- Opinion
- કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા રૂપપુર ગામમાં 1945માં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા કરસનભાઈ ખોડીદાસ પટેલ આજે માત્ર એક ઉદ્યોગપતિ નથી પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે. તેમનું જીવન વેદના, સંઘર્ષ અને અડગ મહેનતની એવી યાત્રા છે જે હૃદયને સ્પર્શી જાય છે. એક સાદા લેબ ટેકનિશિયનથી શરૂ કરીને ‘નિરમા’ જેવું અબજોનું સામ્રાજ્ય ઊભું કરનાર આ વ્યક્તિ ગુજરાતનું સાચું ગૌરવ છે જેમણે પોતાની પુત્રીની અમર યાદને વ્યવસાયમાં જીવંત રાખી અને સમાજને અનેકગણું આપ્યું.

કરસનભાઈનું બાળપણ ખેતરોની માટીમાં વીત્યું. પરિવારમાં શિક્ષણ પ્રત્યેની ધગસ હતી. તેઓ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી બન્યા અને રસાયણશાસ્ત્રમાં બી.એસ.સી. કર્યું. 21 વર્ષની ઉંમરે અમદાવાદના ન્યૂકોટન મિલ્સમાં લેબમાં કામ મળ્યું. પછી સરકારી ખાણ વિભાગમાં સ્થિર નોકરી. આખા પરિવાર માટે આ જ સપનું હતું સરકારી નોકરી, સુરક્ષિત જીવન. પરંતુ કરસનભાઈના હૃદયમાં કંઈક વધુ મોટું કરવાની ખેવના હતી. તેઓ સ્વપ્ન જોતા હતા પોતાનું કંઈક બનાવવાનું.
1969માં જીવનનો સૌથી વેદનાભર્યો અધ્યાય શરૂ થયો. તેમની પ્રિય પુત્રી નિરુપમા ઘરમાં જેને ‘નિરમા’ કહેવામાં આવતી એક રોડ અકસ્માતમાં જગતથી વિદાય લીધી. માત્ર 16 વર્ષની તે ખુશખુશાલ છોકરી, જે સફેદ ફ્રોકમાં ફરતી હતી, તેના હાસ્યથી ઘર એક ખુશાલ બગીચો હતું. તેના દેવ થવાથી કરસનભાઈનું હૃદય તૂટી ગયું. ઘરમાં શૂન્યતા છવાઈ પરંતુ આ વેદનાએ તેમને તોડ્યા નહીં. તેમને નવું જીવન આપ્યું, તેઓએ નિરમાને અમર કરવાનો નિર્ણય લીધો. તેમની વ્હાલી પુત્રીની યાદને હરેક ઘરમાં જીવંત રાખવાનું સપનું જોયું!

ઘરના 10X10 ફૂટના નાનકડા રૂમમાં રાત્રે તેઓ ડિટર્જન્ટ પાવડર બનાવવા લાગ્યા. ફોસ્ફેટ વિનાનું અને પર્યાવરણને નુકસાનરૂપ ના હોય અને સસ્તો પાવડર. સવારે સાઈકલ પર લાદીને ઘરે ઘરે વેચવા જતા. કિંમત માત્ર 3.50 રૂપિયા પ્રતિ કિલો! તે સમયે મલ્ટીનેશનલ કંપનીઓનો પાવડર 15 રૂપિયે વેચાતો. લોકો આશ્ચર્યમાં પડી જતા... આટલું સારું અને આટલું સસ્તું? તેઓએ આ પાવડરને પુત્રીના પ્રેમથી ‘નિરમા’ નામ આપ્યું. પેકેટ પરની તે સ્માઈલિંગ નિરમા ગર્લ તે તેમની પુત્રી નિરુપમાનું પ્રતિબિંબ હતું. તેના હાસ્યમાં તેમની પુત્રીની આત્મા જીવંત હતી. દરેક પેકેટ વેચતી વખતે કરસનભાઈની આંખોમાં અશ્રુ અને આશા હતી "મારી દીકરી હવે દરેક ઘરમાં વસી જશે."

