- Opinion
- આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ...
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
(ઉત્કર્ષ પટેલ)
સોનાની મૂરત એવા સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં મોટું નામ કહી શકાય બંકિમ તરુણ દવે. તેમના પિતા તરુણ દવે પણ જાણીતા આર્કિટેક્ટ હતા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમનું કાર્યક્ષેત્ર રહ્યું. દાદા રમણલાલ દવેએ 1949માં સુરતની પ્રથમ આર્કિટેક્ચર ફર્મ ‘રમણલાલ દવે એન્ડ સન્સ’ શરૂ કરી હતી જેમણે સુરત શહેરનું પહેલું RCC બિલ્ડિંગ ડિઝાઇન કર્યું હતું. આ વારસાને આજે બંકિમભાઈ ખૂબ કુશળતાથી આગળ વધારી રહ્યા છે.

બંકિમભાઈએ અભ્યાસ પૂર્ણ કરી 1985માં પિતાની ફર્મમાં જોડાઈને ઇન્ટિરિયર ડિઝાઇનનો નવો આયામ ઉમેર્યો. આજે તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને તેઓ સરકાર માન્ય વેલ્યુઅર પણ છે.
તેમના પ્રોજેક્ટ્સમાં હાઇએન્ડ બંગલા, કોમર્સિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, ઓપન એર થિએટર અને ઔદ્યોગિક ઇમારતો જેવા વિશેષ પ્રોજેક્ટ્સ પર સફળતાપૂર્વક કાર્યો થયા છે. ખાસ કરીને હાઇએન્ડ ઘરોના ઇન્ટિરિયરમાં તેઓ મકાનમાલિકની જીવનશૈલી, પરિવાર અને લાગણીઓને સમજીને ડિઝાઇન કરે છે. તેમની ફર્મ ‘બંકિમ દવે આર્કિટેક્ટ્સ’ સુરતમાં અગ્રણી આર્કિટેક્ટ ફર્મ તરીકે જાણીતી છે.


સ્વભાવે બંકિમભાઈ પર્ફેક્શનિસ્ટ છે. તેઓ તેમના પ્રત્યેક પ્રોજેક્ટમાં ઝીણવટભર્યું પ્લાનિંગ, નિયમિત સાઇટ વિઝિટ અને સમય બજેટમાં કામ પૂરું કરવા માટે જાણીતા છે. નવીનતા અને આધુનિકતા પ્રત્યે તેમને હંમેશા રુચિ રહે છે. તેઓ વિવેકી વક્તા પણ છે. 1989થી રોટરી ક્લબમાં સક્રિય છે અને 100% તેમનું યોગદાન જાળવી રાખ્યું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID)ના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે (2010-12) તેમણે સંસ્થાનું ગવર્નન્સ સુધાર્યું, શિક્ષણ સિલેબસને આંતરરાષ્ટ્રીય સ્તરનો બનાવ્યો અને અનેક વર્કશોપ સેમિનાર યોજ્યા. તેમણે ભારતીય ઇન્ટિરિયર ડિઝાઇનને વૈશ્વિક માન્યતા મળે એ માટે પણ મહેનત કરી. APSDA અને CWLID સાથે પણ સમર્પણ ભાવ સાથે સક્રિય રહ્યા છે. WADE Asia 2024ના જ્યુરી સભ્ય રહ્યા અને હર્મિસ એન્ડ આઇરિસ પ્રાઇઝ જેવા એવોર્ડ્સ પણ એમને મળ્યા છે. સુરતની SCETમાં પણ અધ્યાપન કર્યું છે અને વિદ્યાર્થીઓના પ્રિય રહ્યા છે.

બંકિમ દવે માત્ર બાંધકામ સજાવટ જ નહીં પરંતુ લોકોના સપનાંને આકાર આપે છે. દવે પરિવારની ત્રણ પેઢીએ સુરતને નિખારવામાં પોતાનું યોગદાન આપ્યું છે જે સુરત શહેર માટે ગર્વની વાત પણ કહી શકાય.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

