- Gujarat
- અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા વેંગા’ પણ કહેવામાં આવે છે. તેઓ સતત હવામાનમાં થનારા ફેરફારને લઈને આગાહી કરતાં રહે છે ત્યારે હવે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ કેવી રહેશે? ચાલો જાણીએ આગાહીકાર અંબાલાલ પટેલે શું ચોમાસાને લઈને શું કહ્યું છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે ઘણા બધા માપદંડોના આધારે ચોમાસા અંગે પૂર્વાનુમાન કરાતું હોય છે. અલનીનો વચ્ચે ચોમાસું નબળું રહેવાનું આકલન થયું છે. પરંતુ મારી દૃષ્ટિએ આ આકલન થોડું વહેલું ગણાશે. ગંગા-જમનાના મેદાનો તપે પછી ચોમાસાની ગતિવિધિનો ખ્યાલ આવી શકે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ગરમી વધી રહી છે. આગામી 20-22 એપ્રિલ દરમિયાન હવામાન બદલાશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 26 તારીખ પછી ફરી ગરમી વધવાની શક્યતાઓ છે. અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43°C સુધી પહોંચી શકે છે. હાલ ગંગા જમનાના મેદાનો તપવાની સાનુકૂળ સ્થિતિ છે. સાથે જ હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવું જોઇએ. ભલે લાનીનો હોય પણ ઘણા પરિબળો સાનુકૂળ હોય તો ચોમાસું સારું રહી શકે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 12-13 મેથી 20 મે વચ્ચે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી શકે છે. આ વખતે વર્ષા ગર્ભ બરાબર બન્યો નથી, પરંતુ લો પ્રેશર બનવાની શક્યતાઓ વધારે છે. હવે ધીમે-ધીમે લૉ પ્રેશરથી જ વરસાદ આવતો હોય છે. આ વખતે બંગાળનો ઉપસાગર અને અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે. 17 મે બાદ બંને સાગર સક્રિય થતા એક ટ્રફ બનશે, જે સારો વરસાદ લાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી થોડુ સારૂ રહેવાની શક્યતાઓ છે આ વખતે ગુજરાતમાં કોઇ ભાગમાં 92-94 ટકા, કોઇ ભાગમાં 96 તો કોઇ ભાગમાં 98 ટકા વરસાદ રહેવાની સંભાવના રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં વરસાદ સારો થવાની સંભાવના રહેશે. મે મહિનામાં વાવાઝોડું બનવાની શક્યતા પણ છે. 8-20 જૂન વચ્ચે અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે. જો વાવાઝોડું વહેલું બની જાય અને તેનો ભેજ ખેંચાય ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી શકે છે.
આગાહીકારના મતે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, વલસાડમાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં 8-15 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થઇ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સમયસર વરસાદ પડતો રહે તો ઓછા પ્રમાણ છતા કૃષિ પાકોને લાભ મળી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાછોતર વરસાદની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ચોમાસાને લઇ પૂર્વાનુમાન જાહેર કર્યું કે, ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ સેવાઇ રહ્યા છે, સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો વરસાદ રહેવાના એંધાણ છે

