- Gujarat
- 50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ
ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની રાત્રે અચાનક ધરાશાયી થઇ ગયો હતો. સદનસીબે ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ બ્રિજ ધરાશાયી થતા આસપાસના રહેણાંક મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો.
આણંદ તાલુકાના વડોદ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ રેલવે ફાટક નંબર 250 ઉપર ઓવરબ્રિજ માટેનું બાંધકામ રેલવે ગતિશક્તિ યુનિટ વડોદરા કરી રહ્યું હતું. જેમાં અડાસ ગામથી હાઇવે તરફ જતા ઢાળના સ્પાન તૈયાર કરીને એપ્રોચ ગર્ડર્સ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. જેમાં શનિવારે સાંજે 7:00 વાગ્યાની આસપાસ બે બીમ વચ્ચેના 3 ગર્ડર વધુ વજન અથવા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થવાની શક્યતા ટળી જવા પામી હતી.
રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રિજની કામગીરીમાં નિર્ધારિત નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ 'શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં સાઇટ પર શું થયું?' તે તમામ પાસાઓની તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવશે. આ ઘટના પાછળના મૂળ કારણો અને ટેકનિકલ ક્ષતિઓની સંપૂર્ણ ચકાસણી કરીને ટૂંક સમયમાં જ વડોદરા ડિવિઝન દ્વારા રેલવે મંત્રાલયને એક વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવશે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, આણંદના અડાસ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડવાની ગંભીર ઘટના બાદ રેલવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલાને રેલવે મંત્રાલયે અત્યંત ગંભીરતાથી લીધો છે, જેના પગલે વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રાજૂ ભડકે એક્શન મોડમાં આવી ગયા છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા DRM સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતા વડોદરા DRM રાજુ ભડકે જણાવ્યું હતું કે, 'મારા નિરીક્ષણ મુજબ આ બ્રિજનો ભાગ કોઈ પણ સંજોગોમાં પડવો જોઈતો નહોતો. અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે આ આખો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઘટના પાછળ કોની બેદરકારી છે અને ખરેખર શું ખામી સર્જાઈ તેની તપાસ માટે ચીફ ઇન્જિનિયર અને ડેપ્યુટી ઇન્જિનિયર સહિતની સ્પેશિયલ ટેકનિકલ કમિટી મેદાનમાં ઉતારવામાં આવી છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હાલ રેલવેના અન્ય કેટલાય સ્થળોએ પણ બ્રિજ નિર્માણની કામગીરી યથાવત્ ચાલી રહી છે. અડાસની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે તે તમામ ચાલુ પ્રોજેક્ટ્સના સ્થળોએ પણ સુરક્ષા અને ગુણવત્તાની કડક ચકાસણી (ઓડિટ) તાત્કાલિક ધોરણે કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય.'
એન્જિનિયરિંગ ક્ષેત્રે આ દુર્ઘટનાએ મોટો સવાલ ઉભો કર્યો છે કારણ કે આ બ્રિજનું કામ કોઈ જૂની પદ્ધતિથી નહીં, પરંતુ આધુનિક ગણાતી 'પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી'થી થઈ રહ્યું હતું. બ્રિજના બે મુખ્ય પિલર પર જે 'પીયર કેપ' બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું હતું. પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે કકડભૂસ થઈ જવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા તો એન્જિનિયરિંગ ગણતરીમાં થયેલી મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.
આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે. અગાઉ રાજુપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

