- Gujarat
- ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું- લિંબાયતની અનેક સોસાયટીઓમાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિ...
ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું- લિંબાયતની અનેક સોસાયટીઓમાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે કારણ કે...
ધારાસભ્ય અરવિંદ રાણા બાદ હવે સંગીતા પાટીલે હિન્દુઓની હિજરતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લઘુમતી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવા માટે જે રીતે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે, તેના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને રહેવાસીઓ લડી લેવાનો મૂડ બનાવ્યો છે. તેમણે જગન્નાથ મહાદેવના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરી, ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે દાવો છે કે, ‘સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતા અનેક વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે હિન્દુઓ પોતાના ઘર સસ્તામાં વેચી દેવા અથવા તાળા મારી અન્ય વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા છે.’ દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વિધાનસભામાં અશાંતધારા બિલની ચર્ચા દરમિયાન પણ સંગીતા પાટીલે પોતાના વિસ્તારના આ મુદ્દો ઉઠાવ્યો હતો. સંગીતા પાટીલે કહ્યું હતું કે, ‘લિંબાયતની અનેક સોસાયટીઓ એવી છે કે, જ્યાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમામ ધર્મના લોકોને મકાનની ફાળવણી થતી હોય છે. ત્યારે આ યોજનામાં રહેતા હિન્દુ પરિવારનો પણ પરેશાન કરાતા હોવાની ફરિયાદ કરી છે.’

લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા તેલુગુ સમાજના ભાઈ-બહેનોની વ્યથા રજૂ કરતા ધારાસભ્યએ કહ્યું હતું કે, અગાઉ અહીં 8-10 હજાર જેટલા તેલુગુ પરિવારો ખૂબ જ શાંતિથી રહેતા હતા. પરંતુ, સમય જતા અમુક અસામાજિક તત્વોના ત્રાસને કારણે આ પરિવારો હવે ત્યાંથી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે. તેમને સતત એ હદે માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તેઓ પોતાની સંપત્તિ ઓછી કિંમતે વેચી દે અથવા ઘર છોડીને ભાડે રહેવા જતા રહે છે, જે ચિંતાજનક છે.
સંગીતા પાટીલે જણાવ્યું કે, ‘ઘણા હિન્દુ પરિવારો શુદ્ધ શાકાહારી હોય છે, જ્યારે તેમની આજુબાજુમાં રહેતા અમુક પરિવારો માંસાહાર કરતા હોય છે. આ લોકો માંસાહાર કર્યા બાદ તેના અવશેષો અને ગંદકી જાણીજોઈને હિન્દુઓના ઘરની આજુબાજુ ફેંકી દે છે. આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોને માનસિક રીતે તોડી નાખવાનો અને તેમને આ ધાર્મિક અસહિષ્ણુતા સહન કરવા મજબૂર કરવાનો હોય છે.’
તેમણે જણાવ્યું હતું કે, સરકારી આવાસ યોજનાઓ, જે ગરીબોના ઉત્થાન માટે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે, ‘પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જ્યારે ડ્રો દ્વારા મકાનો ફાળવવામાં આવે છે. અહીં રહેતા હિન્દુ પરિવાર પણ પોતાના આવાસ છોડીને જતા રહે તે હદે ત્રાસ આપવામાં આવે છે. લિંબાયતમાં કેટલાક અસામાજિક તત્વો વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય હિન્દુઓની સંપત્તિ પડાવી લેવાનું છે. પહેલા તેઓ એક ઘર ખરીદે છે, પછી તેની પર ગેરકાયદેસર રીતે 4-5 માળનું બાંધકામ કરે છે અને ત્યારબાદ આજુબાજુના હિન્દુઓને હેરાન કરીને તેમના મકાનો પણ લઈ લે છે. આ રીતે તેઓ આખું નગર વસાવવાનો પ્રયાસ કરે છે.

