- Gujarat
- ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યની માંગ, અંબાલાલ પટેલ સરકારી પદ આપો, તેઓ...
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યની માંગ, અંબાલાલ પટેલ સરકારી પદ આપો, તેઓ...
‘અંબાલાલ પટેલ..’ નામ તો સુના હી હોગા.... ખરું ને? ગુજરાતના છેવાડેનો માનવી પણ આજે આગાહીકાર અંબાલાલ પટેલને ઓળખતો હોય છે. તેમની આગાહી પર બધા મીટ માંડી રહે છે. હવે ગુજરાતમાં આગાહીનું બીજું નામ અંબાલાલ પટેલ થઈ ગયું છે. તેમને લોકો ગુજરાતના બાબા વેંગા પણ કહે છે. અંબાલાલ પટેલ આગાહી કરે અને તે ન બને એવું ભાગ્ય જ બને, ત્યારે આજે અંબાલાલ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે, પરંતુ આગાહીને કારણે નહીં. આ વખતે તો તેઓ ગુજરાત વિધાનસભામાં છવાઈ ગયા છે. ચાલો આગળ જાણીએ શું છે આખો મામલો?
ગુજરાત વિધાનસભામાં આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અંગે રસપ્રદ ચર્ચા જોવા મળી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સચોટ હોય છે. ભૂકંપ સંદર્ભે સીસમોલોજી સેન્ટર આગાહી કરે તે ખુબ સારું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ગૃહમાં સ્પષ્ટ કહ્યું કે, અંબાલાલ પટેલ પટેલ પહેલાથી જ આગાહી કરે છે તો શું સરકાર તેમને યોગ્ય પદ આપવા માંગે છે કે નહીં?
કિરીટ પટેલે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે અંબાલાલ પટેલ જેવી અનુભવી વ્યક્તિ રાજ્યને સમયસર માર્ગદર્શન આપી શકે છે. ત્યારે સરકારે તેમને કોઈ સત્તાવાર પદ અથવા સલાહકાર તરીકે સ્થાન આપવાનું વિચારવું જોઈએ. આવી નિષ્ણાત સેવાઓ રાજ્યના કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને હવામાન પૂર્વાનુમાન ક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.
કિરીટ પટેલે કહ્યું હતું કે અંબાલાલ પટેલ વર્ષોથી હવામાન અને કુદરતી આફતો અંગે સચોટ આગાહીઓ કરતા આવ્યા છે અને તેમની આગાહી પર જનતાનો દ્રઢ વિશ્વાસ છે. તેમણે દાવો કર્યો હતો કે ભૂકંપની આગાહી ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલિજિકલ પહેલા તો અંબાલાલ પટેલ કરી દે છે.
આમ, કિરીટ પટેલે અંબાલાલ પટેલને સરકારી પદ આપવા અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સ્વીકાર કર્યો કે અંબાલાલ પટેલની વરસાદ પરની આગાહી ખુબ સારી હોય છે.
હવે અંબાલાલ પટેલની તાજેતરની આગાહીની વાત કરીએ તો ન્યૂઝ18ના અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, તારીખ 27 અને 28મીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જોકે, તે શક્તિશાળી નહીં હોય, એટલે કે પશ્ચિમ વિક્ષોભના કારણે ભારે વરસાદ તૂટી પડવાની કે ઝાપટાં થવાની શક્યતાઓ હાલ દેખાતી નથી. તેમણે રાજ્યમાં આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેની અસર રાજસ્થાનના સંલગ્ન ભાગો એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે.
આ સાથે અંબાલાલે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે, જેમાં કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે, જોકે, તેમણે ટૂંકાગાળાની હવામાનમાં પલટાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમાં ક્યાંય ભારે ઝાપટાં કે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી નથી.
માર્ચ મહિનાની શરુઆતમાં એટલે કે 3 માર્ચની આસપાસ પશ્ચિમ વિક્ષોભના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને રાજ્યમાં ક્યાંક છાંટા થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, તેમણે વેસ્ટ ડિસ્ટર્બન્સ નબળું રહેશે. અંબાલાલ પટેલના મતે ગુજરાતના હવામાનમાં હાલ કોઈ મોટા ફેરફારના એંધાણ દેખાતા નથી, પરંતુ માવઠાનું જોર વધારે રહે તો તેની સીધી અસર ખેડૂતો પર થઈ શકે છે. જોકે, હાલ એવી કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી નથી.

