- National
- અમે 2029 સુધી તો વિપક્ષમાં નહીં બેસીએ, જો તમે આ તરફ આવવા માંગતા હોવ તો..., CM ફડણવીસની ઉદ્ધવને ઓફર
અમે 2029 સુધી તો વિપક્ષમાં નહીં બેસીએ, જો તમે આ તરફ આવવા માંગતા હોવ તો..., CM ફડણવીસની ઉદ્ધવને ઓફર

મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓ (ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે)ના એક થયા પછી, રાજ્યનું રાજકારણ દરરોજ નવા વળાંક લઈ રહ્યું હોય તેવું લાગે છે. તાજેતરના કિસ્સામાં, CM દેવેન્દ્ર ફડણવીસે આજે (બુધવાર, 16 જુલાઈ) વિપક્ષી નેતા ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં તેમની સાથે જોડાવા માટે ખુલ્લી ઓફર આપી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના વિપક્ષી નેતા અને શિવસેનાના નેતા અંબાદાસ દાનવેના વિદાય પ્રસંગે ગૃહને સંબોધન કરતા અને હસતાં હસતાં CM ફડણવીસે મરાઠીમાં કહ્યું, 'જુઓ ઉદ્ધવજી... 2029 સુધી તો અમારા તે તરફ (વિપક્ષમાં)આવવાનો કોઈ અવકાશ નથી, પરંતુ જો તમે અહીં આવવા માંગતા હોવ તો વિચારો. તે તમારા પર નિર્ભર છે.'

આ પહેલા, ઉદ્ધવ ઠાકરે અને DyCM એકનાથ શિંદે સાથે તમામ સભ્યોની હાજરી વચ્ચે ગૃહમાં શબ્દ યુદ્ધ થયું હતું. DyCM એકનાથ શિંદેએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જ્યારે અંબાદાસ દાનવે ગૃહમાં ચૂંટાયા હતા, ત્યારે મેં તેમનો અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આજે હું તેમના વિદાય સમારંભમાં બોલી રહ્યો છું. મારી એવી ઈચ્છા છે કે આ અલ્પવિરામ સાબિત થાય, પૂર્ણવિરામ નહીં.
https://twitter.com/ANI/status/1945444337074024541
આ સાથે તેમણે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું, 'તમે (અંબાદાસ દાનવે) સોનાના ચમચા સાથે જન્મ્યા નથી.' તેમણે કહ્યું, 'અંબાદાસ, તમે બસ ડ્રાઇવરના દીકરા છો, તમારે લોકસભામાં પણ એ જ બસમાં બેસવું પડ્યું, પણ ઠીક છે, આ અંગે વધુ બોલવું યોગ્ય રહેશે નહીં.' આ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મારા સાથી અંબાદાસ દાનવે તેમનો પહેલો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. હું એમ નહીં કહું કે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, કહો કે, અંબાદાસ, તમે ફરી પાછા આવશો.'

આ પછી, CM ફડણવીસે કહ્યું કે, અંબાદાસ દાનવે (ઉદ્ધવ જૂથના નેતા) શાસક પક્ષમાં હોય કે વિપક્ષમાં, તેમના વાસ્તવિક વિચારો હિન્દુત્વવાદી છે. આ સંબોધન દરમિયાન, CM ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને એક ઓફર પણ કરી. તેમની ઓફર એવા સમયે આવી છે જ્યારે આગામી થોડા મહિનામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ યોજાવાની છે અને બીજી તરફ, ઠાકરે બંધુઓ બે દાયકા પછી એક થયા છે. અહીં તમને જણાવી દઈએ કે, BMC શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નિયંત્રણ હેઠળ રહ્યું છે. છેલ્લી ચૂંટણીમાં, BJP અને શિવસેના પાસે લગભગ સમાન બેઠકો હતી.

બીજા એક ઘટનાક્રમમાં, DyCM એકનાથ શિંદેએ ભીમરાવ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકરની પાર્ટી રિપબ્લિકન સેના સાથે હાથ મિલાવ્યા છે. મરાઠી-બિન-મરાઠી સંઘર્ષ વચ્ચે DyCM શિંદેએ દલિત મતો મેળવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, નિષ્ણાતો કહે છે કે, ઉદ્ધવ ઠાકરેનું શાસક મહાયુતિમાં પાછા ફરવું સરળ નહીં હોય.
Related Posts
Top News
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
Opinion