ચર્ચા દરમિયાન સંગીતા પાટીલે પ્રભાવિત સોસાયટીઓના નામ જણાવતા પદ્માવતી નગર, મારુતિનગર, ગોવિંદ નગર, બુદ્ધ સોસાયટી, અંબિકા નગર અને અંબા નગર જેવી અનેક સોસાયટીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સોસાયટીઓમાં એક સમયે હિન્દુઓની બહુમતી હતી, પરંતુ આજે ત્યાં હિન્દુઓ નામ માત્ર રહી ગયા છે. માત્ર એક-બે પરિવારો જ બચ્યા છે, જેઓ પણ અત્યંત ભય અને ત્રાસના ભય હેઠળ જીવી રહ્યા છે અથવા ઘરને તાળાં મારીને પલાયન કરી ગયા છે. જે વિસ્તારોમાં માત્ર એક-બે હિન્દુ પરિવારો બચ્યા છે, તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને મિલકત વેચવા મજબૂર કરવામાં આવે છે.
સંગીતા પાટીલે કહ્યું કે, ‘આ પરિવારો પોતાની સુરક્ષા માટે મિલકતો વેચીને અન્યત્ર રહેવા માંગે છે, પરંતુ અશાંતધારાને કારણે ક્યારેક વેચાણની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડે છે. તેમણે રજૂઆત કરી કે આવા કિસ્સાઓમાં હિન્દુ પરિવારોને મિલકત વેચવાની પરવાનગી જલદી મળવી જોઈએ જેથી તેઓ સુરક્ષિત સ્થાને પોતાનું નવું ઘર વસાવી શકે.
સંગીતા પાટીલે કહ્યું કે, ‘જો કોઈ હિન્દુ પોતાની મિલકત બીજા હિન્દુને વેચવા માંગતો હોય, તો તેને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ.’ જોકે, હિન્દુની મિલકત અન્ય ધર્મના લોકોને વેચવાના કિસ્સામાં કડક નિયંત્રણો હોવા જોઈએ. આ રજૂઆત પાછળનો તેમનો તર્ક એ હતો કે હિન્દુ વસ્તી જળવાઈ રહે અને વસ્તીનું સંતુલન ન બગડે, જે લિંબાયતના સામાજિક માળખા માટે જરૂરી છે.

નવા સુધારા બિલ મુજબ, હવે અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફર માટે SITની તપાસ કરવામાં આવશે. ધારાસભ્યએ આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કોઈપણ ફાઈલ પાસ ન થવી જોઈએ. આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે મિલકતો પચાવી પાડતા તત્વો પર લગામ લાગશે. તપાસ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે મિલકતનું વેચાણ કોઈ દબાણ કે ત્રાસ હેઠળ તો નથી થઈ રહ્યું ને?
ધારાસભ્યએ જણાવ્યું કે લિંબાયતની જનતાએ તેમને જે પ્રશ્નો અને ફરિયાદો મોકલી હતી, તેને તેમણે ગૃહમાં રજૂ કરી છે. જનપ્રતિનિધિ તરીકે આ તેમની જવાબદારી છે કે તેઓ પોતાના વિસ્તારના લોકોની સુરક્ષા અને શાંતિ માટે અવાજ ઉઠાવે. હજારો લોકો જે માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે, તેમની વેદના સરકાર સુધી પહોંચાડવી જરૂરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે નવા કાયદાથી અસામાજિક તત્વોમાં ફાળ પડશે અને સામાન્ય જનતાને ન્યાય મળશે.
સંગીતા પાટીલે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં જે રીતે વસ્તીનું પરિવર્તન થઈ રહ્યું છે તે આકસ્મિક નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે. હિન્દુઓના મકાનો લઈને ત્યાં મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી દેવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં અન્ય ધર્મના પરિવારોને વસાવવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે જૂના રહેવાસીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અશાંતધારાનો હેતુ આવા વસ્તી વિષયક ફેરફારોને રોકવાનો જ છે, જેથી સામાજિક સમરસતા જોખમાય નહીં.

