- National
- 17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?
17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક પર લાદવામાં આવેલો નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) પાછો ખેંચી લીધો છે. વાંગચુક છેલ્લા છ મહિનાથી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતા.
સરકારે તેમની મુક્તિ માટે મુખ્યત્વે લદ્દાખમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત ગણાવી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સરકાર લદ્દાખના હિતધારકો સાથે અર્થપૂર્ણ અને રચનાત્મક સંવાદ કરવા માટે પ્રતિબદ્ધ છે. વાંગચુકની મુક્તિ આ પ્રક્રિયામાં 'વિશ્વાસના વાતાવરણ' તરીકે કામ કરશે. સતત ચાલતા બંધ અને વિરોધ પ્રદર્શનોને કારણે લદ્દાખના પ્રવાસન, સ્થાનિક વ્યવસાયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી હતી. શાંતિ સ્થાપવા માટે આ પગલું જરૂરી ગણાયું છે. વાંગચુક સપ્ટેમ્બર 2025 થી જેલમાં હતા. 12 મહિનાની મહત્તમ અટકાયતની મર્યાદા સામે તેઓ અડધો સમય જેલમાં વિતાવી ચૂક્યા હતા.
શું આરોપો હતા?
સપ્ટેમ્બર 2025માં લેહમાં થયેલી હિંસા બાદ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સરકારે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતા:
ઉશ્કેરણીજનક ભાષણો: સરકારનો દાવો હતો કે વાંગચુકે 'નેપાળ આંદોલન' અને 'અરબ સ્પ્રિંગ' (Arab Spring) જેવા ઉદાહરણો આપીને યુવાનોને (Gen Z) સરકાર વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.
હિંસામાં ભૂમિકા: સપ્ટેમ્બર ૨૪ના રોજ લેહમાં થયેલી હિંસામાં ૪ લોકોના મોત થયા હતા અને સરકારી મિલકતોને નુકસાન થયું હતું, જેના માટે વાંગચુકના નિવેદનોને જવાબદાર ગણાવ્યા હતા.
ગેરકાયદે વિદેશી ફંડિંગ: તેમના એનજીઓ (SECMOL) ના FCRA લાયસન્સમાં નાણાકીય ગેરરીતિઓના આરોપ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ આંગમોએ તેમની અટકાયતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પણ ટિપ્પણી કરી હતી કે સરકાર કદાચ વાંગચુકના નિવેદનોનો અર્થ વધુ પડતો ગંભીર કાઢી રહી છે. સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે આ અટકાયત સજા નથી પણ 'સાવચેતીનું પગલું' (preventive detention) છે.
13.jpg)
લદ્દાખની મુખ્ય માંગણીઓ
સોનમ વાંગચુક અને લદ્દાખના સંગઠનો (LAB અને KDA) લાંબા સમયથી નીચેની ચાર માંગણીઓ કરી રહ્યા છે:
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે.
બંધારણની છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) હેઠળ લદ્દાખનો સમાવેશ કરી આદિવાસી હકોનું રક્ષણ થાય.
લેહ અને કારગિલ માટે અલગ લોકસભા બેઠકો.
સ્થાનિક યુવાનો માટે નોકરીઓમાં અનામત.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને પીબી વરાલેની બેન્ચ વાંગચુકના ભાષણોના વીડિયો જોઈને 17 માર્ચે આદેશ અનામત રાખવાના હતા. કેન્દ્રનો નિર્ણય તેના ત્રણ દિવસ પહેલા આવ્યો છે.

તાજેતરના X પોસ્ટમાં સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ લખ્યું છે કે "ભય એ શાંતિ નથી". તેમણે કહ્યું કે સરકારના વકીલો સુપ્રીમ કોર્ટમાં દાવો કરી રહ્યા છે કે વાંગચુકની અટકાયત પછી લદ્દાખ શાંતિપૂર્ણ છે. "આ સત્યથી વધુ દૂર ન હોઈ શકે," તેમણે કહ્યું, તેને "તાર્કિક ભ્રમણા" ગણાવી કારણ કે સહસંબંધ કારણભૂત હોવાની જરૂર નથી.
ગીતાજંલીએ કહ્યું "બીજું, તે શાંતિ નહોતી - તે ભય હતો જે કેળવવામાં આવ્યો હતો: 24 સપ્ટેમ્બર પછી અઠવાડિયા સુધી કર્ફ્યુ અને ઇન્ટરનેટ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો, 100+ યુવાનોને મહિનાઓ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા (કેટલાક હજુ પણ અંદર છે), CRPF દ્વારા સરકારી આદેશો હેઠળ 4 યુવાનોને નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી, સોશિયલ મીડિયા પોસ્ટ્સ પોલીસ સમન્સ અને આજ સુધી કલાકો સુધી પૂછપરછને આકર્ષિત કરે છે.
વાંગચુકના વકીલ અને વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલએ દલીલ કરી હતી કે અટકાયત માટેના તમામ જરૂરી પુરાવાઓ વાંગચુકને આપવામાં આવ્યા નહોતા. પ્રશાસને દાવો કર્યો હતો કે વાંગચુકના ઉશ્કેરણીજનક ભાષણોના વીડિયો પેનડ્રાઈવમાં આપવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું જેલમાં તેમને આ વીડિયો જોવાની તક મળી હતી.
સરકાર અગાઉ દાવો કરી રહી હતી કે વાંગચુકના નિવેદનો અને આંદોલનને કારણે પ્રદેશની સુરક્ષા અને શાંતિ જોખમાઈ રહી છે અને હવે અચાનક તેમના પરથી NSA હટાવી લેવામાં આવ્યો છે, જે ઘણા સવાલો ઉભા કરે છે.