ત્રણ વર્ષ સુધી આ સાઈકલની સફર ચાલુ રહી. રોજ માત્ર 15થી 20 પેકેટ વેચાતા. પરિવારમાં કોઈ વ્યવસાયી નહોતું તેથી નિષ્ફળતાનો ભય સતત રહેતો હતો. પણ ગુજરાતી ખેડૂતની સાહસિકતા તેમના લોહીમાં હતી. 1972માં તેમણે સરકારી નોકરી છોડી દીધી. અમદાવાદમાં નાની શરૂઆત કરી. રેડિયો પર તે જીંગલ ગાજવા લાગ્યું “વોશિંગ પાવડર નિરમા, દૂધ સી સફેદી નિરમા...” આ જીંગલ માત્ર ગીત નહોતું તે તેમના હૃદયની લાગણી હતી. નિરુપમાની યાદને લઈને આ બ્રાન્ડ ગુજરાતથી દેશભરમાં ફેલાઈ ગઈ. 1980ના દાયકામાં તે ભારતનું નં.1 ડિટર્જન્ટ બની ગયું. મલ્ટીનેશનલ કંપનીઓ પણ તેની સામે હારી ગઈ.
આજે નિરમા ગ્રુપમાં આશરે 26 કારખાનાં, હજારો કર્મચારીઓ અને અબજોનો વ્યવસાય છે. ડિટર્જન્ટ, સાબુ, કોસ્મેટિક્સ, સિમેન્ટ, ફાર્મા બધામાં નિરમા નું નામ. પરંતુ કરસનભાઈ ક્યારેય વૈભવી જીવન જીવ્યા નહીં. તેઓ હજુ પણ સાદગીમાં રહે છે. તેમનું પરિવાર સાથે મળીને વ્યવસાય ચલાવે છે. તેમનું માનવું છે કે “સફળતા ત્યારે સાચી છે જ્યારે તે બીજાને પણ ઊંચે લઈ જાય.”

સમાજ પ્રત્યેનું યોગદાન તેમના જીવનનો સૌથી મોટો અધ્યાય છે. 1994માં નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી. 1995માં નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી શરૂ કર્યું. આજે નિરમા યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓને ટેક્નોલોજી, મેનેજમેન્ટ, લો અને ફાર્મસીનું શિક્ષણ આપે છે. તેમણે યુવાનોને ઉદ્યોગસાહસિક બનાવવા માટે પણ પ્રયત્નો કર્યા. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનો નવો પ્રકાશસ્તંભ તેમણે જ ઊભો કર્યો.
કરસનભાઈને પદ્મશ્રી (2010), ઉદ્યોગ રત્ન, અર્ન્સ્ટ એન્ડ યંગ લાઇફટાઇમ અચીવમેન્ટ જેવાં અનેક સન્માન મળ્યાં છે. અમેરિકાની યુનિવર્સિટીઓએ પણ ડોક્ટરેટ આપ્યાં છે. પરંતુ તેમના માટે સૌથી મોટું સન્માન એ છે કે દરેક ગુજરાતીના હૃદયમાં તેમનું સ્થાન હોય. તેઓ ગુજરાતનું ગૌરવ છે કારણ કે તેમણે કરી બતાવ્યું કે ગુજરાતી સ્વભાવ મહેનત, સાહસ અને સમાજસેવા કેવી રીતે વ્યક્તિને સમાજમાટે સેવા કરવાની તક આપે છે.
કરસનભાઈ પટેલનું જીવન આપણને શીખવે છે કે વેદના પણ સપનાં બની શકે છે. જ્યારે પુત્રીની યાદમાં તેમણે નિરમા ઊભું કર્યું ત્યારે તેઓએ માત્ર વ્યવસાય નહીં પરંતુ પ્રેમનું સામ્રાજ્ય ઊભું કર્યું. સાઈકલ પર વેચાતું નિરમા આજે દરેક ઘરમાં છે અને તેની સાથે નિરુપમાનું હાસ્ય પણ છે. કરસનભાઈનું વ્યક્તિત્વ ગુજરાતના દરેક યુવાનને કહે છેકે “તમારા હૃદયમાં જે પ્રેમ છે તેને સપનું બનાવો, સફળતા જરૂર આવશે.”
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

