- Gujarat
- હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે. અમદાવાદના ખોડિયારનગરના રહેવાસી અરજદાર જયેશ પરમારની અરજીને સાંભળીને સામાવાળા નામે CID ક્રાઈમ સાયબર સેલ પોલીસ મથકના PI બી.એમ. ચૌધરી, PSI પરમાર, SP રાજદીપસિંહ ઝાલા સાથે ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવી સહિત તેમના અન્ય ભાગીદારોને નોટીસ ફટકારવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડ-દેવડમાં વિવાદ સર્જાયો હતો. આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના 10:00 વાગ્યાથી મોડી રાતના 2:00 વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા.
જે તે સમયે અધિકારીઓએ કાયદો હાથમાં લઈ જયેશ પરમારને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ અધિકારીઓએ લોક ગાયક કિર્તિદાન ગઢવી તથા તેમના ભાગીદારોની વાતમાં આવી અરજદારને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત હાઇકોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવી રાખવા હુકમ પણ કર્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અરજદારે પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે કિર્તિદાન ગઢવી અને અરજદાર વચ્ચે કોમર્શિયલ સિવિલ પ્રકારનો વિવાદ હતો. જેનું નિવારણ લવાદ દ્વારા લાવી શકાય તેમ હતું. પરંતુ આ સમગ્ર ઘટના પાછળ કિર્તિદાન ગઢવી મુખ્ય માસ્ટર માઈન્ડ છે. સાથે જ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે.
અરજદારે જણાવ્યું હતું કે તે પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. જેણે કિર્તીદાન ગઢવી સાથે નવરાત્રિ 2025 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. તેઓએ એક પાર્ટનરશિપ ડીડ કરી હતી. પરંતુ પૈસા અને એકાઉન્ટ બાબતે વિવાદ ઊભો થયો હતો. અરજદારે કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ કર્યો નથી. તેમ છતા સાયબર સેલ ગાંધીનગરના પોલીસ કર્મચારીઓએ સાદા ડ્રેસમાં તેને કસ્ટડીમાં ગોંધી રાખી માર માર્યો હતો. માર મારવા અંગેનું ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં યોજાયેલી ઇવેન્ટને લગતી કોઈપણ ફરિયાદ ગાંધીનગરની હદમાં આવતી નથી, તેમ છતાં કિર્તિદાનના કહેવાથી પોલીસે આ પગલું ભર્યું હતું. કારણ કે નવરાત્રિમાં પોલીસે અધિકારીઓને આપવા માટે 8,000 થી વધુ ટિકિટો લીધી હતી.
ગાંધીનગરની કોર્ટે નોંધ્યું હતું કે FIR નોંધાયાને ઘણો સમય થયો હોવા છતા અરજદારોને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને અન્ય ફરિયાદો પણ ધ્યાને લીધી હતી, અરજદારોને કોર્ટે શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ
આ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લેતા કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના PI બી. એમ. ચૌધરી અને PSI પરમારને ખુલાસો કરવા નોટિસ જાહેર કરી છે. કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ કર્યો છે, જેથી સત્ય શું છે તે બહાર આવી શકે.
બીજી તરફ, આ પ્રકરણમાં અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે નોંધાયેલી FIR મુજબ, જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહ પર ઓનલાઇન પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરી આશરે 65 હજાર જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચીને 8થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ છે. જો કે આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાની બાબતને ધ્યાને લઈને ગાંધીનગર કોર્ટે અગાઉ આ ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
આ કેસ હાલમાં કોર્ટના આધીન છે અને બંને પક્ષોના પુરાવાઓ તપાસ્યા બાદ જ અંતિમ ચૂકાદો આવશે. કિર્તીદાન ગઢવી જેવા જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં ઉછળતા મનોરંજન જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.

