- Gujarat
- 20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી
20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. દેશમાં ગમે ત્યારે વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે અને વરસાદ પડે છે. જેને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે તો ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. 2025માં પડેલા કમોસમી વરસાદે તો ખેડૂતોને રડાવ્યા અને આર્થિક પાયમાલ કરી નાખ્યા. તો તાજેતરમાં આવેલા મિની વાવાઝોડાએ પણ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે. આંબા પર આવેલી કેરીઓ ખરી પડી, ચીકુઓ પણ ખરી પડી, પપૈયાંઓને પણ ભારે નુકસાન થયું છે. આ છતા ગુજરાત અને ખેડૂતો પર સંકટ ઓછું થયું નથી. ગુજરાતના બાબા વેંગા ગણાતા અંબાલાલ પટેલે ભૂક્કા બોલાવતી આગાહી કરી છે.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અત્યંત આકરા સાબિત થઈ શકે છે, જેમાં અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે અને કમોસમી વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં એક બાદ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવા જઈ રહ્યા છે. આ સિસ્ટમની અસર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતમા પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે. આ દરમિયાન પવનની ગતિ 60-70 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે એટલી પ્રચંડ હશે કે કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત વેધર સિસ્ટમ સર્જાશે, જેના કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષેપની સીધી અસર જોવા મળશે. 28 માર્ચે ઉત્તર ભારતમાં નવી સિસ્ટમ સક્રિય થશે. 3 એપ્રિલે આ સિસ્ટમ વધુ મજબૂત બની ગુજરાત તરફ આગળ વધશે. 5 એપ્રિલે ફરી એક નવો પશ્ચિમી વિક્ષેપ આવશે, જે પવનની ગતિમાં વધારો કરશે. 8-16 એપ્રિલે આ ગાળો સૌથી વધુ પ્રભાવિત રહેશે, જેમાં એક બાદ એક વિક્ષેપોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે, પરંતુ વાતાવરણમાં અસ્થિરતા જળવાઈ રહેશે.
તો હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે સાંજથી વાતાવરણમાં વધુ પલટો આવી શકે છે અને 29 અને 30 તારીખે હળવા ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ, શનિવાર સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને લઇને આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
આ દરમિયાન 29 માર્ચે બનાસકાંઠા જિલ્લાના છુટાવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જ્યારે 30 માર્ચે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા હાલ નહિવત જણાઇ રહી છે. આ બંને દિવસ કલાકે 30-40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. તેમજ હળવો વરસાદ થઇ શકે છે.

