- Astro and Religion
- ઉત્તરાખંડનું આ મંદિર જ્યાં શિવ-પાર્વતીએ કર્યા હતા લગ્ન, બન્યું વેડિંગ ડેસ્ટિનેશન
ઉત્તરાખંડનું આ મંદિર જ્યાં શિવ-પાર્વતીએ કર્યા હતા લગ્ન, બન્યું વેડિંગ ડેસ્ટિનેશન
દેવભૂમિ ઉત્તરાખંડમાં ઋષિકેશ અને હરિદ્વાર સહિત ઘણા એવા સ્થળો છે, જ્યાં લોકો દૂર દૂરથી ફરવા આવે છે. જ્યારે બદ્રીનાથ અને કેદારનાથ જેવા મોટા ધામો તો ભક્તો માટે છે જ. પણ ઉત્તરાખંડમાં એક એવું મંદિર પણ છે, જ્યાં ખાસ કરીને લોકો લગ્ન કરવા આવે છે. આ મંદિરનું નામ છે- ત્રિયુગી નારાયણ મંદિર. જેને શિવ-પાર્વતીના વિવાહ સ્થળના રૂપમાં ઓળખવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે.

સ્થાનીય ભાષામાં લોકો આને ત્રિયુગી નારાયણના નામે બોલાવે છે. આ મંદિરમાં વર્ષોથી અગ્નિ કુંડ પ્રગટી રહ્યો છે. જેને લીધે આ મંદિરને અખંડ ધુનીના નામથી પણ ઓળખવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં સરસ્વતી કુંડ, રુદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મ કુંડ સ્થિત છે. જોકે, હવે આજના યુગમાં આ મંદિર વેડિંગ ડેસ્ટિનેશનના રૂપમાં ઉભરીને બહાર આવી રહ્યું છે. લોકો અહીં લગ્ન કરવા માટે આવી રહ્યા છે.
આ વિશે એક નિશાંત વર્મા નામના વ્યક્તિનું કહેવું છે કે, આ મંદિરને લઇ માનવામાં આવે છે કે, અહીં ભગવાન વિષ્ણુએ જ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા હતા. આ સ્થળ શિવ-પાર્વતી વિવાહ સ્થળના રૂપમાં પણ પ્રચલિત છે. વર્ષોથી પ્રગટી રહેલા અગ્નિકુંડને લઇ કહેવામાં આવે છે કે, આ એજ અગ્નિ છે જેના ફેરા શિવ-પાર્વતીએ લીધા હતા. આજે પણ તેના ફેરાની અગ્નિ ધુનિના રૂપમાં જાગૃત છે. અહીં લગ્નમાં આવેલા અન્ય દેવી-દેવતાઓએ સ્નાન પણ કર્યું હતું. મંદિર આવનારા ભક્તો અહીં જતા સમયે મંદિરની અખંડ ધુનીની રાખ પ્રસાદના રૂપમાં ઘરે લઇને જાય છે.

લોકોનું વેડિંગ ડેસ્ટિનેશન
નિશાંત વર્મા કે જે એક ઈવેન્ટ મેનેજમેન્ટના નિષ્ણાત છે તેમના અનુસાર, મોટા ભાગના લોકોમાં હવે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડને ફોલો કરતા લોકો ત્રિયુગી નારાયણ મંદિરમાં લગ્ન કરવા પહોંચી રહ્યા છે. લોકોની વચ્ચે આ સ્થળ ખૂબ જ પ્રચલિત થઇ રહ્યું છે.
દેશભરમાંથી રૂદ્રપ્રયાગ પહોંચવા માટે ઘણાં સાધનો સરળતાથી મળી શકે છે. રૂદ્રપ્રયાગથી સોનપ્રયાગ પહોંચવાનું રહે છે. અગસત્યમુનિથી ગુપ્તકાશી અને ત્યારબાદ સોનપ્રયાગ આવે છે. અહીંથી ત્રિયુગી નારાયણ મંદિર સરળતાથી પહોંચી શકાય છે.

