- Opinion
- શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જ...
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે પશુપાલન, ખેતી, સહકારી અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે. ખેડૂત પરિવારમાં જન્મેલા શંકરભાઈએ નાનપણથી જ મહેનત અને સાદગીનો પાઠ શીખ્યો.

સહકારી ક્ષેત્રમાં શંકરભાઈનું કાર્ય નોંધપાત્ર છે. 2015થી તેઓ બનાસ ડેરીના અધ્યક્ષ છે. આ ડેરી એશિયાની મોટી સહકારી સંસ્થા છે. તેમના નેતૃત્વમાં ડેરીનો વાર્ષિક વેપાર 20000 કરોડ રૂપિયાથી વધુ થયો છે. દરરોજ એક કરોડથી વધુ લીટર દૂધનું સંગ્રહ થાય છે. ખેડૂતોને સારા ભાવ મળે, ગાયભેંસ માટે લોન મળે, આધુનિક પ્રજનન કેન્દ્રો બને અને મહિલાઓને આવક વધે એવા કાર્યક્રમો તેમણે આગળ વધાર્યા છે. બનાસ કાશી સંકુલ જેવા પ્રોજેક્ટ ઉત્તરપ્રદેશમાં શરૂ કરીને તેમણે ગુજરાતની સહકારી વ્યવસ્થાને અન્ય રાજ્યોમાં પહોંચાડી છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના વાઈસ ચેરમેન તરીકે પણ તેઓ કામ કરે છે. આ બધું કામ તેમની સતત મહેનત અને ખેડૂતો પ્રત્યેની ચિંતાનું પરિણામ છે.

તેમનું વ્યક્તિત્વ સરળ અને જવાબદાર છે. 27 વર્ષની ઉંમરે રાધનપુરથી ચૂંટણી લડીને તેઓ રાજકીય ક્ષેત્રમાં આવ્યા. પહેલી વાર હાર્યા પણ તેમની હિંમતે લોકોનું ધ્યાન ખેંચ્યું. 1998માં જીત્યા અને ત્યારથી સતત લોકોની સેવા કરી રહ્યા છે. આજે તેઓ ચૌધરી સમાજ અને ઓબીસી વર્ગમાં એક સ્વીકૃત નામ છે. થરાદ અને વાવ વિસ્તારના લોકો તેમને પોતાના સેવક તરીકે ઓળખે છે. પાણી સંચયના કામ, 325 તળાવો બનાવવાના પ્રયાસો તેમની દીર્ઘદૃષ્ટિ દર્શાવે છે.

સામાજિક કામમાં શંકરભાઈએ સારું યોગદાન આપ્યું છે. આંજણા ચૌધરી સમાજમાં અનાવશ્યક ખર્ચ ઘટાડીને શિક્ષણ અને આર્થિક સુધારા પર ધ્યાન આપ્યું. બનાસ કેરિયર અકાદમી દ્વારા યુવાનોને જીપીએસસી અને યુપીએસસીની તૈયારી માટે મફત માર્ગદર્શન આપવામાં આવે છે. ડેરીના કામથી મહિલાઓને લાખો રૂપિયાની આવક થાય છે અને તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બને છે. બનાસકાંઠામાં તમામ જ્ઞાતિના લોકોના હિતમાં કામ કરવાનો તેમનો પ્રયાસ સર્વસમાવેશક છે. આ કાર્યોમાં તેમણે સહકારની મદદથી સમૃદ્ધિનો માર્ગ બતાવ્યો છે.
18.jpg)
રાજકીય જવાબદારીમાં પણ તેઓ અનુભવી છે. આનંદીબેન પટેલની સરકારમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, શહેરી વિકાસ અને પરિવહન જેવા વિભાગોના રાજ્યમંત્રી તરીકે કામ કર્યું. 2022માં થરાદમાંથી બહુમતથી જીત્યા અને વિધાનસભાના અધ્યક્ષ બન્યા. આ પદે તેઓ તમામ પક્ષોના સન્માન સાથે તટસ્થતાથી જવાબદારી નિભાવી રહ્યા છે.

શંકરભાઈ ચૌધરીનું જીવન મહેનત, સમર્પણ અને ખેડૂતો માટે કલ્યાણનું ઉદાહરણ છે. ખેતીમાંથી સહકારી સેવાકાર્ય સુધીની તેમનીજીવનની યાત્રા યુવાનોને શીખ આપે છે. થરાદ વિસ્તારમાં વિકાસ અને શિક્ષણના કામોથી તેઓ લોકોના મનમાં સ્થાન બનાવી શક્યા છે. આવા સેવક સમાજ માટે ઉપયોગી છે અને યુવા પેઢીને સમાજ માટે સમર્પણભાવથી કાર્ય કરવા પ્રેરણા આપે છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

