- Business
- જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ)
સુરતનું એક એવું વ્યક્તિત્વ જે સુરતમાં વેપાર કરનાર એવા સૌના માટે જાણીતું છે જયેશભાઈ દેસાઈ. રાજહંસ ગ્રુપ (Rajhans Desai-Jain Group)ના સ્થાપક અને ચેરમેન, એક સાહસિક ઉદ્યોગકાર જેમણે ગુજરાતના સુરતમાં એક નાના એડિબલ ઓઇલના યુનિટથી શરૂ કરીને આજે વિવિધ વેપારો થકી કરોડોનું ટર્નઓવર કરતું રાજહંસ એમ્પાયર ઊભું કર્યું છે. તેમની સફળતાની યાત્રા "Wings of Happiness"ના સ્લોગનને સાર્થક કરનારી જણાઈ રહી છે.

જયેશભાઈનો જન્મ ભાવનગર જિલ્લાના એક નાના ગામ પરવડીમાં થયો હતો. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ માયાવીનગરી મુંબઈ ગયા અને નોકરી કરી. પરંતુ થોડા સમય પછી તેઓ પોતાના ગામ પરત ફર્યા અને પિતાના વ્યવસાયમાં મદદ કરવા લાગ્યા. આ સમયે તેઓએ જીવનની કઠોર વાસ્તવિકતાઓનો અનુભવ કર્યો પરંતુ તેમનામાં મહેનત કરવાની અનેરી ધગસ હતી. તેઓ સુરત આવ્યા જ્યાં જ્યાં સીમિત મૂડી લઈને તેમણે વેપારની નવી શરૂઆત કરી અને સફળતાની પાંખો ફેલાતી ગઈ જે આજે પણ અવિરત છે.

સૌપ્રથમ 1996માં જયેશભાઈએ રાજહંસ ગ્રુપની શરૂઆત એક નાના એડિબલ ઓઇલ યુનિટથી કરી જેમાં ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ અને કોટનસીડ ઓઇલનું ઉત્પાદન થતું હતું. તેમની દીર્ઘદૃષ્ટિ અને વેપાર કરવાની સૂઝબૂઝથી ગ્રુપ ઝડપથી વિસ્તર્યું. આજે રાજહંસ ગ્રુપ રિયલ એસ્ટેટ (Rajhans Realty), સિનેમા (160+ સ્ક્રીન્સ સાથે Rajhans Cinemas), હોસ્પિટાલિટી, કન્ફેક્શનરી (Schmitten ચોકલેટ્સ), ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં પૂર્ણ સક્રિય છે. ગ્રુપે 30 મિલિયન sq.ft.થી વધુ બાંધકામ પૂરું કર્યું છે અને એમના ગ્રાહકો સંતુષ્ટ પણ જણાઈ રહ્યા છે. તેમની સફળતાઓની નોંધ ફોર્બ્સે લીધી છે તો ઈન્ડિયાના 'Indian Business Legends' (2021) અને 'India’s 100 Richest' (2022)માં સમાવેશ, ET Inspiring Leader, Gujarat Ratna, Entrepreneur of the Year જેવા અવોર્ડ્સ એમને મળ્યા છે.

જયેશભાઈનું પારિવારિક જીવન અતિ સુમેળભર્યું છે. તેઓ પોતાના ભાઈ વિજય દેસાઈ સાથે પૂર્ણ આત્મીયતાના સંબંધ ધરાવે છે અને તેઓ એમની સાથે રાજહંસ ગ્રુપમાં સક્રિય છે. હરહંમેશ તેમના સંયુક્ત પરિવાર સાથે તેઓ જાહેર પ્રસંગોમાં જોવા મળે છે. તાજેતરમાં તેઓ સચિન તેંડુલકરના પુત્રના લગ્નમાં પોતાના સંયુક્ત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પોતાના કર્મચારીઓને પણ "રાજહંસ ફેમિલી" તરીકે જોવે છે અને વર્તે પણ છે.

જયેશભાઈ એક ધૈર્યશીલ, ઉત્સાહી, આશાવાદી અને ગણતરી પૂર્વકનું જોખમ લેનાર વ્યક્તિ છે. તેમની વિશેષતા છે કે તેમનામાં વેપારની તકો યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી ઝડપથી ઓળખવાની અને તેને અમલમાં મૂકવાની ક્ષમતા છે. તેમનું માનવું કે "લીડર નહીં, ટીમ વર્ક જ પરિણામ લાવે છે". તેઓ પોતાના ગ્રાહકોના સંતોષને કેન્દ્રમાં રાખે છે અને "customer happiness through delightful products and services"ને અગત્યતા આપે છે.

વિશેષ નોંધનીય છે કે જયેશભાઈ PM નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ખૂબ જ આદર અને સમર્પણ ધરાવે છે. તેઓ અને તેમનો પરિવાર PM મોદીને મળ્યા હતા એ અનુભવને "રાજહંસ ફેમિલી માટે ગર્વની ક્ષણ" ગણાવે છે. તેઓ PM નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનને પૂર્ણતઃ સમર્થન કરે છે.

ધન, વૈભવ અને સિદ્ધિના સમીકરણને જીવનમાં સંતુલિત કરીને પ્રગતિ કરવાનો એમનો જીવનસંદેશ ગુજરાતના યુવાનો માટે એક આદર્શ પ્રેરણારૂપ ઉદાહરણ કહી શકાય જ્યાં આત્મવિશ્વાસ, મહેનત, ગણતરી મુજબનું સાહસ અને માનવતા સાથે કોઈ પણ કાર્ય પાર પાડી શકાય છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

