ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ) 

આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે વિશ્વભરમાં હરણફાળ ભરી રહ્યો છે. ખૂબજ સારી વાત છે અને ગર્વ પણ અનુભવવું જોઈએ. પરંતુ આ સાથે આપણે શું ચૂકી જઈએ છીએ અને શું કરવાનું છે એના પર પણ ધ્યાન આપવું જોઈશે. 

કહેવત છેને " દીવા તળે અંધારું "! કેટલાક કિસ્સાઓમાં આવું ધ્યાને આવે ત્યારે પોતે કામે લાગવું અને લોકોને એ કામે જોડવા એજ પહેલું ડગલું કહેવાય સારા કાર્ય માટેનું. 

આપના દેશમાં કહેવાતા મુખ્ય શહેરોના ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલો ધ્યાનથી જોશો તો તમને જણાશે કે નાના બાળકો, યુવાનો, નાની વયે માતા બનેલ બહેનો બાળક લઈને ભીખ માંગતા હોય છે, આ છે ભારતનું ભવિષ્ય કે જે ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે! ભૂખ્યા પેટ, મેલ ફાટેલા કપડા, ઉઘાડા પગ અને બાળપણમાં કઠોળ થઈ ગયેલી મેલી હથેળીઓ જ્યારે હાથ લંબાવે ભીખ માટે ત્યારે કોઈક તિરસ્કારથી એમને હડધૂત કરે અને કોઈકને દયા આવે તો પોતાની પાસે રહેલ પરચૂરણમાંથી એકાદ સિક્કો કે નાનામાં નાની નોટ એમના હાથમાં મૂકતા હોય છે. તડકો હોય, ધોધમાર વરસાદ હોય કેન્પચી હોય ઠંડી દેશના ટ્રાફિક સિગ્નલો પર ભારતનું ભવિષ્ય ભીખ માંગતું દેખાશે. 

9

આ દૃશ્ય આજે પણ આ મિનિટે જ્યારે આપ આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે અનેક શહેરોમાં જોઈ શકશો દિલ્હીમાં લાખોની સંખ્યામાં, ગુવાહાટીમાં હજારો, ચેન્નાઈથી મુંબઈ સુધી, અમદાવાદ વડોદરા કે પાછી લઘુ ભારત કહેવાતા સુરત શહેરમાં દરેક લાલ બત્તી પર આ નાનકડા મેલા હાથ લંબાય છે. કેટલાક અહેવાલો અનુસાર દેશમાં હજારો બાળકો આ રીતે ભીખ માંગવા મજબૂર છે. જેમાંથી ઘણા અપહરણ, તસ્કરી કે પરિવારના દબાણ હેઠળ છે. આ માત્ર ગરીબીની વાત નથી. આ તો એક અંધકારમય વ્યવસ્થાનું પરિણામ છે જ્યાં બાળકોને દવા આપીને બીમાર કરવામાં આવે છે, તેમને માર મારીને રડાવવામાં આવે છે કે શારીરિક ખોળ ખાપણ વાળા બનાવીને વધુ દયા આવે તેવા કરીદેવામાં આવે છે. 

એમને સારું ભવિષ્ય આપવાનું કામ કોણ કરશે? દયા આવશે અને માનવતાના ધોરણે નાની મદદ કરી પણ દઈશું તોયે એનાથી એમનું જીવન નથી સુધરવાનું. એમને જીવન જરૂરિયાતની પાયાની જરિયાતો આપીને શિક્ષણ આપવાનું કામ કરવું જોઈશે ને? સામાજિક સંસ્થાઓ આગળ આવે તો થઈ શકે અને સરકાર આગળ આવે તો થઈ શકે. પરંતુ થતું નથી!! કમસેકમ સરકારે આગળ આવી આ કામ કરવું જ જોઈએ. અને જો એનું સરકારી પ્રાવધાન હોય તો લાગુ વિભાગો કેમ કામ નથી કર્યા એની તપાસ થવી જોઈએ. કેમ ચૂંટાયેલા રાજકારણીઓને આ નહીં દેખાતું હોય?! 

આ બાળકોની આંખોમાં જ્યારે આશાનું એક નાનકડું કિરણ ઝગમગે છે અને તે લાલ બત્તીની સાથે જ ઝાંખું પડી જાય છે ત્યારે સમજી સકનાર વ્યક્તિને અંતરાત્મા તો હળવોજ જોઈએ. આ નાના મેલી હથેળીઓ જે આજે ભીખ માંગે છે તે કાલે જો સ્કૂલની પુસ્તકો ઉપાડે તો ભારતનું સાચું ભવિષ્ય બની શકે. પરંતુ જ્યાં સુધી આપણે આંખ મીંચીને બેસી રહીશું ત્યાં સુધી આ દીવા તળેનું અંધારું વધતું જ જશે. 

આપણે દરેકે પોતાના અંતરમાંથી એક પ્રશ્ન પૂછવો જોઈએ: જ્યારે મારી કાર લાલ બત્તી પર ઊભી રહેશે ત્યારે હું શું કરીશ? એક સિક્કો આપીને મનને શાંત કરીશ કે આ બાળકની આંખોમાં જોઈને મારા અંતરની ઊંડાઈમાંથી બદલાવની શરૂઆત કરીશ? આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને જો તેઓ ભીખ માંગતા રહેશે તો અમૃતુકાળ લજવાશે. આપણે સૌએ મળીને આ અંધારાને દૂર કરવુ જોઈશે કારણ કે જ્યાં સુધી એક પણ બાળક ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતો રહેશે ત્યાં સુધી આપણું વિકસિત ભારતનું સ્વપ્ન અધૂરુંજ રહેશે. 

આ લેખ વાંચીને જો તમારા હૃદયમાં આ બાળકો માટે જો લાગણી ઉભરી આવે તો તે લાગણીને વ્યર્થ ન જવા દો. તે લાગણીજ આપણને સાચા કાર્ય તરફ દોરી જશે કારણ કે ભારતનું સાચું ભવિષ્ય એ આજની નાની હથેળીઓમાં છે જે આજે ભીખ માંગે છે; પરંતુ કાલે જો એજ હથેળીઓ શિક્ષિત આત્મનિર્ભર હશે તો તે હાથો દેશને વિશ્વગુરુ પદ જાળવવામાં સહભાગી થશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

આજે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકસભા બેઠકોની સંખ્યા વધારશે. તેમનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં...
National 
સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

શું તમે SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તમારા પૈસા...
Tech and Auto 
મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.