- Gujarat
- હજુ ખતરો ટળ્યો નથી, ગુજરાતના માથે વધુ એક સિસ્ટમનું જોખમ, 22 માર્ચ બાદ...
હજુ ખતરો ટળ્યો નથી, ગુજરાતના માથે વધુ એક સિસ્ટમનું જોખમ, 22 માર્ચ બાદ...
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોના પાયમાલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થયેલા કમોસમી વરસાદે પહેલા જ જગતના તાતની કમર તોડી નાખી છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં થઈ રહેલા પલટાને અને ગુજરાતને માથે વધુ એક સિસ્ટમ સક્રિય છે, જેને કારણે વખતે કેરીનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે, જેણે ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ગઇકાલે ભારે પવન સાથે રાજ્યમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડ પડવા, શેડના પતરાં ઉડવા, વીજ પોલ પડી જવા જેવી ઘટના સામે આવી છે. આ દરમિયાન રાજ્યમાં વીજળી પડવાની પણ ઘટના નોંધાઈ હતી, જેમાં 50 વર્ષીય મહિલા સહિત 3 ઇજાગ્રસ્ત થયા હતા.
gujarati.oneindia.comના અહેવાલ મુજબ, હવામાન વિભાગે 22 માર્ચ બાદ ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની અને કમોસમી વરસાદ પડવાની શક્યતા વર્તાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ દેશમાં 5 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાત સહિત પડોશી રાજ્યોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે.
22 માર્ચથી સક્રિય થનારી આ નવી સિસ્ટમ અપર સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે વાતાવરણમાં પલટો લાવશે, જેની સીધી અસર ખેતીના પાક પર પડી શકે છે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધૂળભરી આંધી અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બપોરે તાપમાનમાં વધારો થશે, જ્યારે સાંજ પડતા જ વાદળછાયું વાતાવરણ સર્જાશે અને પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 માર્ચ બાદ વાતાવરણમાં વધુ ફેરફાર થશે અને તાપમાનનો પારો ગગડતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ચોટીલા, રાજકોટ અને ભેસાણ જેવા વિસ્તારોમાં પણ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે, જ્યારે અનેક પંથકોમાં કરા સાથે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, આગાહીકાર નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 22 અને 25 માર્ચની આસપાસ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિસ્ટમની અસરને કારણે 25 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે હળવા ઝાપટાં પણ પડી શકે છે.
ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો અહેસાસ કરાવતી આ સિસ્ટમ એપ્રિલ મહિનામાં પણ યથાવત રહી શકે છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ફરી વાતાવરણ પલટાવાની શક્યતા છે. ખાસ કરીને 8 થી 12 એપ્રિલ દરમિયાન દેશના અનેક ભાગોમાં વરસાદની અસર જોવા મળશે, જેની સીધી અસર ગુજરાત પર પણ પડી શકે છે. અખાત્રીજની આસપાસ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

