- Gujarat
- સુરત પોલીસનું ‘મિશન મિલાપ’: પરિવારને જોડનારો સેવાયજ્ઞ
સુરત પોલીસનું ‘મિશન મિલાપ’: પરિવારને જોડનારો સેવાયજ્ઞ
સૌના જીવનમાં કેટલીક વેદનાઓ એવી હોય છે કે શબ્દોમાં વર્ણવી ન શકાય. એક માતા જેનો દીકરો વર્ષોથી ગુમ છે, એક વૃદ્ધ પિતા જેની પુત્રી ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે, એક યુવાન જેના ઘરના સભ્ય તેની યાદમાં રાતો-રાતો સુધી જાગે છે. આ તમામની આંખોમાં એક જ પ્રાર્થના હોય છે “...એક વાર મળી જાય તો…” આવા અનેક પરિવારોની નિરાશાને સુરત પોલીસે હર્ષમાં બદલી નાખી છે. 591 બાળકો, યુવાનો, વૃદ્ધો અને મહિલાઓને તેમના ઘરે પહોંચાડીને પોલીસે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ માત્ર કાયદાનું પાલન નથી પણ માનવતાની જીત છે.

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જ્યારે આ ‘મિશન મિલાપ’ શરૂ કર્યું ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આ એક સામાન્ય અભિયાન નહીં પણ એક સેવાયજ્ઞ બની જશે. વર્ષ 2007થી ચાલતા કેસોની ફાઇલોને ફરીથી ખોલવામાં આવી. 4500થી વધુ ગુમ થયેલા વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો. જે કેસો વર્ષો સુધી ધૂળ ખાતા પડેલા હતા તેમને ફરીથી તપાસવાનું કામ શરૂ થયું. અહીં પોલીસે માનવીય બુદ્ધિમત્તા અને આધુનિક ટેકનોલોજીનો સાથે ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા, આધાર કાર્ડના ડેટા, પેમેન્ટ ગેટવે અને એઆઈ ટૂલ્સની મદદથી લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા. વિવિધ રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી. સ્થાનિક પોલીસ, સરપંચો અને ગામના આગેવાનોનો સહયોગ લેવાયો. આ બધું એક જ શુદ્ધ હેતુથી કોઈ પણ કિંમતે પરિવારને ફરી ભેગો કરવો.
આ અભિયાનમાં સૌથી પ્રેરક બાબત એ હતી કે પોલીસે જૂના કેસોને પડતા મૂક્યા નહીં. 15-20 વર્ષથી ગુમ થયેલા લોકોને પણ શોધવામાં આવ્યા. કલ્પના કરો કોઈ વૃદ્ધ માતા જેનો પુત્ર યુવાનીમાં ગુમ થયો હતો અને આજે તેઓ પોતાના દીકરાને મળે છે! અથવા એક બાળક જે નાનપણમાં રસ્તો ભૂલી ગયું હતું આજે તેના માતા પિતાના આવીને ભેટે છે. આવા કિસ્સાઓમાં વિરહના આંસુ વહ્યા છે પણ આ વખતે આનંદનાં આંસુ હતાં. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી નહોતી દાખવવામાં આવી. દરેક કેસ પર અગત્યતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ અભિયાનને ગુજરાતના DGP ડૉ. કે.એન. રાવના ‘ઓપરેશન મુસ્કાન’થી પ્રેરણા મળી છે. સુરતના જોઈન્ટ કમિશનર ડૉ. કરણરાજ વાઘેલા અને તેમની ટીમે દિવસરાત મહેનત કરીને આ અભિયાનને સફળ બનાવ્યું. આ કામમાં જે પડકારો આવ્યા તેને જોતાં લાગે છે કે પોલીસે ખરેખર ‘ભગીરથ પ્રયાસ’ કર્યો છે. જૂની ફાઇલો ખોલવી, જૂના સાક્ષીઓને શોધવા, ફરિયાદીઓનો સંપર્ક કરવો આ બધું સરળ નહોતું.
આ સફળતા યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. જે યુવાનો પોલીસ સેવામાં જવા માંગે છે તેમને આ કિસ્સો સમજાવે છે કે પોલીસનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું નથી પણ લોકોના જીવનમાં સુખ પાછું લાવવાનું પણ છે. સુરત પોલીસે કરી બતાવ્યું છે કે જ્યારે હૈયામાં માનવતા હોય અને મનમાં ધાર્યું કર્યા પૂરું કરવાની ધગસ હોય ત્યારે કોઈપણ અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બની જાય છે. આ મિશન હજુ પૂરું થયું નથી અને પોલીસ કામે લાગેલી છે.
આજે જ્યારે આપણે આ વાત વાંચીએ છીએ ત્યારે આપણા હૃદયમાં ગર્વ અને આભારની લાગણી જાગે છે. સુરત પોલીસના આ અદ્ભુત કાર્યને khabarchhe.com ટીમ ગર્વ સાથે સલામ કરે છે.

