- Gujarat
- વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે, દુનિયાએ મહાવીર ચિંધ્યા રાહે જાવું પડશે
વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે, દુનિયાએ મહાવીર ચિંધ્યા રાહે જાવું પડશે
તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન એટલે જગત ના કલ્યાણ અને યોગક્ષેમ નો દિન.
ચૈત્ર સુદ તેરસના દિવસે દેવાધિદેવ પ્રભુ મહાવીરનો જન્મ થયો હતો. ક્ષત્રિયકુંડ નગરની ધરતી ઉપર પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના ઘરે પ્રભુ અવતર્યા ત્યારે ચારે તરફ પૃથ્વી પર ઉત્સવનું વાતાવરણ પ્રગટ્યું હતું. સૌ જીવોએ સુખનો અનુભવ કર્યો હતો.
મહાવીર સ્વામીનો આત્મા જ્યારે માતા ત્રિશલાના ગર્ભમાં આવ્યો તે દિવસથી જ સમગ્ર રાજ્યમાં ચોમેર ધન, ધાન્ય, સંપત્તિ, ઋદ્ધિ, શક્તિ, સ્નેહ,સદભાવના, યશ કીર્તિ, ની વૃદ્ધિ થવા લાગી. ચારે તરફ આ શુભ તત્વનું વૃદ્ધિકરણ જોઈ માતા પિતાએ વિચાર કર્યો કે જયારે આ બાળક જન્મશે ત્યારે તેનું નામ વર્ધમાન પાડશું. બાળ વર્ધમાન ખૂબ જ બલવાન હતા. શરીરનું બળ ઉપરાંત ભીતરનું દ્રઢ આત્મબળ હતું. આ જોઈને દેવોએ તેમનું નામ મહાવીર પાડ્યું. આમ, વર્ધમાન હવે મહાવીર બન્યા.
સાડા બાર વર્ષની ઘોર સાધના દરમિયાન મહાવીર સ્વામીનું દ્રઢ આત્મબળ સતત અડગ રહ્યું.મેરુ પર્વતની જેમ તેઓ અડગ રહ્યા અનેક દુઃખો તેમણે સહન કર્યા તેમનું જીવન જ તેમનો ઉપદેશ હતું. સર્વ સ્વીકારની સાધના એ તેમનું જીવન હતું. મહા વીર હોવા છતાં તેમણે સારી નરસી સર્વ સ્થિતિનો સ્વીકાર કર્યો.
ચંડ કૌશિક નામના ભયંકર સર્પે ભગવાનના ચરણે ડંખ માર્યો છતાં ભગવાન ના મુખે કરુણા નીતરતા શબ્દો સરી પડ્યા કે ચંડ કૌશિક તું બોધ પામ, ગોવાળિયા એ કાનમાં ખીલા ઠોક્યા તો પણ મહાવીર સ્વામીના હૃદયના કરુણાના નીર ન સુકાયા.
સાડા બાર વર્ષની સાધનાના અંતે પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.આ જ્ઞાનના પ્રકાશમાં જગતના કલ્યાણ માટે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના મહાન સત્યોને ઉજાગર કર્યા. પ્રભુનો ઉપદેશ માત્ર શબ્દોમાં ન હતો, પરંતુ પ્રાયોગિક હતો ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી તેઓએ બતાવી. વિશ્વયુદ્ધના આરે ઉભેલી દુનિયાને આજે અહિંસાના ઉદગાતા મહાવીર સ્વામીના ઉપદેશના અમલની વિશેષ જરૂર છે.
વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીર ચિંધ્યા રાહે જાવુંપડશે.
શ્રેણિક વિદાણી

