- Opinion
- એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ)
આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત અનાવૃષ્ટિનો કહેર વરસ્યો ત્યારે રાજકોટ જેવા મોટા શહેરોમાં પાણીના સ્ત્રોત સુદ્ધા સુકાઈ ગયા હતા. લાખો લોકોનું જીવન પાણી વિના અટવાઈ ગયું હતું. ખેતી સુકાઈ, પશુઓ મરવા લાગ્યા અને પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર થયા. તે વખતે અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પાણી ભરેલી ટ્રેનો રાજકોટ સ્ટેશન પર પહોંચતી. લગભગ 3.7 લાખ લિટર પાણી વહન કરતી આ ‘વોટર ટ્રેન’ને જોવા હજારો લોકો એકત્ર થઈ જતા. ટ્રેનની સીટી સાંભળીને લોકોની આંખોમાં આનંદનાં આંસુ આવી જતાં. પરંતુ આ એક હંગામી ઉપાય હતો. દિવસે દિવસે પાણીની અછત વધતી જતી અને સૌરાષ્ટ્રની માટી તરસી રહેતી.

ત્યારની પરિસ્થિતિનું વર્ણન કરવું હોય તો તે એક કરુણ યાદ જેવી લાગે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં દર વર્ષે અનાવૃષ્ટિનો સામનો કરવો પડતો. કુવા, તળાવ અને ડેમ સુદ્ઘા સુકાઈ જતા. ઘરની વહુ, દીકરીઓ કિલોમીટરો ચાલીને પાણી લાવતી. ખેડૂતોના પાક સુકાઈ જતા. પશુપાલન અશક્ય બની જતું. 1980 અને 1990ના દાયકામાં આ પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી હતી. રાજકોટ જેવા શહેરોમાં વસ્તીને સ્થળાંતર કરાવવાની વાતો ચર્ચાતી. પાણી વિના જીવન અસંભવ હતું. તે સમયે કોઈને ખ્યાલ નહોતો કે એક દિવસ આ જ સૌરાષ્ટ્ર પાણીના અમૃતથી ભરપૂર થશે.

પરંતુ વિકાસની વાતો ત્યારે શરૂ થઈ જ્યારે ભાજપ સરકારે અને તેના વિઝનરી નેતાઓએ પાણીના મુદ્દાને પ્રાથમિકતા આપી. અહીં કેશુભાઈ પટેલનું નામ અગ્રેસર છે. કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે જે દૂરદર્શી પગલાં ભર્યાં તે આજે પણ પ્રશંસાને પાત્ર છે. તેમણે સરદાર સરોવર નર્મદા યોજનાને વેગ આપ્યો. સરદાર પટેલ જલસંચય સહભાગી યોજના હેઠળ હજારો ચેકડેમ અને તળાવો બાંધ્યા. જલધારા ટ્રસ્ટ સાથે મળીને જળસંરક્ષણના કાર્યો કર્યા. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારે સૌરાષ્ટ્ર કચ્છના વિકાસ માટે મહિ કેનાલ અને નર્મદા કેનાલના પાઈપલાઈન પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું. 2000માં તેમણે જે યોજનાઓનો પાયો નાખ્યો તે આજે સૌરાષ્ટ્રને પાણી રૂપી અમૃત આપી રહ્યું છે. કેશુભાઈ પટેલની આ દૂરદર્શિતા અને અથાગ પ્રયાસો વિના આ યાત્રા અશક્ય હતી. તેમની નોંધનીય પ્રશંસા કરવી જ પડે તેઓ એક એવા નેતા હતા જેણે સૌરાષ્ટ્રની તરસને સમજી અને તેનો ઉકેલ લાવવાનો માર્ગ મોકળો કર્યો.

