- Gujarat
- છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક
બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ધારિયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ કેસમાં દાતાના પાડલીયા ગામના રહેવાસી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સોમવારે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના ગત આદેશ મુજબ વન વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાઇકોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે વન વિભાગ છોડ વાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે કેમ લઈ ગયા હતા? શું પોલીસ આદિવાસીઓ ઉપર ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી? જે પણ પ્રશ્ન હતો તેને વહીવટી લેવલ ઉકેલ શોધવા પ્રયત્ન કેમ કરાયો નહોતો?
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આ જંગલની જમીન છે. આ વિસ્તાર બાલારામ સેન્ચુરીમાં આવે છે. અહીં 172 આદિજાતિ લોકોએ ક્લેમ કર્યો છે, જેઓ અહીં ખેતી કરે છે. અહીં ફોરેસ્ટ એક્ટ લાગૂ પડે છે. કોર્ટે તેમને પૂછ્યું હતું કે જે જમીન ઉપર તમે દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું? અરજદારે જણાવ્યું હતું કે તેનો ક્લેમ કરવામાં આવ્યો છે અને સરકારના અનુમોદન માટે પેન્ડિંગ છે. પરંતુ તેમ છતા સરકારે આદિવાસીઓને ખેતી કરતા રોકવા ક્લેમવાળી જમીન ઉપર રોપા રોપવાનો પ્રયાસ કર્યો.
અરજદારે એમ પણ કહ્યું કે, આ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે જંગલની જમીન ઉપર આદિજાતિના કેટલા ક્લેમ આવ્યા છે? જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી 10 હજાર ક્લેમ આવ્યા હતા. જેમાંના 7000 ક્લેમ મંજૂર કરાયા છે, જ્યારે 2869 ક્લેમ પેન્ડિંગ છે. જે જમીન ઉપર છોડ વાવવા તંત્ર આવ્યું હતું. ત્યાં એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતી. તેમને કાયદા મુજબ ખેતી કરવાનો અધિકાર છે, તમને ખસેડી નહીં શકાય.
કોર્ટે સરકારી વકીલને પૂછ્યું હતું કે, અરજદારના વકીલ જે 172 ક્લેમની વાત કરી રહ્યા છે, તે પાડલીયા ગામના છે? જેનો જવાબ ‘હા’માં આવ્યો હતો. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કે એક તરફ તમે ક્લેમવાળી જમીન ઉપર છોડ વાવવા જાવ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો કે અજાણતા આ ઘટના બની છે! કોણે આ જમીન ઉપર રોપા વાવવા હુકમ કર્યો હતો, જ્યારે તમે આદિજાતિઓ ઉપર પોલીસ ફરિયાદ કરી છે.
સંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ. તમે આદિજાતિ વિસ્તારમાં જઈને રાજ્યની શક્તિ બતાવવા માંગતા હતા. જો પ્રશ્નો હતા તો ફોર્સ કેમ વાપરી? સિવિલ એડમિનિસ્ટ્રેશન સમક્ષ મુદ્દો કેમ ન મૂક્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર કેમ પડી? ગોળી મારવા? આ બોર્ડર નહીં, તમારા નાગરિકો છે. સરકારી વકીલે કહ્યું હતું કે તેમણે બે દિવસ અગાઉ આદિવાસીઓને સમજાવ્યા હતા.
જો કે, કોર્ટે પ્રશ્ન પકડી રાખ્યો હતો કે ક્લેમ નક્કી કરવા અગાઉ તમે કેમ છોડ વાવવા ગયા હતા? તેની જરૂર શું હતી? તમે ઘોડા આગળ ગાડું કેમ મૂક્યું? બંધારણીય કોર્ટ આંખો બંધ કરી નહીં શકે! સરકારી વકીલે કહ્યું હતું કે અરજદારે આદિવાસીઓને ઉશ્કેર્યા હતા, તેઓ બંધારણમાં અને વ્યવસ્થામાં માનતા નથી, તેઓ દેશને પોતાની માલિકીનો ગણાવે છે. RFOએ પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ જંગલની બધી જમીન ઉપર હક દાવો કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી? સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો? આ કેસમાં વધુ સુનાવણી 16 એપ્રિલે થશે.

