- National
- સુરત પોલીસની મદદથી NEET પાસ કરાવવાના બહાને લાખોની છેતરપિંડી કરતી ગેંગને દિલ્હી પોલીસે દબોચી
સુરત પોલીસની મદદથી NEET પાસ કરાવવાના બહાને લાખોની છેતરપિંડી કરતી ગેંગને દિલ્હી પોલીસે દબોચી
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે NEET-UG 2026ની પરીક્ષાના નામે માસૂમ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને એડિશનલ CP (ક્રાઇમ) કરણરાજ વાઘેલા દ્વારા આપવામાં આવેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે આ સમગ્ર ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી.
ન્યૂઝ કેપિટલના અહેવાલ મુજબ, ‘સુરત ક્રાઇમ બ્રાન્ચની બાતમી મુજબ, એક શંકાસ્પદ વ્યક્તિ દિલ્હીમાં રહીને NEET પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી રહ્યો હતો. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિપાલપુર વિસ્તારની 100 જેટલી હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે, હોટલ આનંદ લોક ઇનમાંથી સુરતના વિનોદભાઈ ભીખાભાઈ પટેલ સહિતના આરોપીઓ મળી આવ્યા હતા. ત્યારબાદ, ગાઝિયાબાદના ફ્લેટ પર દરોડો પાડીને કુલ 18 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નો આપવાના બહાને વાલીઓથી અલગ રાખી ગોંધી રાખવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ મુખ્યસૂત્રધાર સંતોષ કુમાર જાયસ્વાલ (રહે. દિલ્હી, મુળ બિહાર, NIFT ગ્રેજ્યુએટ અને પેથોલોજી લેબ ચલાવે છે.) ડૉ. અખલાક આલમ ઉર્ફે ગોલ્ડન આલમ (રહે. બિહાર. કિર્ગિસ્તાનથી MBBS કરેલું છે. જૂના પ્રશ્નપત્રોના આધારે નકલી પેપર તૈયાર કરવાનું કામ કરતો હતો.), સંત પ્રતાપ સિંહ (રહે. લખનૌ. B.Tech ગ્રેજ્યુએટ, બિલ્ડર અને પ્રોપર્ટી ડિલર. લોજિસ્ટિક્સ અને રહેવાની સુવિધા પૂરી પાડતો હતો.), વિનોદ ભીખાભાઈ પટેલ (રહે. ઘર નં. 451, મારુતિધામ સોસાયટી, ન્યૂકોસાડ રોડ, અમરોલી, સુરત) તરીકે થઈ છે. વિનોદ પટેલ સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લાલચ આપી ગેંગ સાથે જોડવાનું કામ કરતો હતો.
આરોપીઓ પાસેથી નકલી પ્રશ્નપત્રો અને અભ્યાસ સામગ્રીના 149 પાનાં, ભોગ બનનારના સહી કરેલા 3 બ્લેન્ક ચેક, અન્ય વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ ગેંગ વાલીઓ પાસેથી MBBSમાં એડમિશનના નામે 20-30 લાખ રૂપિયા માંગતી હતી. વિશ્વાસ જીતવા માટે તેઓ વિદ્યાર્થીઓના અસલી માર્કશીટ, દસ્તાવેજો અને સહી કરેલા બ્લેન્ક ચેક પડાવી લેતા હતા. પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓને મહત્ત્વના પ્રશ્નો આપવાના બહાને કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ છેતરપિંડી કરતા હતા.
સુરત શહેર પોલીસ વાલીઓ તથા વિદ્યાર્થીઓને વિનંતી કરે છે કે, આવી કોઈ પણ લાલચમાં આવવું નહીં. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરકાયદેસર રીતે એડમિશન અપાવવાના દાવા કરતા તત્વોથી સાવચેત રહેવું, જેથી નાણાકીય નુકસાન અને વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતું અટકાવી શકાય.

