- Politics
- કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી
કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી
દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને તેનું જૂનું કાર્યાલય એટલે કે 24 અકબર રોડ સ્થિત બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ઇન્દિરા ભવન’માં નવું કાર્યાલય ખસેડ્યા બાદ પણ કોંગ્રેસે આ જૂનો બંગલો ખાલી કર્યો નહોતો. અહીં પણ પાર્ટીની ગતિવિધિઓ પહેલાની જેમ જ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસને 5 રાયસીના રોડ સ્થિત યુથ કોંગ્રેસ કાર્યાલય ખાલી કરવાની પણ નોટિસ મળી છે.
કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસને 24 અકબર રોડ સ્થિત બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે. પાર્ટીને કહેવામાં આવ્યું છે કે, આગામી 28 માર્ચ સુધીમાં જૂનો બંગલો ખાલી કરી દો. આ સાથે જ, 5 રાયસીના રોડ સ્થિત યુથ કોંગ્રેસ કાર્યાલય ખાલી કરવા માટે નોટિસ પણ મળી છે.
છેલ્લા 48 વર્ષથી 24 અકબર રોડ પરનો બંગલો કોંગ્રેસ પાર્ટીનું મુખ્યાલય છે. જો કે, ગયા વર્ષે પાર્ટીના નવા મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’નું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, પરંતુ કોંગ્રેસે 24 અકબર રોડ પરનું કાર્યાલય ખાલી કર્યું નહોતું. અહીં પણ પાર્ટીની પ્રવૃત્તિઓ પહેલાની જેમ જ ચાલુ રહે છે. નોટિસ મળ્યા બાદ, પાર્ટી હાલમાં રાહત મેળવવા માટે કાયદાકીય વિકલ્પો શોધી રહી છે.
24 અકબર રોડ, એ સરનામું છે જ્યાંથી કોંગ્રેસ પાર્ટી લગભગ 50 વર્ષથી દેશભરમાં સત્તા ચલાવતી આવી રહી છે. વર્ષ 1978માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પુનર્ગઠન થયું, ત્યારથી લઈને અત્યાર સુધી અહી કોંગ્રેસનું સરનામું રહ્યું, પરંતુ હવે કોંગ્રેસને આ મુખ્યાલય ખાલી કરવું પડી શકે છે.

