- Gujarat
- ‘સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કાચા પડી ગયા...’, આ શું બોલી ગયા ભાજપના ધ...
‘સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કાચા પડી ગયા...’, આ શું બોલી ગયા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં રાજકીય માહોલ જામ્યો છે. એજ અનુસંધાને સુરતના વરાછા વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. વરાછાના વોર્ડ નંબર-4ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાની લાક્ષણિક શૈલીમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ મંચ પરથી તેમણે ન માત્ર વિરોધીઓ પર પ્રહાર કર્યા, પરંતુ પોતાની પાર્ટીના કાર્યકરોને પણ આત્મચિંતન કરવા માટે ટકોર કરી છે.
કુમાર કાનાણીએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં અને તેમને સમજાવવામાં ક્યાંક ને ક્યાંક આપણે કાચા પડ્યા છીએ. તેમણે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સરકારના યોગદાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. વિદ્યાર્થીઓની ફી, દફતર અને કપડાંની સહાય સરકાર આપે છે, પરંતુ આ હકીકત આપણે જનતા સુધી અસરકારક રીતે પહોંચાડી શક્યા નથી.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સુરતમાં આયોજિત આ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં, કુમાર કાનાણીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કહ્યું કે, 'આપણી મુખ્ય ખામી સંદેશ વ્યવસ્થામાં રહી ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા લોકોને ખોટી માહિતી આપવામાં આવી અને ગેરમાર્ગે દોરવામાં આવે છે, જ્યારે ભાજપ સચ્ચાઈ લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી શકી નથી નહીં.’ AAPએ લોકો વચ્ચે ખોટી વાતો ફેલાવી, પરંતુ આપણે સાચી માહિતી પ્રજાજનો સુધી પહોંચાડી શક્યા નથી.

ધારાસભ્ય કુમાર કાનાણીએ એમ પણ કહ્યું કે, 'વરાછામાં કોઈ વિરોધ પક્ષની જરૂર નથી, ભાજપના કાર્યકર્તાઓ પોતે જ પ્રજાનો અવાજ છે અને પ્રજાની પીડા સરકાર સુધી પહોંચાડવા સક્ષમ છે.' આરોગ્ય સેવાઓ અંગે વાત કરતા કાનાણીએ વિરોધ પક્ષના આક્ષેપોને ખંડન કરતા કહ્યું કે, સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય સેવા માટે લોકો પાસેથી કોઈ પૈસા લઈ રહ્યું નથી. સરકાર તો મફત સેવા આપી રહી છે. ‘મા કાર્ડ’ યોજના (મુખ્યમંત્રી અમૃતમ યોજના) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત સારવાર આપવામાં આવી રહી છ.” પરંતુ આ મહત્ત્વપૂર્ણ માહિતી લોકો સુધી પૂરતી રીતે પહોંચાડવામાં પાર્ટી નિષ્ફળ રહી છે.
કુમાર કાનાણીએ પાર્ટી કાર્યકરોને સંદેશ આપ્યો કે હવે સમય આવી ગયો છે કે સરકારની દરેક યોજના અને તેની હકીકત લોકો સુધી સીધી પહોંચાડવી જોઈએ. જો આપણે લોકો સુધી સાચી માહિતી પહોંચાડી શકીશું, તો ગેરસમજ દૂર થશે અને લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. આપણે પાર્ટી ટિકિટ ન આપે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અંદરોઅંદર લડવાની જરૂર નથી, આપણે એક-બીજાને નીચે પાડવાના નથી, આપણે તો AAPને પાડી દેવાની છે.’ સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને આવ્યા હતા. AAPના પ્રચારથી સતર્ક રહેવા કુમાર કાનાણીએ ચેતવણી આપી હતી.

વિપક્ષી નેતાઓ પર નૈતિક આક્ષેપ કરતાં કાનાણીએ કહ્યું કે જે લોકો અત્યારે સુંદરકાંડ કરીને ધાર્મિક હોવાનો દેખાવ કરે છે તેમણે પાંચ વર્ષ સુધી દેશી દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવ્યા છે. પોલીસ સાથે સેટિંગ અને ગેરકાયદેસર બાંધકામોમાં તોડબાજી કરવી એ તેમનો અસલી ચહેરો છે. આવા ભ્રષ્ટ લોકોને જનતાની સામે ખુલ્લા પાડવા હવે ભાજપના કાર્યકર્તાઓએ જંગે ચઢવું પડશે.
પોતાની પ્રામાણિકતા પર ભાર મૂકતાં ધારાસભ્યે જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો કે વરાછાનો કોઈ પણ સામાન્ય નાગરિક જો કહે કે ધારાસભ્યે કોઈ કામ માટે પૈસા માંગ્યા છે તો હું અત્યારે જ પદ પરથી રાજીનામું આપી દઈશ. તેમણે કાર્યકર્તાઓને સૂચના આપી કે કોઈ અધિકારીને પૈસા આપવાની જરૂર નથી. આપણે ઈમાનદારીના જોરે જનતા પાસે વટથી મત માંગીશું.

