- Gujarat
- ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી
ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી
છેલ્લા એક-બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો મિજાજ કંઈક અલગ રહ્યો છે. અગાઉ જ્યારે સીઝન મુજબ હવામાન બદલાતું હતું, ત્યારે હવે અચાનક વાતાવરણમાં પલટો આવી જાય છે. અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે. અત્યારે વાતાવરણ ક્યારે બદલાઈ જાય એ કહી શકાતું નથી. અત્યારે અંબા પર મોર આવવા સાથે કેરીઓ બેસવા લાગી છે, પરંતુ હવામાનમાં ફેરફાર થવાને કારણે અંબા પર આવેલી મોર ખરી પડશે અને ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.
છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. સવારે પડેલા માવઠાંએ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામમાં કેસર અને લંગડો કેરીની આંબાવાડી કરતા ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. મોર ખરવાથી આગામી સીઝનમાં ઉત્પાદન પર સીધી અસર પડશે. કેરી સિવાય મકાઈ અને તુવર જેવા પાક પર પણ હવામાનની અસર થઈ શકે છે, જેને પાકમાં નુકસાન થવાથી ખેડૂતોને નુકસાન થશે અને આર્થિક નુકસાન થવાથી રડવાનો વારો આવી શકે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે આંબાના વૃક્ષોમાં રોગચાળો ફેલાવાની શક્યતા પણ છે. એક ખેડૂતે જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદના વાદળો છવાયા હોય અને આ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા આ વિસ્તારના હજારો ખેડૂતોનો કેરી, ઘઉં, મકાઈ, દિવેલા, સહિતના ઉભા પાકને ખૂબ મોટુ નુકસાન થયું છે. ગત ચોમાસાની ઋતુમાં અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા અને જતા રવિપાકમાં પણ આજ પરિસ્થિતિ ઊભી થઈ છે.. જો આવી ને આવી જ સ્થિતિ રહી તો, જગતના તાતે ફરી એક વખત રડવાનો વારો આવશે અને તેના આર્થિક બોજો વધશે.
મકાઈનો પાક ઉછેરતા એક ખેડૂતે કહ્યું કે, ‘મકાઈના પાકમાં પશુઓનો ત્રાસ છે, જ્યારે મકાઈ તૈયાર થાય ત્યારે સુળવનો ત્રાસ હોય છે, જેનાથી અમે રાત દિવસ મહેનત કરીને પાક બચાવીએ. હાલ માવઠાએ પાણી ફેરવી વાળ્યું છે. માવઠાના કારણે અમારે ખૂબ નુકસાન થયું છે. મકાઈના ડોડા તો અમે ઘરમાં રાખીએ પણ રાડ ત્યાં નાખીએ..આખા ખેતરમાં રાડ ખેલાયેલી છે. આટલું જ નહીં બહાર મકાઈના ડોડા પડ્યા છે, એના પર માવઠાના કારણે પલળી ગઈ છે, જેને બજારમાં લઈ જઈએ તો પૂરતા ભાવ નથી મળતા. અમને વારંવાર નુકસાન થાય છે. માટે સરકાર અમારા માટે વિચારે તો સારું.’
વારંવાર બદલાતા હવામાનની અને માવઠાની અસરને કાને ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ફરી એક વખત પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડી રહી છે, અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ખેતી કરતા ખેડૂતો માટે ફરી એકવાર આર્થિક સંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે અને સરકાર પાસેથી સહાયની માંગ ઉઠી રહી છે.

