- Opinion
- અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
(ઉત્કર્ષ પટેલ)
આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન ધીમે ધીમે પણ ચોક્કસ રીતે થઈ રહ્યું છે. ભારતના યુવાઓમાં આધ્યાત્મિકતાની લહેર ફરી વળી છે. એક એવી લહેર જે વિદેશી પ્રવાસો, લક્ઝરી શોપિંગ કે પાર્ટીઓની જગ્યાએ મંદિરો, તીર્થસ્થાનો અને સંસ્કૃતિના મૂળ તરફ યુવાઓને ખેંચી રહી છે.

અયોધ્યાના રામ મંદિરના દર્શન માટે યુવાનોની લાંબી કતારો, કાશી વિશ્વનાથના ઘંટનાદમાં ખોવાઈ જતા ચહેરા, તિરુપતિના સાત કિલોમીટરના ચઢાણમાં પણ ઉત્સાહથી ભરેલા પગ, જ્યોતિર્લિંગોના દર્શનમાં આંખોમાં ચમક અને માતાજીના શક્તિપીઠોમાં ભક્તિના આંસુ આ દૃશ્યો આજના યુવાનોની નવી વાસ્તવિકતા બની ગયા છે. કુંભમેળાની ભીડમાં પણ અડધાથી વધુ ચહેરા 30 વર્ષથી ઓછી ઉંમરના જોવા મળ્યા હતા. સેતુસમુદ્રમની પવિત્રતા, મથુરા વૃંદાવનની રાસલીલાના રંગ, નવા વર્ષે પણ પાર્ટીને બદલે તીર્થયાત્રા પસંદ કરવાની યુવાઓની આ વૃત્તિ એક મોટો સંદેશ આપે છે... ભારતના યુવા પોતાની સંસ્કૃતિ અને ધર્મ ના મૂલ્યો ભૂલ્યા નથી.

આ આધ્યાત્મિક જાગૃતિ માત્ર ધર્મનું પાલન નથી પરંતુ એક ઊંડી આત્મીય ચેતના છે. આજના યુવાનોને ખબર છે કે બાહ્ય સફળતા અને સાધન સંપત્તિનું સુખ ક્ષણિક માત્ર છે. તેઓ મનની શાંતિ, આત્મવિશ્વાસ અને જીવનનો અર્થ શોધી રહ્યા છે. ભક્તિમાં તેઓને મળતી શક્તિ તેમને ચિંતાઓથી દૂર કરે છે, સંબંધોની સમજ અને જીવનની અનિશ્ચિતતાઓ સામે લડવાની હિંમત આત્મવિશ્વાસ આપે છે. એક માહિતી મુજબ આજે 62%થી વધુ યુવાનો નિયમિત પ્રાર્થના કરે છે, 80%થી વધુ ઓનલાઈન આધ્યાત્મિક કન્ટેન્ટ જુએ છે. આ આંકડા માત્ર સંખ્યા નથી પરંતુ બદલાતી પેઢીની વાત કરે છે.

દેશના યુવા જ્યારે મંદિરોમાં જાય છે ત્યારે માત્ર દર્શન નથી કરતા પોતાની સંસ્કૃતિને જીવંત રાખે છે. તેઓ હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અહિંસા, સત્ય, કર્મ અને ભક્તિને પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. આ એક એવી યુવા પેઢી છે જે વિશ્વને બતાવી રહી છે કે આધુનિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ અંતર કે ભેદ નથી બંને એકસાથે ચાલી શકે છે.
જો યુવાનોમાં આ સંસ્કાર જળવાઈ રહ્યા, જો આ યુવાઓ પોતાની ભક્તિ અને સંસ્કૃતિને જાળવશે અને આગળ વધારશે તો ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનવાની પોતાની યાત્રામાં મજબૂત પગલાં ભરશે. આપણી સંસ્કૃતિ, હિન્દુ ધર્મની અમર શક્તિ અને આધ્યાત્મિક વારસો સુરક્ષિત રહેશે. માત્ર ઇતિહાસના પાનામાં નહીં પરંતુ જીવંત રૂપમાં, યુવાનોના હૃદયમાં રેહશે.

આજે જ્યારે આપણે યુવાનોને મંદિરો તરફ, દેવી દેવતાઓ તરફ, પોતાના મૂળ તરફ વળતા જોઈએ છીએ ત્યારે આશા, પ્રેમ અને ગર્વ અનુભવાય છે. આ અમૃતકાળનો નવો સૂર્યોદય છે ભારતના યુવાનોના આત્માનો, ભક્તિનો સૂર્યોદય. આ લહેરને વધુ મજબૂત કરીએ, આ ભક્તિને વધુ ઊંડી કરીએ.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

