- National
- બિહારમાં શીતળા માતાના મંદિરમાં પૂજા દરમિયાન ભાગદોડ, 8 મહિલાઓએ ગુમાવ્યા જીવ, CMએ વળતરની કરી જાહેરાત
બિહારમાં શીતળા માતાના મંદિરમાં પૂજા દરમિયાન ભાગદોડ, 8 મહિલાઓએ ગુમાવ્યા જીવ, CMએ વળતરની કરી જાહેરાત
બિહારના નાલંદા જિલ્લામાં શીતળા માતાના મંદિરમાં ભાગદોડ મચી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભાગદોડમાં 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. આ ઘટના નાલંદા જિલ્લાના દીપનગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે.
પીડિતોમાંથી બેની ઓળખ શકુન્ત બિહારની રહેવાસી દિનેશ રજકની પત્ની રીતા દેવી (ઉં.વ. 50) અને નૂરસરાયના મથુરાપુરના રહેવાસી કમલેશ પ્રસાદની પત્ની રેખા દેવી (ઉં.વ. 45) તરીકે થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને 6-6 લાખનું વળતર જાહેર કર્યું છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે મોડેલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આજે ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર છે. આને લઇને, મંદિરમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ મંદિર બિહારશરીફ (નાલંદા) થી આશરે 5 કિલોમીટર દૂર મઘડા ગામમાં આવેલું છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે (શીતળા અષ્ટમી) મુખ્ય પૂજા થાય છે. પરંપરા છે કે, શીતળા અષ્ટમીના દિવસે ઘરોમાં ચૂલા સળગાવવામાં આવતા નથી; ભક્તો માતાને એક દિવસ અગાઉ બનેલા ઠંડા ભોજનનો ભોગ લગાવે છે. અષ્ટમીના દિવસે અહીં ભારે ભીડ જોવા મળે છે, લોકો દેવીના દર્શન માટે લાંબી લાઇન લગાવે છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ નાલંદા ભાગદોડ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે નાલંદા મુખ્યમંત્રી નીતિશ કુમારનો ગૃહ જિલ્લો પણ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના આશ્રિતો માટે દરેકને 6-6 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તરફથી પ્રત્યેકને 4-4 લાખ આપવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી વધારાના 2-2 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.
સમ્રાટ ચૌધરીએ X પરની એક પોસ્ટમાં આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી તમામ શોકગ્રસ્ત પરિવારોને રાહત આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોની યોગ્ય તબીબી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

