- National
- જે શખ્સ જેલમાં બંધ હતો, તેણે કેવી રીતે લૂંટ કરી? ઇન્સ્પેક્ટર સહિત 12 પોલીસકર્મીઓ સામે FIRના આદેશ
જે શખ્સ જેલમાં બંધ હતો, તેણે કેવી રીતે લૂંટ કરી? ઇન્સ્પેક્ટર સહિત 12 પોલીસકર્મીઓ સામે FIRના આદેશ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના બહજોઈ પોલીસ સ્ટેશનની પોલીસે લૂંટ અને એન્કાઉન્ટર કેસમાં ઓમવીર નામના એક વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. આ ઘટના 25 એપ્રિલ, 2022ના રોજ દૂધના વેપારી પાસેથી 1 લાખ રૂપિયાની લૂંટ સાથે સંબંધિત છે. પોલીસે 7 જુલાઈ, 2022ના રોજ ધરપકડ બતાવીને ઓમવીરને ખોટી રીતે આરોપી બનાવ્યો હતો. વાસ્તવમાં લૂંટવાળા દિવસે, ઓમવીર પહેલાથી જ બીજા કેસમાં બદાયૂં જેલમાં બંધ હતો. પુરાવાના આધારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિભાંશુ સુધીરે તત્કાલીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિત 12 પોલીસ અધિકારીઓ સામે FIR નોંધાવવાનો સખત આદેશ આપ્યો છે.
પોલીસે દૂધના વેપારી દુર્વેશ સાથે થયેલી લૂંટના કેસમાં પોતાની કહાની તો તૈયાર કરી લીધી, પરંતુ તેઓ ભૂલી ગયા કે રેકોર્ડ ક્યારેય ખોટું બોલતા નથી. પીડિત ઓમવીરે કોર્ટમાં સાબિત કરી દીધું કે 11 એપ્રિલ, 2022 થી 12 મે, 2022 સુધી તે બદાયૂં જિલ્લા જેલમાં બંધ હતો. જો કે પોલીસે તેને 25 એપ્રિલે લૂંટમાં સંડોવાયેલ બતાવ્યો હતો. સરકારી રેકોર્ડ મુજબ, 26 એપ્રિલે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને 12 મેના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
ઓમવીર જેલમાંથી બહાર આવ્યા બાદ 7 જુલાઈ, 2022ના રોજ, બહજોઈ પોલીસે એક ‘એન્કાઉન્ટર’ કર્યું હતું. તેમાં ઓમવીર, ધીરેન્દ્ર અને અવનેશની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે તેઓ એ જ લોકો છે, જેમણે એપ્રિલમાં લૂંટ કરી હતી. પોલીસે ઉતાવળમાં 12 જુલાઈના રોજ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. આરોપીનો આરોપ છે કે તત્કાલીન SHO પંકજ લવાણીયા અને અન્ય પોલીસકર્મીઓએ તેને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું અને ખોટી જપ્તીનો દાવો કર્યો હતો.
CJM કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા તેને પદનો દુરુપયોગ અને દસ્તાવેજોની છેતરપિંડી ગણાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ કાવતરું અને ખોટી તપાસનો કેસ પ્રતીત થાય છે. કોર્ટે બહજોઈ પોલીસ સ્ટેશનને તત્કાલીન SHO પંકજ લવાણિયા, ઇન્સ્પેક્ટર રાહુલ ચૌહાણ અને ઇન્સ્પેક્ટર પ્રબોધ કુમાર સહિત 12 પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કરવાનો અને 3 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તત્કાલીન CO ગોપાલ સિંહ વિરુદ્ધ પુરાવાના ન મળતા રાહત આપવામાં આવી છે.
ઓમવીરે ન્યાય મેળવવા માટે અધિકારીઓની કચેરીઓના ચક્કર લગાવ્યા, પરંતુ જ્યારે ક્યાંય સુનાવણી ન થઈ તો તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સાડા ત્રણ વર્ષ બાદ કોર્ટના આ નિર્ણયે ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના દાખલાઓના સંદર્ભે CJM કોર્ટે લોકસેવકોની જવાબદારી અંગે કડક ટિપ્પણીઓ કરી છે, જેના કારણે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

