- Gujarat
- સુરતમાં 4 સગીરોએ 10માં ધોરણના વિદ્યાર્થી પર છરીથી કર્યો જીવલેણ હુમલો, આજે બોર્ડની પરીક્ષાનું પેપર પણ...
સુરતમાં 4 સગીરોએ 10માં ધોરણના વિદ્યાર્થી પર છરીથી કર્યો જીવલેણ હુમલો, આજે બોર્ડની પરીક્ષાનું પેપર પણ છૂટી ગયું
છેલ્લા એકાદ વર્ષથી ગુજરાતની શાળાઓમાંથી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે ચોંકાવનારી અને આઘાતજનક છે. અગાઉ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી પણ ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થી સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. ત્યારબાદ પણ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારમારી, હાથ પર બ્લેડથી કાપા પાડવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે સુરતમાં 4 સગીરોએ 10માં ધોરણના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યાની માહિતી મળી રહી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરોએ 10માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પીડિત વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના વડે હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી છે. આજે તેનું ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર હતું, પરંતુ તે હોસ્પિટલમાં હોવાને કારણે પરીક્ષા આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, કર્મયોગી સોસાયટી પાસે ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ નામનો શાળા આવેલી છે. આ શાળાના ગેટની બહાર ઘટનામાં 4 વિદ્યાર્થીઓ ભેગા મળીને એક વિદ્યાર્થીને માર્યો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે 10માં ધોરણના વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ હતી.
પીડિત વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની જ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે અગાઉ મતભેદ થયો હતો, જેની અદાવત રાખીને તેને રસ્તામાં રોક્યો હતો. સગીરોએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને તારામાં બહુ દમ છે તેમ કહી અપશબ્દો બોલી મારમારી કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ છરી કાઢી પીઠ અને પેટના ભાગે હુમલો કરી દીધો હતો, જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળ પરથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય જીભાજોડી બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેની અદાવત રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હતો.’
ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાંડેસરા પોલીસે આરોપી ચારેય સગીરોની ધરરક કરી લીધી છે અને એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. એક તરફ પુત્ર હોસ્પિટલનાની પથરી પર લોહીલુહાણ હાલતમાં છે અને તેની પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે બીજી તરફ પરિવારજનો આવા હિંસક સગીરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ઘટનાને કારણે શાળા તેમજ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ શાળાના કાર્યક્રમ દરમિયાન આવી ઘટના બનતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઇ છે. તો આ ઘટના બાદ એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં આટલી આક્રમકતા, આટલી નફરત, આટલો ગુસ્સો ક્યાંથી આવતો હશે કે તેઓ આટલી મોટી ઘટનાને અંજામ આપતા પહેલા પણ ખચકાતા નથી? ક્યાંક આ સોશિયલ મીડિયાનો દુષ્પ્રાભાવ તો નથી ને?

