- National
- રાજકારણી તરીકે 'નબળી કડી' ગણાતા નીતિશ કુમારે શાંત રહીને કેવી રીતે પોતાને સર્વોચ્ચ નેતા સાબિત કરી દીધ...
રાજકારણી તરીકે 'નબળી કડી' ગણાતા નીતિશ કુમારે શાંત રહીને કેવી રીતે પોતાને સર્વોચ્ચ નેતા સાબિત કરી દીધા!
આ નીતિશ કુમારનો વિજય છે. અને આ એ જ નીતિશ કુમાર છે જેને કારણે બિહાર ચૂંટણીમાં JDUએ BJP કરતાં ઘણા આગળ વધીને સારું પ્રદર્શન કર્યું છે. સૌથી અગત્યનું એ છે કે, નીતિશ કુમારને બિહારના મતદારોની સંપૂર્ણ સહાનુભૂતિ મળી છે. નીતિશ કુમાર સામે સત્તા વિરોધી લહેરની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પરિણામો તો સત્તા તરફી લહેર સૂચવે છે.
આ સહાનુભૂતિ નીતિશ કુમારને મળી છે, જે 2015માં તેમના DNA પર પ્રશ્ન ઉઠાવવાની અસર જેટલી જ શક્તિશાળી હતી. જે રીતે તેમને બીમાર CM અને ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવ્યા હતા તેને લોકોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.
અને સૌથી અગત્યની વાત તો એ કે, લોકોએ નીતિશ કુમારની માફી સ્વીકારી લીધી છે. પ્રથમ, તેઓ BJP નેતૃત્વની માફી માંગી રહ્યા હતા. મહાગઠબંધનમાં જોડાવા અંગે, તેમણે વારંવાર કહ્યું, 'મેં બે વાર ભૂલ કરી છે, અને હવે હું ક્યાંય જઈશ નહીં.' અને માત્ર PM નરેન્દ્ર મોદી અને શાહ જ નહીં, પરંતુ બિહારના લોકોએ પણ નીતિશ કુમારની માફી સ્વીકારી છે.
ચૂંટણીની જાહેરાત પહેલાં જ, બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં સીધા રૂ. 10,000 ટ્રાન્સફર કર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ પોતે દિલ્હીથી આ યોજના શરૂ કરી હતી. ત્યારપછી આવી મહિલા લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પણ વટાવી ગઈ હતી.
બિહાર ચૂંટણીમાં આ NDAનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હોય એમ લાગે છે. જોકે, મહાગઠબંધને એક નકારાત્મક વાત ફેલાવવાનો પ્રયાસ કર્યો કે, શું આ લોનની રકમ છે કે ગ્રાન્ટ? પરંતુ લાગે છે કે, તેનો જનતા પર કોઈ પ્રભાવ પડ્યો લાગતો નથી.
જ્યારે તેજસ્વી યાદવને લાગ્યું કે, નીતિશ કુમારના આ પગલાંથી પોતાનો દાવ પછડાઈ રહ્યો છે, ત્યારે તેમણે જીવિકા બહેનો માટે નવી જાહેરાતો કરી, દર મહિને રૂ. 30,000નો પગાર અને સરકારી રોજગાર, ઉપરાંત અન્ય સુવિધાઓ પણ.
જોકે, લોકો આપવાના વચન કરતાં તેમને મળ્યું તેનાથી વધુ ભરોસો થયો હતો. સીધા રોકડ ટ્રાન્સફરનો આ પ્રયોગ મધ્યપ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોમાં સફળ રહ્યો છે.
નીતિશ કુમારે 2015ની ચૂંટણીમાં મહાગઠબંધનનું નેતૃત્વ કરતી વખતે, દારૂબંધીના મહત્વને ઓળખ્યું. એક મહિલા કાર્યક્રમમાં આ માંગણી ઉઠાવતાની સાથે જ, નીતિશ કુમારે સ્થળ પર જ જાહેરાત કરી કે, જો તેઓ સત્તામાં પાછા ફરશે, તો બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરશે, અને તેમણે પોતાનું ચૂંટણી વચન પૂરું કર્યું.
