- Governance
- ગુજરાતમાં પ્રદૂષણ કેવી રીતે કન્ટ્રોલ થાય, GPCBમાં નિમણૂકો જ પ્રદૂષિત..
ગુજરાતમાં પ્રદૂષણ કેવી રીતે કન્ટ્રોલ થાય, GPCBમાં નિમણૂકો જ પ્રદૂષિત..
ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કરનારી રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે ત્યારે પર્યાવરણનું કામ કરતી સંસ્થાના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. માત્ર નોટીસ આપવાથી પ્રદૂષણ ઓછું થશે નહીં પરંતુ તેના માટે સક્ષમ સ્ટાફની જરૂર હોવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ટેકનિકલ સ્ટાફની નિયુક્તિ કરવાનો આગ્રહ કર્યો છે.
રાજ્યમાં પ્રદૂષણની સ્થિતિ સુધારવા માટેનું કામ કરતી અનેક એનજીઓએ કહ્યું છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પૂર્ણકાલિન ટેકનિકલ અધ્યક્ષની નિયુક્તિ કરવી જોઇએ. ગુજરાતમાં આઇએએસ અધિકારીઓને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નિયુક્ત કરવાની પરંપરા ચાલી આવે છે. તેઓ ભલે એક સારા પ્રશાસક હોય પરંતુ ગુજરાતને કલંકિત કરવાવાળી પ્રવૃત્તિઓ સામે લડવા માટે બોર્ડને ટેકનિકલ વિશેષજ્ઞની વધારે જરૂરિયાત છે.
ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાથી હવા અને પાણીના પ્રદૂષણો સામે સરકારે તેમજ જનતાએ લડવું પડે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક એવી સંસ્થા છે કે જે આખા ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરે છે પરંતુ બોર્ડ રાજ્યના વિવિધ વિભાગોમાંથી પ્રતિનિયુક્તિથી આ જગ્યા ભરે છે. આ બોર્ડમાં આઇએએસ અધિકારીઓને પણ નિયુક્ત કરવામાં આવે છે પરંતુ તેઓ ટેકનિક બાબતો જાણતા નહીં હોવાથી બોર્ડની કામગીરીમાં ઘણીવાર વિલંબ થાય છે.
પર્યાવરણ પ્રેમીઓ માને છે કે બોર્ડના અધ્યક્ષની પસંદગી જાહેર પ્રક્રિયાથી થવી જોઇએ. ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદા પ્રમાણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અધ્યક્ષની નિયુક્તિ થતી નથી. અદાલતના નિર્દેશો અલગ છે અને નિયુક્તિ અલગ છે. આ બોર્ડના સભ્યસચિવની નિયુક્તિ માટે ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેમાં નિયત વયમર્યાદાનો મોટો પ્રશ્ન છે. સરકારે ઠરાવ્યું છે કે બોર્ડના સભ્ય સચિવ માટે કોઇપણ ઉમેદવારની આયુ 35 થી 60 વર્ષની હોવી જોઇએ. જો કે ગુજરાતમાં નિવૃત્તિવય 58 વર્ષની છે. અધ્યક્ષની ભરતી માટે 60ની વયમર્યાદા કેવી રીતે હોઇ શકે તે ધ્યાન દોરવા જેવી બાબત છે. સભ્યસચિવની વયમર્યાદા 35 થી 55 વર્ષની હોવી જોઇએ, કારણ કે આ એક કાર્યકારી પદ છે અને તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે.

