- Opinion
- ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા
આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય છે. આજે આ જ ધરતી પર બે અદૃશ્ય વિષયો ધીમે ધીમે તેના આત્માને કોરી રહ્યા છે. એક છે ખાધાખોરાકીમાં ભેળસેળ અને બીજું સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર. આ બંને એકબીજાના મજબુત સાથી છે. એક આપણા શરીરને ઝેરી બનાવે છે તો બીજો આપણા આત્માને કરી ખાય છે. આજે આપણે નાગરિકો અને સરકાર બંને આ સમયે લાચારીના સાક્ષી બની ગયા છીએ.

ચિંતન કરીએ તો પ્રથમ પ્રશ્ન ઊઠે છે: આપણે શું ખાઈ રહ્યા છીએ? દૂધમાં યુરિયા, ઘીમાં વનસ્પતિ, પનીરમાં પ્લાસ્ટિકની ભેળસેળ... આ બધું માત્ર કેમિકલ્સ નથી આ તો આપણા વિશ્વાસની હત્યા છે. એક માતા જ્યારે પોતાના બાળકને દૂધ આપે છે ત્યારે તેને ખબર હોય છે કે આ દૂધમાં કેવું ઝેર છે? એક ખેડૂત જ્યારે પોતાની મહેનતનું અનાજ વેચે છે ત્યારે તેને ખબર હોય છે કે તેના અનાજમાં કેવી જંતુનાશકો મળશે? આ ભેળસેળ માત્ર આરોગ્યનો પ્રશ્ન નથી આ તો આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે. આજે ગુજરાતની પ્રસિદ્ધ ‘મીઠાઈ’ અને ‘ફરસાણ’ પર પણ વિશ્વાસ નથી રહ્યો. જ્યારે આપણે તહેવારોમાં મીઠાઈના ડબ્બા ખોલીએ છીએ ત્યારે મનમાં એક અજાણ્યો ભય શંકા હોય છે આ ખરેખર શુદ્ધ છે કે નહીં? આ ભય શંકા જ આપણી લાચારી છે.
અને ભ્રષ્ટાચાર? આ તો આપણી સામાજિક વ્યવસ્થાનું કેન્સર છે. જ્યારે એક સામાન્ય માણસ પોલીસ ફરિયાદ માટે, પાસપોર્ટ માટે, જમીનના રેકર્ડ માટે, લાઇસન્સ માટે ‘સ્પીડ મની’ લાંચ આપે છે ત્યારે તે માત્ર પૈસા નથી આપતો તે પોતાના આત્મસન્માનને પણ વેચી દે છે. ભ્રષ્ટાચારી અધિકારી જ્યારે લાંચ લે છે ત્યારે તે માત્ર નોકરી નથી કરતો તે રાષ્ટ્રની સેવાને વેશ્યાવૃત્તિમાં બદલી નાખે છે. આપણી સરકારી વ્યવસ્થાઓમાં આજે વિજીલન્સના કાયદા છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, નજરે સારું કહેવાય એવું બધું છે પરંતુ બહુમત અધિકારીઓમાં નૈતિકતાનો અભાવ છે. જ્યારે એક IAS અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં અળોટે છે ત્યારે સમજાય છે કે આ સમસ્યા ઉછા અધિકારીઓથી માંડીને પટાવાળા સુધી ફેલાઈ ગઈ છે!

ચિંતનનું સૌથી ગહન પાસું એ છે કે ભેળસેળ અને ભ્રષ્ટાચાર બન્નેવ એકબીજાને પોષે છે. ભ્રષ્ટાચારી અધિકારી ભેળસેળિયાને બચાવે છે અને ભેળસેળિયા અધિકારીઓને લાંચનો ભાગ આપે છે. આ એક વિષચક્ર છે જેમાં સામાન્ય નાગરિકનું જીવન ચકરાવામાં ફસાઈ ગયું છે. આપણે વિકાસની વાતો કરીએ છીએ; હાઈવે, સ્માર્ટ સિટી, ઇન્વેસ્ટમેન્ટ સમિટ... પરંતુ જ્યારે મૂળમાં પારદર્શી વિશ્વાસ જ ન હોય ત્યારે આ વિકાસ શું કામનો ? ગુજરાતની અંદરથી આત્મા ખોવાઈ રહી છે.
આપણે શું ભૂલ્યા? શું આપણી શિક્ષણ વ્યવસ્થાએ માત્ર ડિગ્રી આપવાનું કામ કર્યું છે? નૈતિક જવાબદારીઓ અને મૂલ્યો નહીં? શું આપણી સંસ્કૃતિ જેમાં ‘અતિથિ દેવો ભવ’ અને ‘સત્યમેવ જયતે’ના મંત્રો છે તેને આપણે માત્ર કહેવાના વાક્યો કરી દીધા છે? સરદાર, ગાંધીજી, PM નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં આજે આ સ્થિતિ કેમ? આ પ્રશ્નો આજે ગુજરાતના પ્રત્યાગ નાકરિકના મન માં છે પરંતુ એનો જવાબ કોઈની પાસે નથી અને એનું સમાધાન પણ નથી.
આ ચિંતન માત્ર નિરાશા માટે નથી. જાગૃતિ માટે છે. જ્યારે દરેક નાગરિક પોતાના ઘરેથી શુદ્ધતાની ખાતરીની માંગ કરશે, જ્યારે દરેક અધિકારી પોતાના વ્યક્તિત્વમાં સત્યનું પ્રતિબિંબ જોશે ત્યારે જ આ વિષચક્ર તૂટશે. સરકારે કડક કાર્યવાહી કરીને અને નાગરિકોએ ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડી સાથે મળીને આ લાચારીમાંથી બહાર આવવું પડશે કારણ કે ગુજરાતનો આત્મા હજુ જીવંત છે તેને માત્ર જગાડવાની જરૂર છે.
આ ચર્ચા એક ચેતવણી છે અને એક આશાનું કિરણ પણ છે. જો આપણે આજે ચિંતન કરીશું તો આવતી કાલે ઉકેલ મેળવી શકીશું. ભેળસેળ અને ભ્રષ્ટાચારને નહીં ડામીએ તો આપણી આગામી પેઢીને પણ વારસામાં એજ મળશે. વિચારીએ... અને ચોક્કસ કાર્ય કરીએ.

