- Opinion
- માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
(ઉત્કર્ષ પટેલ)
જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ એક એવો સંબંધ છે જેનું ઋણ કદાપિ ચૂકવી શકાતું નથી તે છે માતા-પિતાનો અપાર સ્નેહ. તેઓએ આપણને જન્મ આપ્યો, રાતદિવસ જાગીને પાલનપોષણ કર્યું, આપણાં સ્વપ્નોને પાંખો આપી અને આજે આપણે જે સ્થાને છીએ તે તેમની તપસ્યા, ત્યાગ તથા અનન્ય પ્રેમનું પરિણામ છે. આ સ્નેહ કોઈ વ્યાજ સહિતનું ઋણ નથી પરંતુ એક અમર ઋણ છે જેને આજીવન સેવા, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય.

આજના યુવાનો માટે જીવન અતિ ઝડપી બની ગયું છે. વ્યવસાય, ઉદ્યમ, સામાજિક માધ્યમો, મનોરંજન, પ્રવાસ બધું જ એટલું આકર્ષક છે કે માતા-પિતા પાછળ રહી જાય છે. અનેક યુવાનો માને છે કે “હું તેમને ધન મોકલું છું, એટલે પૂરતું છે.” પરંતુ ધન કદાપિ સ્નેહનું સ્થાન લઈ શકે નહીં. માતા-પિતાને જોઈએ છે આપણો સમય, આપણી સાથેનો વાર્તાલાપ, આપણી હાજરી. તેમને એક ફોન પર “બેટા, આવી ગયો?” એવું પૂછવું હોય છે. તેમને હાથ પકડીને બેસવું હોય છે, તેમની વાતો તમને સંભળાવવી હોય છે.

ભગવાન શ્રી રામ આપણને આનું સર્વોચ્ચ ઉદાહરણ આપે છે. રામાયણમાં ભગવાન શ્રી રામ પિતા દશરથના વચનને પાળવા માટે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારે છે. તેઓ જાણે છે કે આ વનવાસમાં દુઃખ પ્રાપ્ત થશે તોપણ પિતાના વચનથી મોટું કંઈ નથી. તેમનો જીવન સંદેશ છે કે પિતાની આજ્ઞા પાળવી એ સર્વોચ્ચ ધર્મ છે. ભગવાન શ્રી રામનો એ ત્યાગ આજે પણ યુવાનોને શીખવે છે કે કર્તવ્ય તથા માતા-પિતાની ઇચ્છા કરતાં મોટી સિદ્ધિ બીજી કોઈ નથી. તેમણે માતા કૌશલ્યા તથા કૈકેયી બંને પ્રત્યે સમાન આદરભાવ રાખ્યો. આજના યુવાનોએ પણ શીખવું જોઈએ કે માતા-પિતાની પ્રસન્નતા માટે થોડો ત્યાગ કરવો એ નબળાઈ નહીં પરંતુ કર્તવ્ય છે.
10.jpg)
એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નું જીવન પણ માતા-પિતા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવે છે. તેઓ વસુદેવ તથા દેવકીના પુત્ર તરીકે જન્મે છે પરંતુ નંદ યશોદાના લાડકવાયા બનીને બાળપણ જીવે છે. તેઓ બંને માતા-પિતાને એક સમાન માને છે અને તેમની સેવા કરે છે. ભાગવત પુરાણમાં તેમની લીલાઓમાં જોવા મળે છે કે તેઓ હંમેશા માતા યશોદાના આદેશનું પાલન કરે છે, તેમની ચિંતા કરે છે અને તેમને આનંદિત રાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે સ્નેહ તથા કર્તવ્ય બંને એકસાથે ચાલી શકે છે. કર્મ કરો, ફળની ચિંતા ન કરો અને આ કર્મમાં માતા-પિતાની સેવા સર્વોચ્ચ કર્મ છે.

આજના યુવાનો, તમે જીવનમાં ગમે તેટલી ઊંચાઈએ પહોંચો પણ યાદ રાખજો તમારી સિદ્ધિનું મૂળ તમારા માતા-પિતાના આશીર્વાદમાં છે. તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે, તેમની શક્તિ ઘટી રહી છે પરંતુ તેમનો તમારા પ્રત્યેનો સ્નેહ દિવસે ને દિવસે વધુ ગાઢ થઈ રહ્યો છે. તમે તેમને એકલા ન છોડો. તમારી વ્યવસાયિક પ્રગતિ સંઘર્ષ એમને વચ્ચે એક વાર ફોન કરો, સપ્તાહાંતે એમની સાથે રહો, તેમની સાથે હસો રમો.
જીવન ક્ષણભંગુર છે. આજે જે અવસર છે તે કાલે નહીં હોય. માતા-પિતાના ચરણોમાં હાથ ફેરવો, તેમના આશીર્વાદ લો એ જ સાચી સિદ્ધિ છે. કારણ કે જગત તમને ભૂલી જશે પરંતુ માતા-પિતા જીવતેજીવ કદાપિ તમને નહીં ભૂલે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

