકે આજે હર્ષ સંઘવી રાજ્યના વિકાસના મોટા નિર્ણયોમાં અગત્યની ભૂમિકામાં છે અને પોતાના પ્રત્યેક વિભાગોમાં પૂર્ણ સંકલનમાં રહે છે.
રાજનીતિમાં આગળ વધતા હર્ષ સંઘવીને નિંદા અને ટીકા પણ મળી છે. વિરોધ પક્ષના કેટલાક નેતાઓએ તેમના કામમાં ઉણપો કાઢવાના અનેક પ્રયાસ કર્યા પણ તેઓ વિચલિત થયા વિના પોતાની જવાબદારી નિભાવતા રહ્યા. પક્ષે સોંપેલી દરેક જવાબદારીમાં હર્ષ સંઘવીએ સારું પરિણામ આપ્યું છે જે તેમના સહકાર્યકર્તાઓને પણ પ્રેરણા આપે છે.

આજે હર્ષ સંઘવી એક એવા નેતા છે જે રાજ્યના યુવાનો માટે પ્રેરણારૂપ છે. રાતદિવસ સમાજસેવામાં વ્યસ્ત રહે છે. લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે. તેમની સ્પષ્ટ વાણી, સૌને સાથે લઈને ચાલવાની રીત અને ગુજરાતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ક્ષમતા તેમને એક અલગ ઓળખ આપે છે.
હાલ ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે અને આગળ પણ રહેશે એવી આશા રાખીએ. હર્ષ સંઘવીની અત્યાર સુધીની રાજકીય કારકિર્દી એ સંદેશ આપે છે કે મહેનત અને સારા સ્વભાવથી કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

