- Gujarat
- ભરઉનાળે વરસાદની 3 દિવસ આગાહી! ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો ચિંતાતુર
ભરઉનાળે વરસાદની 3 દિવસ આગાહી! ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો ચિંતાતુર
માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીએ પોતાના તેવર બતાવ્યા છે ત્યારે થોડા દિવસથી તાપમાનમાં આંશિક રાહત મળી રહી છે. આજે સવારે સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને પવન ફૂંકાયો હતો, પરંતુ ત્યારબાદ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. ત્યારે ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 4 દિવસ ગરમી ચાર ડિગ્રી સુધી ઓછી થતી હોય તેવો અનુભવ થઈ શકે છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. એક તરફ ગરમીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ બીજી તરફ 18 માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાદળછાયા વાતાવરણને કારણે આંબાના મોર ખરી પડશે, સાથે જ વાતાવરણ બગડવાના કારણે શાકભાજી સહિત અન્ય પાકમાં રોગ આવવાને કારણે ખેડૂતોને નુકસાન થઇ શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા રહેશે. આ સાથે પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન છે. આ સાથે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા કરાવતી આગાહી કરતા જણાવ્યું છે કે, હવામાનમાં પલટાને કારણે આંબાના મોર ખરવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 18 માર્ચ અગાઉ પશ્ચિમી વિક્ષોભની અસર થશે, જે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. કરા પડવાની શક્યતા રહેશે અને પવનની ગતિ પણ રહેશે. 26-29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે. આ સાથે એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટો આવતો જશે. એટલે એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે-ધીરે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હિટવેવની પણ કોઈપણ પ્રકારની શક્યતા જોવા મળી રહી નથી. પરંતુ આગામી 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રોજ સુરત, તાપી રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચી જશે. તેમજ અન્ય શહેરમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો નોંધાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સર્જાયેલી પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

