- National
- PMOનો નકલી ID કાર્ડ લઈને PM મોદીના કાર્યક્રમ સ્થળે ઘૂસનાર રોહન પારેખ કોણ છે?
PMOનો નકલી ID કાર્ડ લઈને PM મોદીના કાર્યક્રમ સ્થળે ઘૂસનાર રોહન પારેખ કોણ છે?
મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલા PMOના નકલી અધિકારી ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે, તે નકલી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ઓળખપત્રનો ઉપયોગ કરીને સ્થળે ઘૂસનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યાં એક દિવસ પછી વડાપ્રધાનનો કાર્યક્રમ થવાનો છે. તે પોતાને PMOનો અધિકારી ગણાવી રહ્યો હતો. સુરક્ષા કર્મચારીઓને શંકા જતા તેમણે તેના ઓળખપત્રની તપાસ કરી તો રહસ્ય ખુલી ગયું.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના હતા. ઉદ્ઘાટનની તૈયારીઓ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચાલી રહી છે. 7 સપ્ટેમ્બર, સોમવારના રોજ રોહન પારેખ નામના વ્યક્તિએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) કાર્યક્રમના સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓને શંકા ગઈ અને તેમણે તેમનું ઓળખપત્ર તપાસ્યું, જે નકલી હોવાનું બહાર આવ્યું.
આટલું જ નહીં, આરોપી પારેખની સાથે એક બોડીગાર્ડ પણ હતો; જેની પાસેથી એક બંદૂક મળી આવી હતી. ત્યારબાદ પારેખ અને તેના 'બોડીગાર્ડ' વિરુદ્ધ BKC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે સ્થળ પર પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો? તે વાતને લઇને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ ઘૂસણખોરીનો પ્રયાસ વડાપ્રધાન મોદીના કાર્યક્રમ સાથે જોડાયેલો છે.
રોહન પારેખ કોણ છે?
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના વિશે મહત્ત્વપૂર્ણ વિગતો બહાર આવી. પારેખના વકીલે કોર્ટને જણાવ્યું કે તેણે લંડનની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને તેણે પોતાનું સંશોધન અને જિયોપોલિટિક્સ પરનો નિબંધ UNESCOને સુપરત કર્યો છે. વકીલે જણાવ્યું હતું કે તરુણ કપૂર નામના વ્યક્તિએ રોહનને PMOમાં નોકરીનો પ્રસ્તાવ આપ્યો હતી. તેને મહેક ગુપ્તા માટે એડવાઇઝરી રોલ અને તરુણ ગુપ્તા તરફથી ડિફેન્સ એક્વિઝિશન પોલિસી સાથે જોડાયેલો ઈમેલ મળ્યો હતો. શું તેને ખરેખર PMOમાં નોકરી મળી હતી કે છેતરપિંડીનો શિકાર થયો તે તપાસનો વિષય છે.
વકીલે કહ્યું કે રોહનને ઓળખપત્ર, સત્તાવાર ઓફર લેટર અને વડાપ્રધાનના હસ્તાક્ષરવાળો પત્ર આપવામાં આવ્યો હતો; આ બધું તેને PMના અધિક સચિવના ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થયું હતું. વકીલના જણાવ્યા મુજબ, રોહન પારેખને ફસાવવામાં આવ્યો છે. કાર્યક્રમ સ્થળે જવાને લઇને વકીલે જણાવ્યું કે રોહન કાર્યક્રમના એક દિવસ પહેલા ત્યાં ગયો હતો કારણ કે તેને પીઠની તકલીફ હતી. તે તેની મંગેતર માટે પરફ્યૂમ ખરીદવા માંગતો હતો. તેણે ત્યાંથી પરફ્યૂમ ખરીદ્યું અને સ્થળ પરથી બહાર નીકળી આવ્યો. જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો.
નકલી ઓળખપત્ર અંગે, વકીલે જણાવ્યું કે, રોહન પારેખને ઓળખપત્રનો ફક્ત સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યો હતો અને તેને ક્યારેય ફિઝિકલ કોપી આપવામાં આવી નહોતી; શક્ય છે કે કોઇએ તેને છેતર્યો હોય. તેણે ખચકાટ વિના તપાસ અધિકારીને બધી માહિતી પૂરી આપી છે. રોહન પારેખને 11 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

