- Gujarat
- ભરઉનાળે કમોસમી વરસાદનો માર, જગતના તાતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો
ભરઉનાળે કમોસમી વરસાદનો માર, જગતના તાતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો
ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણમાં હવે અવરનવાર પલટો આવી રહ્યો છે. છેલ્લા 4 મહિનામાં કમોસમી વરસાદે બીજી વખત જગતના તાતને ચિંતામાં મૂકી દીધો છે. ગયા વર્ષે એટલે કે 2025ના ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં આવેલા માવઠામાં ખેડૂતોને રડતા કરી મૂક્યા હતા. કમોસમી વરસાદને કારણે ડાંગર સહિત તૈયાર પાકને ભારે નુકસાન થયું હતું. જ્યારે હવે ગઇકાલે વહેલી સવારે અને મોડી રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું હતું, જેને કારણે ખેડૂતોને ફરી એક વખત કમોસમી વરસાદનો માર પડ્યો છે.
ગઇકાલે વહેલી સવારે ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ સાંજ અને રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે જ કેટલાક ભાગમાં કરા સાથે વરસાદ પડતા ઘઉં, ઉનાળુ બાજરી, જીરું, કપાસ, વરિયાળી, એરંડા, ઈસબગુલ જેવા ઊભા પાક સાથે કેરીના પાકને પણ ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પહેલો માલ પણ ભીનો થઈ જતા નાશ પામ્યો હતો. જેને લઇને ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં 96,536 હેકટરમાં ઘઉંનું વાવેતર થયું હતું.ત્યારે ખેતરમાં ઉભા ઘઉંના પાક અને કાપણી કરેલા ઘઉં ભીના થઇ ગયા હતા. કેટલાક ખેડૂતોએ ઘઉં કાપી દીધા હતા અને એવા સમયમાં કમોસમી વરસાદ પડતા મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. ખેડૂત જયંતીભાઈ પટેલે જણાવ્યું કે, મેં મારા ખેતરમાં 10 વીઘા જેટલા ઘઉં વાવ્યા હતા, જેમાંથી 7 વીઘાના ઘઉં કાપી લીધા હતા. જોકે, 3 વીઘા જેટલા ઘઉં કાપવાના બાકી છે. ગઇકાલે આવેલા વરસાદમાં બધુ ભીનું થઈ ગયું છે. હવે અમને નથી લાગતું કે, આ ઘઉના વધારે ભાવ આવે. ખંભાતના ભાલપંથકના વિસ્તારોમાં ઘઉં અને ચણાના પાકને વ્યાપક નુકસાન થયું છે.
વાવ-થરાદ પંથકમાં કમોસમી વરસાદથી વરીયાળી, જીરુ, કપાસ, ઘઉ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અમરેલી જિલ્લામાં ગઇકાલે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં ડુંગળીનો પાક જમીનમાંથી આપમેળે બહાર આવી ગયો છે. જ્યારે બાજરી, તલ, ચણા સહિત વિવિધ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતા ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં એરંડાના પાકને ભારે નુકસાન થયું હતું. ભારે પવનના કારણે એરંડાનો ઉભો પાક જમીનદોષ થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભરૂચમાં ભારે પવનના કારણે કેરીની વાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતો ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મહેસાણાના વિસનગર પંથકમાં દિવેલાના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ઊભો પાક નીચે નમી જતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોના ઇસબગુલના પાકમાં ભારે નુકસાન થયું છે. પાક કાપણીના સમયે પડેલા વરસાદથી ઇસબગુલના પાક ભીનો થઈ જતા ભારે નુકસાન થયું છે. મોરબી નજીકના પાનેલી ગામે ગઈકાલે બપોરે 4:00 વાગ્યાના અરસામાં ભારે પવન શરૂ થયો હતો જેથી કરીને પપૈયાની ખેતી કરતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ઝાડ ઉપર રહેલા કાચા પપૈયાઓ તૂટી પડ્યા હતા, જેથી કરીને ખેડૂતોને મોટી નુકસાની થઈ છે.
બગસરાના લુંઘીયા ગામના સરપંચ કિશોર કાનપરીયાએ જણાવ્યું કે, અમારા ગામ સહિત આખા પંથકમાં ગઇકાલે પડેલા કમોસમી વરસાદથી ખુબ નુકસાન થયું છે. 30 ટકાથી વધુ પાકો ખેતરમાં કાપી દેવામાં આવ્યા હતા. એમાં વધુ નુકસાન છે. હું સરકારને વિનંતી કરૂ છું કે વહેલા સર્વે કરીને ખેડૂતોને સહાય કરે.
અંકલેશ્વરના ખેડૂત મહાવીર મહેતાએ જણાવ્યું કે, અમાર આંબાવાડીમાં ભારે નુકસાન છે. કેરીના પાકમાં કંઇ રહ્યું જ નથી. એક તો પહેલાંથી મમરી ઓછી આવી હતી અને ઉપરથી માવઠાનો માર પડ્યો. હવે સરકાર કંઇક રાહત આપે તો સારૂ.
અંકલેશ્વરના ખેડૂત સ્નેહલ મહેતાએ જણાવ્યું કે, ભારે પવન સાથે આવેલા વરસાદથી કેરીનો 70 ટકા પાક ખરી ગયો છે. આ ઉપરાંત ચીકુના પાકને રણ ભારે નુકસાન થયું છે. ફળાઉ પાક સાથે અન્ય પાકોમાં પણ ઘણુ નુકસાન છે. હવામાન વિભાગ માવઠાની અગાઉથી જાણ કરે તો ખેડૂતો થોડોઘણો પાક બચાવી શકે.
અમરેલીના ખેડૂત કાળુભાઇ વોરાએ કહ્યું કે, મેં નવ વીઘામાં ડુંગળી અને ત્રણ વીઘામાં બાજરી વાવી હતી. કમોસમી વરસાદમાં ડુંગળી નીકળી ગઇ છે અને બાજરીનો ઉભો પાક આડો પડી ગયો છે. અમારે તલ, બાજરી અને ડુંગળીના પાકમાં ખુબ નુકસના આવ્યું છે. થરાદના દોલતપુરા ગામના ખેડૂત વેરસીભાઇ સેંગલે જણાવ્યું કે, રાત્રે 2:30 વાગ્યે વરસાદ અને વાવાઝોડુ આવવાથી લાખો રુપિયાનું નુકસાન થયું છે. વરીયાળીના પાકને વધુ નુકસાન છે.