પછી આવ્યા નરેન્દ્રભાઈ મોદી. મુખ્યમંત્રી તરીકે અને આજે વડાપ્રધાન તરીકે તેમનું યોગદાન અતુલ્ય છે. નરેન્દ્રભાઈએ કેશુભાઈ પટેલના સ્વપ્નને વાસ્તવિકતા આપી. 2001 પછી તેમણે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી અને નર્મદાના નીરને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું કાર્ય ત્વરિત બનાવ્યું. SAUNI યોજના (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના) તેમની સૌથી મોટી ભેટ છે. આ યોજના હેઠળ 1126 કિલોમીટર લાંબી પાઈપલાઈન્સથી નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 115 નાના મોટા ડેમ અને તળાવોમાં ભરવામાં આવ્યું. આજી, ઉપરાઈ, ધોરી જેવા ડેમો હવે નર્મદાના પાણીથી છલકાઈ રહ્યા છે. લાખો એકર જમીનને સિંચાઈ મળી. ખેડૂતોના પાક વધ્યા. મગફળી, કપાસ અને અન્ય ખેતીની ઉપજમાં વધારો થયો. ભાજપ સરકારની સતત પ્રતિબદ્ધતા અને નરેન્દ્રભાઈ મોદીની અડગ મહેનતથી સૌરાષ્ટ્રમાં પાણીનું નેટવર્ક વિસ્તર્યું. વડાપ્રધાન તરીકે તેમણે વિવિધ યોજનાઓ દ્વારા દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડ્યું. સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજે પાણીની કોઈ અછત નથી. ડ્રીપ ઇરીગેશન, વરસાદી પાણીનો સંગ્રહ અને નર્મદા કેનાલના વિસ્તારથી વિકાસની નવી ગાથા લખાઈ છે.

આજની પરિસ્થિતિ ત્યારની સાથે સરખાવીએ તો એક આકાશ પાતાળનો ફરક દેખાય. ત્યારે પાણી માટે ટ્રેનની રાહ જોવી પડતી તો આજે પાણી ઘર ઘરમાં, ખેતર ખેતરમાં વહે છે. સૌરાષ્ટ્રમાં કૃષિ વિકાસ થયો છે. લાખો એકરમાં સિંચાઈની સુવિધા મળી છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ ખીલ્યા છે. ગામડાઓમાં સ્થળાંતર ઘટ્યું છે અને સમૃદ્ધિ વધી છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને જીવનદાયી બનાવી દીધું છે. ભાજપ સરકારની નીતિઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ પરિવર્તન શક્ય બન્યું છે. કેશુભાઈ પટેલની વિઝનરી પહેલ, ભાજપ સરકારની સતત મહેનત અને નરેન્દ્રભાઈની અથાગ કર્મઠતા વિના આ સ્વપ્ન સાકાર ન થાત. આ ત્રણેયની પ્રશંસા કરવી જોઈએ કેમકે તેઓએ સૌરાષ્ટ્રને તરસ્યું નથી રહેવા દીધું. તેમના પ્રયાસોને કારણે આજે દરેક સૌરાષ્ટ્ર પરિવાર જળથી સંતૃપ્ત છે.
પરંતુ જળ સાથે સુખ આવ્યું છે તેનો અર્થ એ નથી કે આપણે તેનો દુરુપયોગ કરીએ. જળ સાથે સુખ આવ્યું અને સુખ પચાવી જાણવું એજ સાચી ભાવના કહેવાશે. આજે આપણે પાણીને સંરક્ષિત કરવું જોઈએ. વરસાદી પાણીનું સંગ્રહણ, ડ્રીપ ઇરીગેશન અને જાગૃતિ વધારવી જરૂરી છે. જેથી આવનારી પેઢીઓ પણ આ સુખનો અનુભવ કરી શકે. કેશુભાઈ પટેલ, ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અમૂલ્ય યોગદાનને યાદ કરીને આપણે તેમના વિઝનને આગળ વધારવું જોઈએ.

સૌરાષ્ટ્રની આ જળ સંઘર્ષની ગાથા એક પ્રેરણા ગાથા છે. ત્યારની તરસ અને આજની સમૃદ્ધિ વચ્ચેનું અંતર નેતૃત્વની ઈચ્છ શકિત દર્શાવે છે. જળ જીવન છે અને તેને સાચવવું એ જ સાચી ભાવના છે. આપણે સૌ આ ભાવના સાથે આગળ વધીએ તો સૌરાષ્ટ્રનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