દારૂબંધીના અમલ પછી ઘણા પ્રશ્નો ઉભા થયા. કોર્ટમાં કેસોની સંખ્યા વધુ હોવા અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, દારૂબંધી લાગુ કર્યા પછી નીતિશ કુમાર પાછા હટ્યા નહીં.
જન સૂરજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરે ચોક્કસપણે વચન આપ્યું હતું કે, જો તેમની સરકાર બનશે, તો તેઓ દારૂબંધીનો અંત લાવશે. તેજસ્વી યાદવે કોઈ સ્પષ્ટ વચનો તો આપ્યા ન હતા, પરંતુ સમીક્ષાની વાત ચોક્કસપણે થઈ હતી, આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે બિહારના લોકો, ખાસ કરીને મહિલાઓ, દારૂબંધી ચાલુ રહે તેવું ઇચ્છે છે.
બિહાર ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, નીતિશ કુમારે 2005થી લોકોમાં 'ગુડ ગવર્નન્સ બાબુ'ની જે છબી કેળવી છે, તે હજુ પણ અકબંધ છે. બિહારની વીજળી વ્યવસ્થા અને રાજ્યના દરેક ખૂણા સુધી સારા રસ્તાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે વિકાસ ચાલુ રહેશે.
ચૂંટણી પહેલા થયેલી અનેક હત્યાઓએ કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. જોકે, નીતિશ કુમારે BJP સાથે મળીને 'જંગલ રાજ'ની યાદો તાજી કરી અને તેને ઝડપથી તટસ્થ કરી દીધી.
નીતિશ કુમારની છબી ચોક્કસપણે 'પલટુ રામ' તરીકે દર્શાવવામાં આવી હતી, પરંતુ JDU નેતાએ તેમના કાર્ય દ્વારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે.
નીતિશ કુમારે પદ સંભાળતાની સાથે જ મહિલાઓ માટે યોજનાઓ શરૂ કરી. નીતિશ કુમારે જે છોકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપી હતી તે હવે મોટી થઈ ગઈ છે અને ઘરસંસારમાં સ્થાયી થઈ ગઈ છે, અને નીતિશ કુમારે મહિલાઓ માટે વધુ યોજનાઓ અમલમાં મૂકી છે, નોકરીઓ અને પંચાયતોમાં અનામત, તેમજ આશા કાર્યકરોને મળી રહેલી સુવિધાઓમાં વધારો કરવાની જાહેરાતોએ પણ તેની અસર બતાવી છે.
તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી દ્વારા પણ મહિલાઓ માટે વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ નીતિશ કુમારે ચૂંટણી પહેલા પણ લાભો આપીને વિશ્વાસ જાળવી રાખ્યો હતો, તેમને ખાતરી આપી હતી કે, મહિલાઓ માટે આ યોજનાઓ ચાલુ રહેશે.
નીતિશ કુમારને અનેક વ્યક્તિગત હુમલાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. પ્રશાંત કિશોર તો ત્રણ વર્ષથી તેમની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હતા. એ સાચું છે કે પ્રશાંત કિશોર ઘણીવાર તેજસ્વી યાદવને પણ નિશાન બનાવતા આવ્યા છે, પરંતુ નીતિશ કુમારના સ્વાસ્થ્ય પર જે રીતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા, લાગે છે તે બિહારના લોકોને સારું લાગ્યું નથી.
તેજસ્વી યાદવે તો નીતિશ કુમારને બીમાર CM અને 'ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ' કહેવાની પણ હદ કરી દીધી અને પ્રશાંત કિશોરે તો બિહાર સરકાર પાસે CM નીતીશ કુમારનું આરોગ્ય બુલેટિન બહાર પાડવાની માંગ પણ કરી દીધી હતી. આ પરિણામોએ બધી અપેક્ષાઓને ખોટી સાબિત કરી દીધી છે.

