- Opinion
- ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતમાં બહુમત ભૂમિ સાથે જોડાયેલો સમાજ છે. જેમના જીવનમાં અને લોહીમાં ખેતી સંસ્કાર અને ભક્તિનો સમન્વય છે. આજે યુવાનો ભણતર પામીને શહેરીકરણ તરફ વળ્યા છે. ખેતી કરવાનો ગુણ અને રુચિ ઓછા થઈ રહ્યા છે. શહેરોમાં વસેલા પરિવારોને ગામડાની ખેતીમાં રસ ઓછો થતો ગયો છે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, જમીનોના ભાવ વધ્યા છે અને એજ કારણે જેમણે સારું શિક્ષણ મેળવી લીધું છે એવા યુવાનો ખેતીની જરૂર નથી અને જમીનનું સારું વળતર મળે છે તો વેચી દઈએ એવી માનસિકતા વધી છે. જમીનો વેચાય એટલે મોંઘીદાટ ગાડીઓ અને વૈભવી મકાનો બનાવી લેવાની હોડ વધી છે! અને ટૂંકમાં કહું તો લાખના બાર કરવાનો (ખોટ કરવાનો) નિર્ણય કહી શકાય.
પરંતુ આ યુવાનોએ સમજવાની જરૂર છે કે આપણો વારસો ખેતી છે અને જમીન આપણી ખેડૂત તરીકેની ઓળખ અને પૂંજી છે એને સાચવવી જોઈએ. એમ વધ ના કરો તો ચાલશે પણ કમસેકમ એની જાળવણી કરીએ ઘરના અનાજની ઉપજ મેળવીએ એમ નુકશાન શું? થોડું સકારાત્મક ચિંતન કરવાની જરૂર છે અને જાગૃતિ લાવીએ તો આપના ગામડાના ઘર અને ખેતરમાં જીવ રહે.

આજના આધુનિક યુગમાં વિકાસ અને વૈભવના લોભમાં આપણે મૂળ ઓળખને ભૂલી રહ્યા છીએ. જમીન માત્ર સંપત્તિ નથી તે આપણા અસ્તિત્વનું પ્રતીક છે. પૂર્વજોએ આ જમીનને પોતાના પરસેવાથી સિંચી છે તેમાં ખેતીની સંસ્કૃતિને વિકસાવી છે. આજે યુવાન પેઢી જ્યારે શહેરી જીવન અને મોંઘીદાટ જીવનશૈલી તરફ આકર્ષાય છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે આ જમીન વેચવી એ માત્ર આર્થિક નુકસાન નથી પરંતુ સાંસ્કૃતિક અને આત્મિક નુકસાન છે.
જમીન વેચવાથી મળતું તાત્કાલિક ધન થોડા વર્ષોમાં વપરાઈ જાય છે. મોંઘી ગાડીઓ અને વૈભવી મકાનોની ચમક ક્ષણિક છે. તેના વિરુદ્ધ જમીન સમય સાથે વધુ મૂલ્યવાન બને છે અને તે આપણા પરિવાર માટે સ્થાયી સુરક્ષા પૂરી પાડે છે. આર્થિક મંદી કે અન્ય મુશ્કેલીઓમાં જમીન જ સાચો આશરો બની શકે છે. ગુજરાતના ગામડાઓના અનેક પરિવારોએ જમીન વેચીને પછી પસ્તાવો કર્યો છે કારણ કે તેમની જમીન પાછી મેળવવી અશક્ય બની ગઈ.

આપણે યુવાનોને અપીલ કરવી જોઈએ કે ખેતીને છોડવાને બદલે તેને આધુનિક બનાવો. ડ્રિપ ઇરિગેશન, ઓર્ગેનિક ખેતી, સોલાર ટેક્નોલોજી અને સારા માર્કેટિંગના ઉપયોગથી ખેતીને નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. શિક્ષિત યુવાનો જો ખેતરમાં પાછા ફરે તો તેઓ નવીનતા લાવી શકે છે. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ પરિવારની એકતા, ગામડાની સંસ્કૃતિ અને પર્યાવરણનું પણ સંરક્ષણ થશે.
જમીનથી જ આપણી ઓળખ છે. તે આપણા બાળકોને આપણા વારસાની યાદ અપાવશે. આવશ્યક છે કે સકારાત્મક વિચારસરણી અપનાવીએ અને આપણા ખેતરોને જીવંત રાખીએ. જ્યાં સુધી ખેતરો હશે ત્યાં સુધી ગુજરાતના ખેડૂતનું અસ્તિત્વ અને ગૌરવ જળવાઈ રહેશે. આ જ સાચો વિકાસ છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

