- National
- મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના...
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમના લોક સેવા રેકોર્ડના આધારે લેવામાં આવ્યો હતો, કૌટુંબિક સંબંધોના આધારે નહીં.
કન્નુર જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના મહાસચિવ અને મંત્રીની બહેનના પતિ બેની થોમસને મંત્રીના વધારાના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે આ વિવાદ શરુ થયો હતો. વિપક્ષી CPI(M)ની આલોચનાનો જવાબ આપતા, મંત્રી જોસેફે કહ્યું કે, થોમસને તેમના અંગત સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા ન હતા કારણ કે તે તેમના એક સંબંધી હતા. મંત્રીએ પત્રકારોને જણાવ્યું કે, 'તેઓ એક સારા લોક સેવક છે.'
સની જોસેફે જણાવ્યું હતું કે, બેની થોમસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પેરાવુરમાં તેમના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે સેવા આપી હતી અને આ નિમણૂક પણ DCC પ્રમુખની ભલામણ પર આધારિત હતી. તેમણે ઉમેર્યું, 'બેની થોમસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પેરાવુરમાં મારા મુખ્ય ચૂંટણી પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેમની નિમણૂક પણ DCC પ્રમુખની ભલામણ પર કરવામાં આવી હતી.'
મંત્રીએ જણાવ્યું હતું કે, થોમસ પાસે પંચાયત સભ્ય તરીકે સેવા આપવા સહિત વ્યાપક જાહેર સેવાનો અનુભવ છે. જોસેફે કહ્યું, 'તેમણે વર્ષોથી જાહેર સેવા ક્ષેત્રમાં કામ કર્યું છે અને પંચાયત સભ્ય તરીકે પણ સેવા આપી છે.' બધા આરોપોને નકારી કાઢતા, મંત્રીએ કહ્યું કે, નિમણૂકમાં કોઈ કાનૂની અવરોધો નથી અને થોમસને એક આદર્શ જાહેર સેવક તરીકે વર્ણવ્યા. સની જોસેફે કહ્યું, 'મારી પાસે છુપાવવા માટે કંઈ ન હોવાથી, મેં તેમને અન્યત્ર નોકરી પર રાખવાને બદલે સીધા મારા અંગત સ્ટાફમાં નિયુક્ત કર્યા.'
આ અગાઉ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય આરોગ્ય પ્રધાન K. મુરલીધરને પણ નિમણૂકનો બચાવ કરતા કહ્યું હતું કે, સની જોસેફ દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ અગાઉ પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી ચૂકી છે. મુરલીધરને કહ્યું હતું કે, 'ભલે તેઓ સની જોસેફના સંબંધી હોય છતાં, તેમની પાસે રાજકીય અનુભવ અને રાજકીય પૃષ્ઠભૂમિ છે.'
મજાકમાં, મંત્રીએ ઉમેર્યું હતું કે, 'જ્યારે મોહમ્મદ રિયાસને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે અમે એવું નહોતું કહ્યું કે, જમાઈને તેમના સસરાના મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, કેમ બરાબર ને?' આ ટિપ્પણી ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી P A મોહમ્મદ રિયાસના સંદર્ભમાં હતી, જે ભૂતપૂર્વ CM પિનરાઈ વિજયનના જમાઈ છે.

